Money9: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, બેંકે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જેની પાસે પહેલાથી 2,000 રૂપિયાની નોટ છે તેઓ તેનો ઉપયોગ કરી શકે છે. આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે જે લોકો બેંકમાં જઈને 2000ની નોટને અન્ય નોટોમાં બદલવા માંગે છે, તેઓ બેંકમાં જઈને નોટો બદલી શકે છે, પરંતુ એક સાથે માત્ર 10 નોટો એટલે કે 20,000 રૂપિયા જેટલી નોટો જ બદલી શકાશે. રિઝર્વ બેંકે તમામ બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટમાં ગ્રાહકોને ચૂકવણી કરવાનું બંધ કરવા સૂચના આપી છે.
રિઝર્વ બેંક અનુસાર, 2000 રૂપિયાની નોટ કાનૂની ટેન્ડર રહેશે, પરંતુ તેને ચલણમાંથી દૂર કરવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. રિઝર્વ બેંકે આ નિર્ણય ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ લીધો છે. રિઝર્વ બેંકે નાગરિકોને 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં 2000 રૂપિયાની નોટ બદલવા અથવા જમા કરાવવાનું કામ પૂર્ણ કરવા જણાવ્યું છે, બેંકો સિવાય રિઝર્વ બેંકની 19 પ્રાદેશિક કચેરીઓમાં પણ 2000 રૂપિયાની નોટો બદલી શકાશે. નોટ બદલવાની પ્રક્રિયા 23 મેથી શરૂ થશે.
વર્ષ 2016માં નોટબંધીના નિર્ણય બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી બજારમાં 2000 રૂપિયાની નોટો ઓછી દેખાતી હતી. લોકોનું કહેવું હતું કે એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ પણ બહાર નથી આવી રહી. આ અંગે સરકારે સંસદમાં માહિતી પણ આપી હતી.
લાંબા સમયથી નથી છપાઇ
રિઝર્વ બેંકે તેના વાર્ષિક અહેવાલમાં 2000 રૂપિયાની નોટ વિશે માહિતી આપી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2019-20, નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22માં 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં નથી આવી. જેના કારણે બજારમાં 2000 રૂપિયાની નોટોનું ચલણ ઘટી ગયું છે.
નોટબંધી બાદ 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી
8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ 500 અને 1000 રૂપિયાની તમામ નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. આ કરન્સીની જગ્યાએ રિઝર્વ બેંક દ્વારા 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી હતી. રિઝર્વ બેંકનું માનવું હતું કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર મુકાયેલી નોટોના મૂલ્યની સરળતાથી ભરપાઈ કરશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો