વ્યાજ દર નહીં ઘટે
ભારતીય રિઝર્વ બેંકે સતત ચોથી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. RBI MPCએ રેપો રેટ 6.50 ટકા પર યથાવત રાખ્યો છે. અગાઉ આરબીઆઈએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી વ્યાજ દરમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. બીજી તરફ, આર્થિક વૃદ્ધિના મોરચે પણ પોતના અનુમાનમાં કોઈ ફેરફાર ન કરતાં ચાલુ નાણાકીય વર્ષ માટે વાસ્તવિક જીડીપી અંદાજ માત્ર 6.5 ટકા જ રાખવામાં આવ્યો છે. બીજી તરફ, આરબીઆઈનું માનવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવો 5.4 ટકા રહી શકે છે.
ઇન્ડિગોમાં જવું મોંઘું પડશે
ઇંડિગોમાં મુસાફરી કરવી હવે મોંઘી પડશે…એરલાઈને ગુરુવારે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ એટલે કે ATFના વધતા ભાવની ભરપાઇ કરવા માટે ફ્યુઅલ ચાર્જને વધારવાની જાહેરાત કરી છે. આ ફ્યુઅલ ચાર્જ રાતે 12 વાગ્યાથી લાગુ થઇ પણ ગયો છે. ઈન્ડિગોના નવા પ્રાઇસિંગ સ્ટ્રક્ચર હેઠળ ફ્લાઇટ બુક કરનારા પેસેન્જર્સે હવે ડિસ્ટન્સ એટલે કે અંતર પ્રમાણે વધારાનો દરેક ટિકિટ પર એકસ્ટ્રા ફ્યુઅલ ચાર્જ ચૂકવવો પડશે. આ ફ્યુઅલ ચાર્જ 300 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીનો હશે.
ક્રિકેટ વર્લ્ડ કપ રોમાંચક બનશે
ક્રિકેટ વર્લ્ડ કપ હવે વધુ રોમાંચક બનવા જઈ રહ્યો છે… કારણ કે ફેસબુક-ઈન્સ્ટા પર તમે વર્લ્ડ કપના બિહાઇન્ડ ધ સીન્સ પણ જોઈ શકશો..મેટાએ ક્રિકેટ વર્લ્ડ કપ મેચો સાથે સંબંધિત બિહાઇન્ડ ધ સીન્સના કવરેજ માટે ICC સાથે ભાગીદારી કરી છે. 500 થી વધુ ક્રિએટર મેટા માટે આ કવરેજ કરશે. આ કવરેજ ઈન્સ્ટા, ફેસબુક, વોટ્સએપ અને થ્રેડ્સ પર જોઈ શકાશે. કવરેજ માટે 50 ક્રિએટર્સનું એક વિશેષ ગ્રુપ પણ હશે, જે ‘સુપર 50’ તરીકે ઓળખાશે. આ ગ્રુપને મેચ પહેલા અને પછી ફિલ્ડનો એક્સેસ, કોમેન્ટેટર્સ સાથે વાતચીત અને રાજદૂતો સાથે વાતચીત સહિત અન્ય બાબતોની મંજૂરી આપવામાં આવશે.
ખાવાની થાળી બની મોંઘી
ઑગસ્ટ અને જુલાઈ મહિનામાં ખાવાની થાળીની સરેરાશ કિંમતમાં ભારે વધારો થયો હતો અને તેની પાછળનું સૌથી મોટું કારણ ટામેટાંના ભાવમાં તીવ્ર વધારો હતો… પરંતુ હવે સપ્ટેમ્બર મહિનામાં ખાવાની થાળીના એવરેજ ભાવમાં 17 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શાકાહારી થાળીના ભાવમાં 17 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને ટામેટાંના ભાવ સામાન્ય સ્તરે આવ્યા બાદ આ સ્થિતિ જોવા મળી છે. તો થાળીનો દર કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે પણ જાણી લઇએ… દેશના તમામ પ્રદેશોમાં ખાદ્યપદાર્થોની કિંમતોના આધારે, ક્રિસિલ એક ઘરમાં થાળીની સરેરાશ કિંમતની ગણતરી કરે છે.. આનાથી લોકોના ખાણીપીણી પર કરવામાં આવતા ખર્ચને શોધવામાં મદદ મળે છે. અનાજ, કઠોળ, શાકભાજી, મસાલા, ખાદ્યતેલ, બ્રોઇલર એટલે કે ચિકન અને રાંધણગેસના કારણે થાળીના ભાવમાં થઇ રહેલા ફેરફારો વિશે જાણવા મળે છે.
વોડાફોનના ગ્રાહકોને પડશે મુશ્કેલી
જો તમે વોડાફોન આઈડિયાના ગ્રાહક છો, તો તમારે આગામી દિવસોમાં નેટવર્કની સમસ્યાનો સામનો કરવો પડશે. કારણ કે ઇન્ડસ ટાવર્સ વોડાફોન કંપનીને સપોર્ટ કરવાનું બંધ કરી શકે છે. તેણે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈને જણાવ્યું છે કે વોડાફોન આઈડિયાએ હજુ સુધી બાકી રકમ ચૂકવી નથી. આવી સ્થિતિમાં વોડાફોન આઈડિયાની કેટલીક સેવાઓ બંધ કરવી પડી શકે છે. આ ઉપરાંત ઇન્ડસ ટાવર્સે એમ પણ કહ્યું છે કે તે તેની બાકી રકમ વસૂલવા માટે કાનૂની માર્ગ પણ અપનાવી શકે છે.
અનક્લેમ્ડ રકમ શોધવામાં સરળતા
ઉદગમ પોર્ટલ પર હવે 30 બેંકોમાં જમા અનક્લેમ્ડ ડિપોઝિટને શોધી શકાય છે. આરબીઆઈએ સામાન્ય જનતાને જાણ કરી છે કે અગાઉ માત્ર 7 બેંકોમાં જમા કરાયેલી દાવા વગરની થાપણો પોર્ટલ પર શોધી શકાતી હતી, પરંતુ હવે પોર્ટલ પર 30 બેંકોમાં જમા કરાયેલી દાવા વગરની થાપણો શોધવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આરબીઆઈએ કહ્યું કે આ સુવિધા 28 સપ્ટેમ્બર, 2023થી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં જમા 90 ટકા થાપણો અનક્લેમ્ડ ડિપોઝિટને હવે કવર કરે છે.
સેબી ચીફની ચિંતા
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીના ચીફ માધબી પુરીનું કહેવું છે કે રજિસ્ટ્રેશનની સરળ પ્રક્રિયા હોવા છતાં દેશમાં લગભગ 35 ટકા રોકાણ સલાહકારો સેબીમાં નોંધાયેલા નથી. માધબી પુરીએ આ નિવેદન ઓર્ગેનાઈઝેશન ઓફ રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર ARIAના એક કાર્યક્રમ દરમિયાન આપ્યું. તેમણે ઉદ્યોગને અપીલ કરી છે કે તેઓ વધુમાં વધુ રોકાણ સલાહકારોની સેબીમાં નોંધણી કરાવે. સેબીની વેબસાઈટ અનુસાર, 1314 રોકાણ સલાહકારો તેની સાથે રજિસ્ટર છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો