Money9: આરબીઆઈએ બેંકો અને અન્ય સંસ્થાઓના સ્તરે ‘કાર્ડ-ઓન-ફાઈલ’ ટોકન સુવિધા શરૂ કરી છે. તેની મદદથી ગ્રાહકો તેમના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનું ટોકન બનાવી શકશે અને તેને અલગ-અલગ ઈ-કોમર્સ એપ્સના એકાઉન્ટ સાથે લિંક કરી શકશે. ઉપરાંત, તમે વાસ્તવિક કાર્ડની વિગતો આપ્યા વિના ઑનલાઇન ચુકવણી કરી શકશો. નવી સિસ્ટમના અમલીકરણથી ડેટાની ચોરી અને નાણાકીય છેતરપિંડીથી બચી શકાશે.
પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDA એ NPS સબ્સ્ક્રાઇબર્સને UPI QR કોડ દ્વારા સીધું તેમનું યોગદાન જમા કરવાની મંજૂરી આપી છે. PFRDAએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ પગલાનો ઉદ્દેશ્ય પીએફ કોન્ટ્રીબ્યૂશનની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે… PFRDAની આ પહેલ NPS સબ્સ્ક્રાઇબર્સને તેમની રિટાયરમેન્ટ સેવિંગ્સ પર નિયંત્રણ રાખવા અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટિંગ યોજનાનો લાભ ઉઠાવવા માટે સશક્ત બનાવે છે. આ નવી સિસ્ટમ હેઠળ, ગ્રાહકો તેમના યોગદાનને ટ્રાન્સફર કરવા માટે UPI QR કોડનો ઉપયોગ કરી શકશે.
દેશમાં 48 ટકા લોકો વ્યક્તિગત ખરીદી માટે ઓનલાઈન પર ભરોસો કરે છે. તેમાંથી 44 ટકા લોકો નાણાકીય વ્યવહારો માટે ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ કરે છે. હોમ ક્રેડિટ ઈન્ડિયાના તાજેતરના સર્વે અનુસાર, 2021 બાદ જરૂરિયાતોને આધારે લોન લેવાનું વલણ બદલાઈ ગયું છે. 2023 માં, 44 ટકા લોકોએ ઘર ચલાવવાથી માંડીને સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સ ખરીદવા સુધીની દરેક વસ્તુ માટે લોન લીધી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ લોનમાં 9 ટકાનો ઘટાડો થયો હોવા છતાં, બિઝનેસ સંબંધિત લોનમાં 5 ટકાનો વધારો થયો છે. આ જ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ઓનલાઈન લોન મુખ્યત્વે નાના શહેરોના યુવાનો દ્વારા લેવામાં આવે છે. આમાં દેહરાદૂન 61 ટકા, લુધિયાણા 59 ટકા, અમદાવાદ 56 ટકા અને ચંદીગઢ 52 ટકા સાથે મોખરે છે.
ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે આગામી વર્ષ 2024માં ઈનપુટ કોસ્ટ એટલે કે ખર્ચમાં ઘટાડો અને કોર્પોરેટ નફામાં વધારાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રાહત બાદ ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતોમાં વધારાને કારણે નવેમ્બર 2023માં છૂટક મોંઘવારી દર વધીને 5.6 ટકા થઈ ગયો છે. જોકે, નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળા દરમિયાન છૂટક ફુગાવાનો દર ઘટીને 4.6 ટકા થવાની ધારણા છે. આરબીઆઈ બુલેટિન અનુસાર અર્થતંત્રમાં મજબૂતીની અસર સ્થાનિક ફાઇનાન્સિયલ માર્કેટના ગ્રોથ પર દેખાઈ રહી છે.
કેન્દ્ર સરકારે ફરી એકવાર સહારાના તમામ રોકાણકારોને ખાતરી આપી છે કે તેમની પાઇ પાઇ ચૂકવી દેવામાં આવશે. સહકારી રાજ્ય મંત્રી બીએલ વર્માએ રાજ્યસભામાં જણાવ્યું કે લગભગ 3 કરોડ રોકાણકારોએ સહારાની સહકારી મંડળીઓમાંથી રિફંડ માટે દાવો કર્યો છે. તેઓ સહારાની સહકારી મંડળીઓ પાસેથી 80 હજાર કરોડ રૂપિયાના રિફંડની માગણી કરી રહ્યા છે… તમામ રોકાણકારોના અટવાયેલા નાણાં પરત મળે તે માટે સરકાર ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં જશે.
રોજગારીના મોરચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. EPFOના ઓક્ટોબરના ડેટા અનુસાર, આ મહિને 7.72 લાખ નવા સભ્યો EPFOમાં જોડાયા છે. તો EPFOમાં નેટ મેમ્બર્સની સંખ્યા 15.29 લાખ છે. રોજગારીના સંદર્ભમાં આ આંકડા નિરાશાજનક રહ્યા છે, કારણ કે સપ્ટેમ્બર 2023ની સરખામણીએ EPFOમાં જોડાનારા નવા મેમ્બર્સની સંખ્યામાં માસિક આધારે 16.7 ટકાનો મોટો ઘટાડો થયો છે, પરંતુ ગયા વર્ષની સરખામણીએ સ્થિતિ વધુ સારી છે. ઑક્ટોબર 2022ની તુલનામાં, નવા EPFO મેમ્બર્સની સંખ્યામાં 6.07 ટકાનો વધારો નોંધાયો છે. નવા જોડાયેલા મેમ્બર્સમાંથી 58.60 ટકા એવા લોકો છે જેમની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે છે. આવી સ્થિતિમાં, નવી નોકરી મેળવનારા મોટાભાગના લોકો યુવાનો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો