3 બેંકોને દંડ
ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર બેંકો સામે કડક કાર્યવાહી કરી છે. આ વખતે આ કાર્યવાહી SBI, કેનેરા બેંક અને સિટી યુનિયન બેંક સામે કરવામાં આવી છે..આ બેંકો પર ઘણા રેગ્યુલેટરી નિયમોના ઉલ્લંઘન બદલ લગભગ 3 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. SBI પર મહત્તમ 2 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બેંક પર આક્ષેપ છે કે તેણે ડિપોઝિટર અવેરનેસ ફંડ સ્કીમ 2014ના કેટલાક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. સિટી યુનિયન બેંકને 66 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કેનેરા બેંકને 32.30 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણયોની બેંકના ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય.
ખેડૂતો આનંદો
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની રાહ હવે પૂર્ણ થવા જઈ રહી છે. PM નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે બુધવારે કરોડો ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયા ટ્રાન્સફર કરશે. આનું કન્ફર્મેશન પહેલા જ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર આવી ચુકી છે. PM-કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, પાત્ર ખેડૂત પરિવારોને દર ચાર મહિનામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા ત્રણ હપ્તામાં 6,000 રૂપિયા મળે છે. તમારું નામ પીએમ કિસાન લિસ્ટમાં છે કે કપાઇ ગયું છે..તેને તમે સરળતાથી ચેક કરી શકો છો. સૌ પ્રથમ પીએમ કિસાન પોર્ટલ એટલે કે pmkisan.gov.in પર જાઓ… તેની ડાબી બાજુએ farmer corned જુઓ. પછી બેનિફિસિયરી લિસ્ટ પર ક્લિક કરો… આમાં તમને લેટેસ્ટ લિસ્ટ દેખાઇ જશે.. આના માટે, તમારું રાજ્ય, ડિસ્ટ્રિક્ટ, સબ-ડિસ્ટ્રિકટ એટલે કે તાલુકો, બ્લોક અને ગામ પસંદ કરો. ત્યારબાદ Get Report પર ક્લિક કરો. તમારા ગામની સંપૂર્ણ યાદી તમારી સામે હશે. તમારુ નામ છે કે નહીં તે તેમાં ખબર પડી જશે.
Mobikwikનું ‘Pocket UPI’
Mobikwikએ પોતાના પ્લેટફોર્મ પર એક નવી સર્વિસ ‘Pocket UPI’ની જાહેરાત કરી છે, જેનાથી યૂઝર્સ તેમના બેંક એકાઉન્ટને લિંક કર્યા વિના UPI પેમેન્ટ કરી શકશે. આ સુવિધાનો હેતુ છેતરપિંડીને ઘટાડવાની સાથે સાથે બેંક સ્ટેટમેન્ટના મિસમેનેજમેન્ટને ઘટાડવાનો છે. Mobikwik Pocket UPI સર્વિસ UPI લાઇટની જેમ એક વૉલેટ-આધારિત પેમેન્ટ ઓપ્શન છે જ્યાં યૂઝર્સ તેમાં અમુક રકમ લોડ કરે છે અને કોઈપણ UPI QR કોડને સ્કેન કરીને અથવા ફોન નંબર પર પૈસા મોકલી શકે છે. પોકેટ UPI નો ઉપયોગ કરવા માટે,સૌપ્રથમ વોલેટ UPI ID બનાવો.. પછી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા બેંક ખાતામાંથી MobiKwik વૉલેટમાં રકમ એડ કરો.. અને હવે વૉલેટ બેલેન્સ સાથે UPI ચુકવણી કરવાનું શરૂ કરી દો.
કોણ છે ITના રડાર પર
આવકવેરા વિભાગને એવા ઘણા કરદાતાઓ વિશે માહિતી મળી છે જેમના આવકવેરા રિટર્નમાં આપવામાં આવેલી માહિતી અને થર્ડ પાર્ટી પાસેથી મળેલા વ્યાજ, ડિવિડન્ડની આવક સાથે મિસમેચ જોવા મળ્યું છે. આવા કિસ્સાઓમાં, ઘણા તો એવા છે જેમણે આવકવેરા રિટર્ન પણ ફાઇલ નથી કર્યું. આવકવેરા વિભાગે આવા કરદાતાઓની ઓળખ કરી છે. આ મિસમેચને દૂર કરવા માટે, આવકવેરા વિભાગ કરદાતાઓને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને તેને સુધારવાની તક આપી રહ્યું છે. કરદાતાઓને SMS અને ઈમેલ મોકલીને મિસમેચ વિશે જાણકારી આપવામાં આવી રહી છે… વિભાગે કહ્યું કે આ મિસમેચને સુધારવા માટે ઈ-વેરિફિકેશન 2021 સ્કીમ શરૂ કરવામાં આવી છે. આમાં, ઈ-ફાઈલિંગ વેબસાઈટ eportal.incometax.gov.in માં compliance portal માં ઓનસ્ક્રીન સુવિધા આપવામાં આવી છે જેથી આ મિસમેચને સુધારી શકાય. આવકવેરા વિભાગે જણાવ્યું છે કે હાલમાં નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23 માટે મિસમેચ સંબંધિત માહિતી compliance portal પર ઉપલબ્ધ છે.
સેબીએ રોકાણકારોને કર્યા સાવધાન
સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ રોકાણકારોને ચેતવણી આપતા એવા લોકોથી સાવચેત રહેવા જણાવ્યું છે જેઓ પોતાને સેબીમાં રજિસ્ટર્ડ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ એટલે કે FPIના કર્મચારી કે તેની સાથે સંકળાયેલા હોવાનો દાવો કરી રહ્યા છે. સેબીએ કહ્યું કે FPI નો ઇન્વેસ્ટમેન્ટ રૂટ કેટલીક રાહતોને બાદ કરતાં ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ નથી. સેબીએ એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું કે તેને એવા ઘણા નકલી ટ્રેડિંગ પ્લેટફોર્મની ફરિયાદો મળી છે જે દાવો કરે છે કે તેઓ સેબીમાં નોંધાયેલા FPIs સાથે સંકળાયેલા છે. ઉપરાંત, આ લોકો રોકાણકારોને ખાસ સુવિધાઓવાળા FPI અથવા વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FIIના સબ-એકાઉન્ટ્સ કે ઇન્સ્ટીટ્યૂશનલ એકાઉન્ટ્સમાંથી ટ્રેડિંગની લાલચ આપી રહ્યા છે… સેબીએ ચેતવણી આપી છે કે ટ્રેડિંગમાં સંસ્થાકીય ખાતાની કોઈ જોગવાઈ નથી અને ઈક્વિટી બજારમાં ટ્રેડ કરવા માટે રોકાણકારોએ સેબીની પાસે રજિસ્ટર્ડ બ્રોકર ટ્રેડિંગ મેમ્બર અને ડીપી સાથે ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે.
Paytmમાંથી આમની વિદાય
Paytmના CEO વિજય શેખર શર્માએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. વિજય શર્માએ Paytm પેમેન્ટ બેંકના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન અને બોર્ડ મેમ્બર પદેથી રાજીનામું આપ્યું છે. Paytmની પેરેન્ટ કંપની One97 Communicationsએ સોમવારે 26 ફેબ્રુઆરીએ સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી હતી. કંપનીએ કહ્યું કે આ પેમેન્ટ બેંકના બોર્ડના પુનર્ગઠનનો એક હિસ્સો છે. ટૂંક સમયમાં નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવશે. One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડે જણાવ્યું કે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર, નિવૃત્ત IAS અધિકારી દેવેન્દ્રનાથ સારંગી, બેન્ક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની સેખરી સિબ્બલ PPBL બોર્ડમાં જોડાઇ ગયા છે. તેઓ સ્વતંત્ર નિર્દેશક તરીકે સામેલ થયા છે.
Truecallerની નવી સુવિધા
કોલર આઇડેન્ટિફિકેશન એપ Truecaller એ ભારતમાં AI-સંચાલિત કૉલ રેકોર્ડિંગ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધામાં કૉલની સમરી અને ડિટેલ્સ પણ મળશે. કંપનીએ કહ્યું છે કે AI આધારિત કૉલ રેકોર્ડિંગ સેવા માટે ફી લાગશે અને તે પ્રીમિયમ મેમ્બરશીપ સાથે ઉપલબ્ધ થશે. તે એન્ડ્રોઇડ અને iOS બંને ઓપરેટિંગ સિસ્ટમ સાથેના મોબાઇલ ફોન પર કામ કરશે. આ સુવિધા હેઠળ, યૂઝર્સને સીધા Truecaller એપ્લિકેશનમાં ઇનકમિંગ અને આઉટગોઇંગ કૉલ્સ રેકોર્ડ કરવામાં મદદ મળશે…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો