Money9 Gujarati:
બેન્કમાંથી પેન્શન મેળવતા લોકોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ 31 જુલાઈ સુધીમાં બેન્કમાં જઈને કરાવી લેવી જરૂરી છે. જો તેઓ ખરાઈ કરાવશે, તો જ પેન્શન મેળવવા માટે હકપાત્ર ગણાશે. અમદાવાદની પેન્શન ચૂકવણા કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો પેન્શનધારકો 31 જુલાઈ, 2023 સુધીમાં પોતાની હયાતીનું પ્રમાણપત્ર જમા નહીં કરાવે તો ઓગસ્ટ પેઈડ ઈન સપ્ટેમ્બરનું પેન્શન બંધ થઈ જશે, કારણ કે, આવું કરવાની જોગવાઈ છે. આથી, પેન્શનધારકોએ પોતપોતાની બેન્કમાં જઈને જુલાઈના અંત સુધીમાં હયાતીની ખરાઈ કરાવી લેવી.
સામાજિક સુરક્ષા હેઠળ, પેન્શન મેળવતા વૃદ્ધો, વિધવાઓ અને દિવ્યાંગજનો 31 જુલાઈ, 2023 સુધીમાં જીવન પ્રમાણીકરણ કરાવી શકશે. 31 તારીખ છેલ્લી છે એટલે ત્યાં સુધીમાં હયાતીની ખરાઈ કરાવી લેવી, નહીંતર દર મહિને જમા થતું પેન્શન બંધ થઈ જશે.
પેન્શનધારકો હયાતીની ખરાઈ માટે જીવન પ્રમાણપત્ર મેળવવા સરકારની ઓનલાઈન સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. તેના માટે આધાર કાર્ડ સહિતના પુરાવા હાથવગાં રાખવા જરૂરી છે.
પેન્શનરોએ હયાતિની ખરાઇની ઓનલાઇન નોંધણી અને ફોર્મમાં જરૂરી વિગત ભર્યા બાદ તિજોરી કચેરીને ડીઝીટલ હયાતિ પ્રમાણપત્રની નકલ આપવાની જરૂરિયાત નથી.તે આપોઆપ સંબધિત તિજોરી કચેરીને મળી જશે.આથી પેન્શનરોને તિજોરી કચેરીના ધકકામાંથી મુકિત મળશે.જયારે પેન્શનરો જીવન પ્રમાણ પર આઇડી બની ગયા બાદ ડીઝીટલ હયાતિ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે. હયાતીની ઓનલાઈન ખરાઈ કરવા માટે પેન્શનધારકે www.jeevanpramaan.gov.in પર જવું પડશે. તેઓ નજીકના જીવન પ્રમાણ કેન્દ્ર, જનસેવા કેન્દ્ર, બેન્ક કે ટપાલ કચેરીમાં જઈને નોંધણી કરાવી શકે છે. તમારે આધાર કાર્ડ સાથે રાખવું જરૂરી છે. આ સિવાય પેન્શન ચૂકવણીનો હુકમ નંબર, બેન્કનું નામ, ખાતા નંબર અને મોબાઈલ નંબરની વિગતો ભરવી પડશે.
પેન્શનધારકે હયાતીની ખરાઇમાં પુરૂં નામ લખવાનું રહેશે. યાદ રહે, તમારા પેન્શન ચૂકવણી હુકમમાં જે રીતે નામ લખ્યું હોય, તેવી જ રીતે નામ લખવું. ત્યારબાદ તમારે પીપીઓ નંબર લખવો પડશે. આ નંબર પેન્શન ચુકવણી હુકમ નંબર પ્રમાણે જ લખવો. તમારે પેન્શનના પ્રકારની માહિતી આપવી પડશે, જેમાં ફેમિલી પેન્શન, સર્વિસ પેન્શન જેવા વિકલ્પોમાંથી જે વિકલ્પ લાગુ પડતો હોય તેની વિગતો ભરવાની રહેશે.
અન્ય ખબરઃ
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો