Atal Pension Yojna (APY)ના સબ્સક્રાઈબર્સની સંખ્યા છેલ્લાં 8 વર્ષમાં સતત વધી છે. 2021-22ની તુલનાએ 2022-23માં નવા નામની નોંધણીમાં 20 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. આ સ્કીમમાં સારું રિટર્ન પણ મળ્યું છે.
અટલ પેન્શન યોજના (APY)માં 5.25 કરોડથી પણ વધુ લોકોએ નામ નોંધાવ્યું છે. 2015ની 9 મેના રોજ શરૂ થયેલી સરકારની આ પેન્શન યોજનાના 8 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. સરકારે ખાસ તો, અસંગઠિત સેક્ટરના કામદારોને તેમજ તમામ નાગરિકોને ઢળતી ઉંમરે આવકની સલામતી આપવાના ઈરાદા સાથે આ યોજના શરૂ કરી હતી.
નાણા મંત્રાલયે જણાવ્યું છે કે, “આ યોજનાએ સમગ્ર દેશમાં તમામ વર્ગના લોકોને સામેલ કર્યા છે અને કુલ નોંધાયેલા લોકોની સંખ્યા 5.25 કરોડને વટાવી ગઈ છે. અટલ પેન્શન યોજના શરૂ થઈ ત્યારથી તેમાં વૃદ્ધિનો ટ્રેન્ડ જોવા મળ્યો છે.”
20 ટકા વૃદ્ધિઃ
2021-22ની તુલનાએ 2022-23માં નવા નામની નોંધણીમાં 20 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. અટલ પેન્શન યોજના હેઠળ કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM)નો આંકડો રૂ.28,434 કરોડ છે અને સ્કીમ શરૂ થઈ તે તારીખથી અત્યાર સુધીમાં 8.92 ટકા વળતર મળ્યું છે.
નવા નિયમ પ્રમાણે, 18 વર્ષથી 40 વર્ષની ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક અટલ પેન્શન યોજનામાં એકાઉન્ટ ખોલાવી શકે છે. શરત એટલી છે કે, તેની પાસે બેન્કમાં બચત ખાતુ હોવું જોઈએ અને તે ઈનકમ ટેક્સપેયર ના હોવો જોઈએ.
કેટલું પેન્શન મળે?
આ સ્કીમ હેઠળ, નામ નોંધાવનાર વ્યક્તિની ઉંમર 60 વર્ષ થઈ જાય ત્યારથી તેને દર મહિને જીવે ત્યાં સુધી ગેરન્ટીડ રૂ.1,000થી રૂ.5,000નું પેન્શન મળે છે. પેન્શનની રકમનો આધાર તેણે જમા કરાવેલી રકમ પર રહેલો છે. જો વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો, તેના જીવનસાથીને સમાન પેન્શન મળતું રહે છે. ધારો કે, સબ્સક્રાઈબર પોતે અને તેનો/તેની જીવનસાથી બંનેનું મૃત્યુ થઈ જાય તો, પેન્શન ખાતામાં 60 વર્ષની ઉંમર સુધી જમા થયેલી રકમ તેના નોમિનીને પરત કરવામાં આવશે.