લક્ઝરી ઘરોની માંગ વધી
વર્ષ 2023માં લક્ઝરી હાઉસિંગની માંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે…. જાન્યુઆરીથી સપ્ટેમ્બરના નવ મહિના દરમિયાન 4 કરોડ રૂપિયાથી વધુ મોંઘા લકઝરી ઘરોના વેચાણમાં 97 ટકા એટલે કે લગભગ બમણો વધારો થયો છે. દેશની રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ કંપની CBRE સાઉથ એશિયાએ પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે. CBRE સાઉથ એશિયાએ દેશના ટોચના સાત શહેરોના રેસિડેન્શિયલ સેક્ટરના હાઉસિંગ માર્કેટના ટ્રેન્ડ પર ઇન્ડિયા માર્કેટ મોનિટર Q3 2023 નામનો રિપોર્ટ બહાર પાડ્યો છે…. રિપોર્ટ અનુસાર વર્ષ 2023ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચેના નવ મહિનામાં 4 કરોડથી ઉપરની કિંમતના કુલ 9,246 ઘરોનું વેચાણ થયું છે. જ્યારે 2022 માં સમાન સમયગાળા દરમિયાન કુલ 4,689 મકાનો વેચાયા હતા. સૌથી વધુ લક્ઝરી મકાનોનું વેચાણ દિલ્હી-એનસીઆરમાં જોવા મળ્યું છે.
ડિજિટલ લોન પર પ્રતિબંધ આવશે
ગેરકાયદેસર ઓનલાઈન લોન આપનારા પ્લેટફોર્મ અને મોબાઈલ એપ્સથી ડિજિટલ લોન પર પ્રતિબંધ મૂકવા માટે કેન્દ્ર સરકાર કાયદો લાવવાનું વિચારી રહી છે. આ અંગેની જાણકારી ધરાવતા બે અધિકારીઓએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, કેન્દ્ર સરકારનું લક્ષ્ય એવા લોકોની સુરક્ષા કરવાનું છે જે આવી એપ્સ પાસેથી પૈસા ઉછીના લે છે. એક તો તેમને અત્યંત ઉંચા વ્યાજદરનો સામનો કરવો પડે છે, તો બીજી તરફ લોનની ચુકવણી ન થાય તો તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે, જેના કારણે કેટલાક લોન લેનારાઓએ આત્મહત્યાનો માર્ગ પણ પસંદ કર્યો છે.
હવે ટાટાની ગાડીઓ થશે મોંઘી
મારુતિ, મર્સિડીઝ-બેન્ઝ, ઓડી ઈન્ડિયા, મહિન્દ્રા પછી હવે ટાટાએ પણ જાન્યુઆરી 2024થી પેસેન્જર અને ઈલેક્ટ્રિક વાહનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે, આ જાહેરાત બાદ તેના શેરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.. ટાટા મોટર્સના પ્રવક્તાએ પીટીઆઈને જણાવ્યું કે કંપની આવતા વર્ષથી ભાવ વધારવાની વિચારણા કરી રહી છે. કંપની આગામી થોડા અઠવાડિયામાં આ વિશે વિગતવાર માહિતી આપશે… આ તમામ કંપનીઓએ મોંઘવારી અને ઇક્વિપમેન્ટ્સની વધેલી કિંમતોને પગલે ખર્ચના દબાણને કારણે કિંમતો વધારવાનો નિર્ણય લીધો છે.
ડુંગળીની નિકાસને અસર
નવેમ્બર 2023ના પ્રથમ 21 દિવસમાં ભારતમાંથી ડુંગળીની નિકાસ ગયા વર્ષના સમાન સમયગાળા જેટલી જ રહી છે. કેન્દ્રએ ડુંગળીની નિકાસ માટે પ્રતિ ટન 800 ડોલરની લઘુત્તમ નિકાસ કિંમત એટલે કે MEP લાગૂ કરી છે, જેના અમલીકરણ અને કાપણીમાં વિલંબને કારણે નિકાસને અસર થઈ છે. ઓગસ્ટમાં 40 ટકાની ભારે નિકાસ ડ્યુટી લાદવામાં આવ્યા બાદ ડુંગળીની નિકાસ ધીમી પડી હતી. ઓક્ટોબરના અંતમાં MEP લાગુ થયા બાદ તેની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. દુબઈ સ્થિત કૃષિ વેપારી કંપની SilkRoot.AG નો આંતરિક સંશોધન ડેટા દર્શાવે છે કે ભારતે સપ્ટેમ્બરમાં લગભગ 1,66,711.31 ટન ડુંગળીની નિકાસ કરી હતી, જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થયેલી નિકાસ કરતા 48.11 ટકા ઓછી હતી. ત્યારબાદ ઓક્ટોબરમાં 2,79,039.50 ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી, જે ઓક્ટોબર, 2022 માં નિકાસ કરાયેલી ડુંગળી કરતાં લગભગ 11.80 ટકા ઓછી હતી.
ખાંડ થશે મોંઘી
સપ્લાયમાં અછતને કારણે ખાંડ મોંઘી થઈ શકે છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા મુખ્ય રાજ્યોમાં શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે… ભાવ વધારાની અપેક્ષાએ ખાંડ કંપનીઓના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે સુગર કંપનીઓના શેરોમાં હજુ પણ વધારો જોવા મળી શકે છે. સપ્ટેમ્બરમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઓછા વરસાદને કારણે ઉત્પાદન ઓછું થવાની ધારણા છે. નિષ્ણાતોનું કહેવું છે કે ખાંડ પર નિકાસ પ્રતિબંધોને કારણે ભારતમાં ભાવ નિયંત્રણમાં છે. સામાન્ય ચૂંટણીના અંત સુધી ભાવ સંતુલિત રહેવાની અપેક્ષા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો