આ FASTags ફેબ્રુઆરીથી નહીં ચાલે
વેલિડ બેલેન્સની સાથે KYC વગરના FASTags 31 જાન્યુઆરી, 2024 પછી બંધ કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમની કાર્યક્ષમતા વધારવા અને ટોલ પ્લાઝા પર સીમલેસ અવરજવર પૂરી પાડવા માટે, NHAI એ વન વ્હીકલ, વન ફાસ્ટેગ પહેલ શરૂ કરી છે. NHAI એ કહ્યું છે કે ફાસ્ટેગ યૂઝર્સને RBIની ગાઇડલાઇન્સ અનુસાર KYC અપડેટ કરીને તેમના નવા ફાસ્ટેગની KYC પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અસુવિધાથી બચવા માટે, વપરાશકર્તાઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના નવા ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ થઇ ગયું છે.
તમારી નોકરી છીનવાઇ જશે
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે વિશ્વને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જોખમો વિશે ચેતવણી આપી છે. IMFનું અનુમાન છે કે AIના કારણે વિશ્વની 40 ટકા નોકરીઓ જોખમમાં મુકાઇ જશે. વિકસિત દેશો પર તેની અસર 60 ટકા સુધી થઈ શકે છે. AI ના પ્રભાવથી બચી ગયેલા લોકોને ઓછા પગાર અને નોકરીઓની કમીનો સામનો કરવો પડશે. IMFના અંદાજ મુજબ, AIના આવવાથી ઉત્પાદકતામાં વધારો થવાની પૂરી શક્યતા છે. જેના કારણે નોકરીમાં બચેલા લોકોને ઘણો ફાયદો થશે. જો કે, ઘણાં પ્રકારની નોકરીઓ પણ કાયમ માટે બંધ થઈ શકે છે.
HFC માટે નિયમો સખત બન્યા
ડિપોઝિટ લેનારી હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ માટે આરબીઆઇએ નિયમોને વધુ કડક બનાવી દીધા છે. આ કંપનીઓ હવે લોકો પાસેથી પાંચ વર્ષ સુધીના જ મેચ્યોરિચી પીરિયડ માટે ડિપોઝિટ લઈ શકશે. પહેલા આ નિયમ 10 વર્ષ માટેનો હતો. આ અંગે શેરધારકો પાસેથી 29મી ફેબ્રુઆરી સુધી સૂચનો માંગવામાં આવ્યા છે. આરબીઆઈએ એક પરિપત્રમાં જણાવ્યું છે કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ માર્ચ 2025 સુધીમાં એપ્રુવ્ડ સિક્યોરિટીઝ સાથેની તેમની કુલ લિક્વિડ એસેટ્સને પબ્લિક ડિપોઝિટના 13 ટકાથી વધારીને 15 ટકા કરવી પડી શકે છે. એચએફસીએ ડિપોઝિટ એક્સેપ્ટ કરવા માટે અન્ય પ્રકારની નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓની જેમ નિયમોનું પાલન કરવું પડશે.
દાળના ભાવ આસમાને
કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં દાળના આસમાનને આંબી રહેલા ભાવમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. છૂટક ફુગાવાના આંકડા અનુસાર, કઠોળ અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર ડિસેમ્બર 2023માં 20.73 ટકા નોંધાયો છે, જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં, ડિસેમ્બર 2022માં કઠોળનો ફુગાવાનો દર 3.15 ટકા હતો. એનો અર્થ એ કે એક વર્ષમાં દાળનો મોંઘવારી દર 17.58 ટકા વધ્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના પ્રાઇસ મોનિટરી ડિવિઝનના ડેટા અનુસાર, 14 જાન્યુઆરી, 2024 ના રોજ છૂટક બજારમાં તુવેર દાળની સરેરાશ કિંમત 151.88 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જે એક વર્ષ પહેલા જાન્યુઆરી 2023માં 110.83 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહી હતી. આનો અર્થ એ થયો કે એક વર્ષમાં તુવેર દાળની સરેરાશ કિંમતમાં 37 ટકાનો વધારો થયો છે.
દેશમાં ગરીબી ઘટી
નીતિ આયોગે સોમવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2013-14થી 2022-23 સુધીના નવ વર્ષમાં 24 કરોડ 82 લાખ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ સમયગાળા દરમિયાન ગરીબીમાં સૌથી મોટો ઘટાડો ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં નોંધાયો હતો. ગરીબીને આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણમાં સુધારાના આધારે આંકવામાં આવે છે. NITI આયોગના NITI ડિડક્શન પેપર અનુસાર, ભારતમાં ગરીબી 2013-14માં 29.17 ટકાથી ઘટીને 2022-23માં 11.28 ટકા થઇ ગઇ છે, આ સમયગાળા દરમિયાન લગભગ 24.82 કરોડ લોકો આ શ્રેણીમાંથી બહાર નીકળી ગયા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો