Money9: નેશનલ હાઈવે પર હમણાં તમારે વધેલા ટોલ દરો ચૂકવવા નહીં પડે. 1 એપ્રિલથી લાગુ થયેલા આ નિર્ણયને ચૂંટણી પંચે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. ECIએ NHAIને લોકસભા ચૂંટણી પછી હાઈવે પર નવા ટોલ દરો લાગુ કરવા જણાવ્યું છે. સામાન્ય રીતે, દેશના મોટાભાગના ટોલ રોડ પરના દરો 1 એપ્રિલથી વધારવામાં આવે છે. આ વખતે હાઈવે પર ટોલના દરમાં લગભગ 5 ટકાનો વધારો થવાનો હતો. દેશમાં 18મી લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂન સુધી ચાલશે. 4 જૂને મતગણતરી થશે. ત્યાં સુધી હવે કોઇ ટોલ ટેક્સ નહીં વધે.
રિઝર્વ બેંકના 90 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન મોદીએ સોમવારે એટલે કે 1લી એપ્રિલે 90 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો છે. દેશમાં પહેલીવાર 90 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. આ સિક્કાની વિશેષતા એ છે કે તે શુદ્ધ ચાંદીનો બનેલો છે. તેમાં 40 ગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 90 રૂપિયાના ચાંદીના સિક્કાની એક તરફ બેંકનો લોગો છે અને બીજી બાજુ 90 રૂપિયા લખેલા છે.જમણી બાજુ હિન્દીમાં ભારત અને ડાબી બાજુ અંગ્રેજીમાં ભારત લખેલું છે. લોગોની નીચે RBI @ 90 લખેલું હશે.અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થવા પર 100 રૂપિયાનો સિક્કો અને સંસદ ભવનના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન સમયે 75 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો.
ટાટા ગ્રુપ અને સિંગાપુર એરલાઈન્સની કંપની વિસ્તારામાં ફ્લાઈટ્સ કેન્સલ કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં વિસ્તારાની 100 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આજે પણ લગભગ 60 ફ્લાઈટો રદ કરવામાં આવી છે. આ પહેલા સોમવારે એરલાઈન્સે લગભગ 50 ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી. હવે આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ 2 એપ્રિલે ફ્લાઇટ કેન્સલ કરવા અંગે વિસ્તારા પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તો, વિસ્તારાએ ફ્લાઇટના વારંવાર વિલંબ અને રદ થવા અંગે ‘ક્રૂની અછત’નું કારણ આગળ ધર્યું છે. વિસ્તારાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ક્રૂની અનઉપલબ્ધતાના કારણે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ કેન્સલ અથવા તો ડિલે થઇ છે. અમે આ સ્વીકારીએ છીએ અને ગ્રાહકોને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.
જો બોર્ડિંગ પછી ફ્લાઈટ ઉપડવામાં લાંબો વિલંબ થાય છે, તો હવે મુસાફરોએ પ્લેનમાં બેસીને વધુ રાહ નહીં જોવી પડે. એરલાઇન્સ કંપનીઓએ હવે મુસાફરોને એરપોર્ટ ડિપાર્ચર ગેટ દ્વારા પ્લેનમાંથી બહાર નીકળવાની પરવાનગી આપવી પડશે. એવિએશન સેફ્ટી પર દેખરેખ રાખતી સંસ્થા બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી એટલે કે BCASએ નવી ગાઇડલાઇન્સ બહાર પાડી છે. એરપોર્ટ પર ભીડ અને ફ્લાઇટમાં વિલંબની વધતી ઘટનાઓ વચ્ચે આ નવી ગાઇડલાઇન્સ જાહેર થઇ છે. નવા નિર્દેશ મુજબ, હવે ફ્લાઈટમાં બોર્ડિંગ કર્યા પછી, મુસાફરો લાંબા સમય સુધી ફ્લાઈંગ ન કરવાના કિસ્સામાં બહાર નીકળી શકશે. બીસીએએસના ડાયરેક્ટર જનરલ ઝુલ્ફીકાર હસને સોમવારે જણાવ્યું કે એરલાઈન્સ અને એરપોર્ટ ઓપરેટરો માટે 30 માર્ચે નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી અને હવે આનો અમલ શરૂ થઇ ચૂક્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો