Money9 Gujarati:
જીરું બાદ તુવેર, અડદ અને મગ જેવા મુખ્ય કઠોળ અને દાળના ભાવમાં પણ તેજી શરૂ થઈ છે. ભારતમાં સૌથી વધુ ખવાતા ત્રણ કઠોળ – મગ, અડદ અને તુવેરના ભાવ વધવા લાગ્યા છે. છેલ્લાં એક વર્ષમાં કઠોળની કિંમતમાં 55 ટકા સુધીનો વધારો નોંધાયો છે. સપ્લાય ઘટવાથી આ ત્રણેય કઠોળના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
ભાવ વધવાના કારણ ગઈ ખરીફ સીઝનમાં તુવેરનું વાવેતર ઘટ્યું હતું અને હવામાનની વિપરીત અસરને કારણે તુવેરનો પાક ઓછો મળ્યો હતો, જેના કારણે બજારમાં તેજીને હવા મળી છે. ગયા ખેતી વર્ષની ખરીફ અને ઉનાળુ સીઝનમાં મગ અને અડદનું વાવેતર ઘટ્યું હતું, જેથી આ બંને કઠોળનું ઉત્પાદન પણ ઘટ્યું હતું અને માંગ સામે પુરવઠો ખોરવાઈ જવાથી કિંમતમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન સારા ચોમાસાને કારણે મગ અને અડદનાં વાવેતર કરીને ઉતારા લેવામાં ખેડૂતો ફાવ્યા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષની ઉનાળુ સીઝનમાં ખેડૂતોએ મગ અને અડદના વાવેતરને કોરાણે મૂકીને સફેદ તલનું વાવેતર વધાર્યું હોવાની માહિતી મળી રહી છે.
કઠોળનો વાવેતર વિસ્તાર ઉનાળુ પાકના વાવેતર વિસ્તારની વાત કરીએ તો, 2022માં મે મહિના સુધીમાં કુલ 19.09 લાખ હેક્ટરમાં કઠોળનું વાવેતર થયું હતું, જેની સામે ચાલુ વર્ષે 19.81 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. મગનો વાવેતર વિસ્તાર ગયા વર્ષે 15.56 લાખ હેક્ટરથી 4.95 ટકા વધીને 16.33 લાખ હેક્ટરમાં થયું છે જ્યારે અડદનું વાવેતર માત્ર 0.31 ટકા વધ્યું છે. અડદનો વાવેતર વિસ્તાર 3.25 લાખ હેક્ટર નોંધાયો છે, જે ગયા વર્ષે 3.24 લાખ હેક્ટર હતો.
કેટલા ભાવ વધ્યા? 2022ના મે મહિનાના અંતે 20 કિલો મગની કિંમત રૂ.1,000થી રૂ.1,300ની વચ્ચે હતી, પરંતુ ચાલુ વર્ષના મે મહિનાના અંતે સરેરાશ ભાવ રૂ.1,500થી રૂ.1,700ની વચ્ચે બોલાયો છે. અડદની કિંમત ગયા વર્ષે રૂ.1,100થી રૂ.1,250ની વચ્ચે હતી, જે આ વખતે રૂ.1,400થી રૂ.1,600ની વચ્ચે પહોંચી છે જ્યારે તુવેરની કિંમત રૂ.900થી રૂ.1,100થી વધીને આ વખતે રૂ.1,400થી રૂ.1,700ની રેન્જમાં પહોંચી ગઈ છે. માંગને પૂરી કરવા માટે ભારતે કઠોળની આયાત કરવી પડે છે. ગઈ ખરીફ સીઝનમાં કઠોળનું વાવેતર પણ ઘટ્યું હતું. આયાત કરીને જે કઠોળ ભારતમાં આવે છે તેનો સપ્લાય ઓછો છે, એટલે ભાવમાં વધારો થઈ રહ્યો છે. આમ, જીરુંના ભાવમાં લાલચોળ તેજી બાદ હવે કઠોળના ભાવમાં પણ તેજી શરૂ થઈ છે. 2023ના પ્રારંભે બ્રાન્ડેડ સુપર તુવેર દાળનો ભાવ પ્રતિ 100 કિલો રૂ.10,900થી રૂ.12,600 હતો. મે મહિનાના અંતે તેની કિંમત વધીને રૂ.13,500થી રૂ.15,000 બોલાઈ રહ્યો છે. આમ, 100 કિલોએ જથ્થાબંધ ભાવમાં રૂ.2,600નો વધારો થયો છે. અત્યારે ગુજરાતના માર્કેટ યાર્ડ્સમાં ઠલવાઈ રહેલી કર્ણાટકની તુવેર દાળનો ભાવ રૂ.10,200 જ્યારે ચેન્નાઈની તુવેરદાળનો ભાવ રૂ.9,500 બોલાયો છે.
સંગ્રહખોરી પર લગામ સંગ્રહખોરીને અંકુશમાં રાખવા માટે સરકારે તાજેતરમાં કઠોળના આયાતકારોને નિયમિતપણે માહિતી આપવાની પણ સૂચના આપી હતી. ભાવ અંકુશમાં રહે તે માટે સરકારે આપેલી આ સૂચના બાદ મિલરો, વેપારીઓ, આયાતકારો અને સ્ટોકિસ્ટોએ દર સપ્તાહે તેમની પાસે કેટલો જથ્થો છે તેની વિગતો અપલોડ કરવો પડે છે. જેટલા માલની નોંધણી થાય છે તેની ખરાઈ કરવા માટે રાજ્ય સરકારને જાહેર તથા ખાનગી વેરહાઉસ સર્વિસ પ્રોવાઈડર્સ પાસેથી ડેટા મેળવવાની પણ સૂચના આપવામાં આવી છે.
આયાત પર નિર્ભર ખાદ્યતેલની ખોટ પુરવા માટે આપણે જેમ આયાતી તેલ પર નિર્ભર છીએ, એ રીતે દેશમાં કઠોળની જરૂરિયાતનો ખાડો પુરવા માટે આપણે કઠોળની આયાત કરવી પડે છે. સરકાર કઠોળ અને ખાદ્યતેલની ખોટ પુરવા માટે વારંવાર ખેડૂતો માટે તેલીબિયા પાકો અને કઠોળ પાકોનું વાવેતર વધારવા પ્રોત્સાહક યોજનાઓ મુકે છે, તો પણ હજુ આપણે તેલ કે કઠોળની જરૂરિયાતમાં આત્મનિર્ભર થઇ શક્યા નથી. વિતેલ ખેતી વર્ષમાં તુવેર, મગ અને અડદની પુરવઠા ખેંચને કારણે બજારોમાં તેજીનો માહોલ છે. તુવેર દાળનું ઉત્પાદન ઘટવાથી ભારતે 8.50 લાખ ટન તુવેર દાળની આયાત કરવી પડી છે. આપણે કુલ જરૂરિયાતની 60 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, પાક વર્ષ 2023-24 (જુલાઈ-જૂન) માટે સરકારે 33.2 કરોડ ટન ખાદ્યાન્ન ઉત્પાદનનો (ડાંગર, ઘઉં, દાળ, તેલીબિયાં અને જાડાં અનાજ) ટાર્ગેટ નક્કી કર્યો હતો. અગાઉ સરકારે 32.35 કરોડ ટનનો અંદાજિત આંકડો આપ્યો હતો, પરંતુ બાદમાં સરકારે તેમાં નજીવો વધારો કર્યો હતો. હવામાન વિભાગે ચોમાસા દરમિયાન અલ નિનોની પરિસ્થિતિની શક્યતા વ્યક્ત કરી છે અને ઓછો વરસાદ વરસવાની આગાહી કરી છે, છતાં સરકારે ડાંગર, ઘઉં, દાળ, તેલીબિયાં અને જાડાં અનાજના ઉત્પાદનનો ટાર્ગેટ વધાર્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો