MONEY9 GUJARATI: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
કેરળમાં ચોમાસુ બેઠું આખરે ચોમાસુ બેઠું ખરું. આમ તો, ભારતમાં ચોમાસુ બેસવાની સત્તાવાર તારીખ પહેલી જૂન છે, પરંતુ આ વખતે એક સપ્તાહ મોડું થયું છે. નૈઋત્ય દિશાથી આવેલા ચોમાસાએ ભારતમાં કેરળથી પ્રવેશ કર્યો હોવાની જાહેરાત હવામાન વિભાગે કરી છે. ચોમાસાની ચાતકનજરે રાહ જોવાઈ રહી હતી કારણ કે, અરબી સમુદ્રમાં ગાંડું થયેલું વાવાઝોડું વિલન બનીને ચોમાસાને ભારત તરફ જતા રોકતું હતું. પણ હવે વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે એટલે, ચોમાસુ ભારતની ધરતી પર પહોંચી ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં કર્ણાટક અને તામિલ નાડુના કેટલાક વિસ્તારોમાં ચોમાસુ પહોંચી જશે. ગુજરાતમાં ચોમાસુ 20થી 25 જૂને શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચેક દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો માહોલ જોવા મળશે અને ગાજવીજ સાથે ઠંડા પવન ફૂંકાવાની શક્યતા છે.
સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજ દરની સમીક્ષા થશે જો તમે સ્મોલ સેવિંગ સ્કીમમાં પૈસા રોકતા હશો, તો તમને ખુશખબર મળી શકે છે. સરકાર ટૂંક સમયમાં નાની બચત યોજનાના વ્યાજ દર વધારે તેવી શક્યતા છે. છેલ્લે માર્ચ મહિનામાં સરકારે એપ્રિલથી જૂન ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજના, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ તેમજ પૉસ્ટ ઑફિસની ટર્મ ડિપોઝિટના વ્યાજ દર વધારવામાં આવ્યા હતા, પરંતુ પબ્લિક પ્રૉવડન્ટ ફંડ એટલે કે, પીપીએફના વ્યાજ દર યથાવત્ રાખવામાં આવ્યા હતા. એટલે આ વખતે પીપીએફના વ્યાજ દર વધારવામાં આવે તેવી શક્યતા છે. અત્યારે પીપીએફમાં વાર્ષિક 7.1 ટકા વ્યાજ મળે છે. કોરોના વખતે પીપીએફના વ્યાજ દર 7.9 ટકાથી ઘટાડીને 7.1 ટકા કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેમાં કોઈ વધારો થયો નથી. છેલ્લાં 1 વર્ષમાં બેન્કોએ ફિક્સ્ડ ડિપોઝિટના દર વધારી દીધા છે અને સરકારની તમામ બચત યોજનાના દર પણ વધ્યા છે, પરંતુ તેની સામે પીપીએફના વ્યાજ દર છેક એપ્રિલ 2020થી જેમના તેમ છે.
Rs 2,000ની 50% નોટ બેન્કોમાં પહોંચી ગઈઃ RBI બજારમાં ફરતી 2,000 રૂપિયાની 50 ટકા નોટ બેન્કોમાં પહોંચી ગઈ છે. રિઝર્વ બેન્કે 23 મેથી 2,000 રૂપિયાની નોટો એક્સચેન્જ કરાવવું અને જમા કરાવવાનું શરૂ કર્યું હતું. ત્યારથી 7 જૂન સુધીમાં 50 ટકા નોટ બેન્કોમાં પહોંચી ગઈ હોવાનું રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું છે. 2,000ની નોટો જમા કરાવવાની અથવા તો એક્સચેન્જ કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર-2023 છે. રિઝર્વ બેન્કની જાહેરાત અગાઉ બજારમાં 2,000 રૂપિયાની નોટોનું મૂલ્ય 3.62 લાખ કરોડ રૂપિયા હતું અને તેમાંથી 1.8 લાખ કરોડ રૂપિયાની નોટો બેન્કોમાં પહોંચી ગઈ છે. બેન્કો પાસે જે નોટ પહોંચી છે, તેમાંથી લગભગ 85 ટકા નોટ ડિપોઝિટ તરીકે જમા થઈ છે અને બાકીની નોટ લોકોએ એક્સચેન્જ કરાવી છે. આમ, એક વાત તો સ્પષ્ટ છે કે, રિઝર્વ બેન્કના આદેશ બાદ, બેન્કો પાસે જમા રકમમાં જબરજસ્ત વધારો થયો છે.
બેન્કો પણ ઈશ્યૂ કરશે રૂપે ફોકેસ્ટ પ્રિપેડ કાર્ડ રિઝર્વ બેન્કે વૈશ્વિક માર્કેટમાં રૂપે કાર્ડનો વ્યાપ વધારવાની દિશામાં કવાયત શરૂ કરી છે. RBI ટૂંક સમયમાં બેન્કોને રૂપે ફોરેક્સ પ્રિપેડ કાર્ડ ઈશ્યૂ કરવાની છૂટ આપશે. આ કાર્ડથી વિદેશ જનારા લોકોને ફાયદો થશે. એટલું જ નહીં, RBIએ ઈ-રૂપી વાઉચરનો વ્યાપ વધારવાની પણ જાહેરાત કરી છે. રિઝર્વ બેન્કના આ પગલાંથી વિદેશમાં બિઝનેસ માટે જતા લોકોને, વિદ્યાર્થીઓને તેમજ ફોરેન ટૂર પર જતા પ્રવાસીઓને ફાયદો થશે. તમે અન્ય દેશોમાં પણ રૂપે કાર્ડનો ઉપયોગ કરી શકશો અને ત્યાં સરળતાથી પૈસાની લેવડદેવડ કરી શકશો. અન્ય દેશોનાં એટીએમમાં, પૉઈન્ટ ઓફ સેલ્સ મશીનમાં અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં પણ ફોરેક્સ કાર્ડ ચાલશે. આ ઉપરાંત, વિદેશમાં રૂપે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને પ્રિપેડ કાર્ડ ઈશ્યૂ કરવાની મંજૂરી આપવામાં આવશે, જેનો ઉપયોગ ભારતની સાથે સાથે અન્ય દેશોમાં પણ થઈ શકશે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાની શક્યતા શું પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે? રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ક્રૂડના ભાવ 100 ડૉલરની ઉપર પહોંચી ગયા હતા ત્યારથી પેટ્રોલ અને ડીઝલ મોંઘુંદાટ થઈ ગયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ લેવલે છે. પરંતુ ક્રૂડ ઓઈલના ભાવ હવે ઘટીને 75 ડૉલરની નીચે જતા રહ્યાં છે છતાં, પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાની નજીક જેમના તેમ છે. બજારમાં ચર્ચા છે કે, ચૂંટણી વખતે ભાવમાં ઘટાડો થશે. 2023ના અંતે કેટલાક રાજ્યોમાં ચૂંટણી છે અને ત્યારે સરકાર રાહત આપે તેવી શક્યતા છે. પરંતુ, ઓઈલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, જો IOC, BPCL અને HPCL વધુ એક ક્વાર્ટરમાં સારું પ્રદર્શન કરશે તો, પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમત ઘટી શકે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓની સ્થિતિ સુધરી રહી છે અને આ કંપનીઓ ભાવમાં ઘટાડો કરી શકે છે. કંપનીઓની ખોટ ઘટી છે અને હવે તે નોર્મલ સ્થિતિની નજીક પહોંચી છે.
વરિષ્ઠ નાગરિકોની બચત યોજનાનું આકર્ષણ વધ્યું વરિષ્ઠ નાગરિકો માટેની નાની બચત યોજનાનું આકર્ષણ વધી રહ્યું છે. સરકારની સીનિયર સીટિઝન સેવિંગ્સ સ્કીમમાં પૈસા મૂકનારા લોકોની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે. નાણા મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર, 2022ના મે મહિનાની તુલનાએ 2023ના મે મહિનામાં આ સ્મોલ સેવિંગ સ્કીમમાં થતું રોકાણ ચાર ગણું વધી ગયું છે. મે મહિનામાં આ સ્કીમમાં 24,000 કરોડ રૂપિયાનું કલેક્શન નોંધાયું છે. એપ્રિલ મહિનામાં પણ તેમાં 13,000 કરોડ રૂપિયાનું કલેક્શન આવ્યું હતું, એટલે કે, માસિક ધોરણે પણ મે મહિનામાં 85 ટકા વધારે કલેક્શન નોંધાયું છે. સરકારે બજેટમાં સીનિયર સીટિઝન સેવિંગ્સ સ્કીમમાં ડિપોઝિટની લિમિટ વાર્ષિક 15 લાખથી વધારીને 30 લાખ કરી હતી. આ સ્કીમમાં 8.2 ટકા વ્યાજ મળે છે અને તેની ચૂકવણી ત્રિમાસિક ધોરણે થાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો