MONEY9 GUJARATI: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
કપાસના ભાવ તૂટ્યા છેલ્લાં પખવાડિયામાં કપાસના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. વાયદા બજારમાં કપાસના ભાવ 8થી 10 ટકા જ્યારે હાજર બજારમાં ભાવ 13 ટકા સુધી ઘટ્યા છે. છેલ્લાં એક મહિનામાં કપાસની કિંમત પ્રતિ 20 કિલો રૂ.175 સુધી તૂટી છે જ્યારે છેલ્લાં ત્રણેક દિવસમાં ભાવમાં રૂ.60નો ઘટાડો થયો છે. કપાસની કિંમત હજુ પણ ઘટવાની શક્યતા છે. આ શક્યતાને આધાર બનાવીને જિનર્સ અને સ્પીનર્સ જરૂરિયાત પૂરતી ખરીદી કરી રહ્યાં છે, જ્યારે ખેડૂતો ભાવ તૂટવાની બીકમાં માલ ઠાલવી રહ્યાં છે. માર્કેટ યાર્ડ્સમાં ગાડીઓ ભરીભરીને માલ ઠલવાઈ રહ્યો હોવાથી કિંમતમાં તીવ્રપણે ઘટાડો થયો છે. ગયા વર્ષે કપાસના ખેડૂતોને રૂ.2,700 સુધીનો ભાવ મળ્યો હતો, પરંતુ મે-2023માં ભાવ રૂ.1,500ની નીચે પહોંચી ગયો છે. ખેડૂતોની ઈચ્છા હતી કે, રૂ.2,000 જેટલો ભાવ મળશે, પરંતુ હવે બીક છે કે, જલદી માલ નહીં વેચીએ તો રૂ.1,000માં માલ વેચવો પડશે. થોડા દિવસો અગાઉ દરરોજ સરેરાશ 20,000 ગાંસડી (1 ગાંસડી બરાબર 170 કિલો) કપાસનો માલ ઠલવાતો હતો, પરંતુ હવે તે પાંચ ગણો વધી ગયો છે અને 1 લાખ ગાંસડી માલ ઠલવાઈ રહ્યો છે. મે મહિનામાં આટલો બધો કપાસ ઠલવાતો જોઈને માર્કેટયાર્ડ્સના વેપારીઓ અને અધિકારીઓને પણ નવાઈ લાગી છે
ખેતીનો પાક ગીરવે મૂકીને લોન લેવાનું પ્રમાણ વધ્યું ખેડૂતો અને વેપારીઓ દ્વારા પાક ગીરવે મૂકીને પૈસા ઉપાડવાનું પ્રમાણ 7 ગણું વધી ગયું છે. 2019-20માં પાક ગીરવે મૂકીને લેવામાં આવેલી લોનનો આંકડો રૂ.379 કરોડ હતો, જે 2022-23માં વધીને રૂ.2,442 કરોડ થઈ ગયો છે. પાક ગીરવે મૂકીને લોન લેવા માટે વેરહાઉસની ડિજિટલ રિસિટ લેવી જરૂરી છે. બેન્કોએ 2022-23માં ચોખા સામે રૂ.220 કરોડની જ્યારે ચણા અને એરંડા સામે દોઢસો-દોઢસો કરોડની લોન આપી હતી. સરસવનો પાક ગીરવે મૂકનારા લોકોને રૂ.130 કરડોની જ્યારે ઘઉં ગીરવે મૂકનારા લોકોને રૂ.80 કરોડની લોન આપવામાં આવી હતી. બેન્કો પાકના મૂલ્યના 65 ટકાથી 75 ટકા લોન આપે છે. આવી લોન માટે બેન્કો સાડા આઠ ટકાથી 11 ટકા જેટલું વ્યાજ વસૂલે છે. પાક ગીરવે મૂકીને લોન લેનારા સૌથી વધુ લોકો રાજસ્થાનમાં છે અને ત્યારબાદ ગુજરાત, મધ્યપ્રદેશ, તામિલનાડુ તથા અન્ય રાજ્યોના ખેડૂતો અને વેપારીઓનો વારો આવો છે.
જિયોમાર્ટે 1,000 કર્મચારીને છૂટા કર્યા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જિયો માર્ટે 1,000 કર્મચારીને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. ઓનલાઈન હોલસેલ પ્લેટફોર્મ JioMartમાં 15,000 કર્મચારી છે. કંપની ખર્ચ ઘટાડવા માટે સ્ટાફની સંખ્યામાં હજુ ઘટાડો કરે તેવી શક્યતા છે. જિયોમાર્ટે તાજેતરમાં મેટ્રો કેશ એન્ડ કેરીને હસ્તગત કરી હતી અને તેનો સ્ટાફ પણ સમાવ્યો હતો. આથી, સ્ટાફનું ઓવરલેપિંગ થતું હોવાથી, કંપનીએ કર્મચારી ઘટાડ્યા છે. કંપનીએ કેટલાક કર્મચારીને પર્ફોર્મન્સ ઈમ્પ્રૂવમેન્ટ પ્લાન હેઠળ પણ મૂક્યા છે, એટલે જો તેમનું પર્ફોર્મન્સ નહીં સુધરે તો તેમને પણ છૂટા કરવામાં આવશે.
વેદાંતા આપશે 1,850% ડિવિડન્ડઃ બોર્ડે આપી મંજૂરી મહાકાય માઈનિંગ કંપની વેદાંતાના બોર્ડે નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રથમ ડિવિડન્ડને મંજૂરી આપી છે. એટલે રોકાણકારોને શેર દીઠ સાડા અઢાર રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ મળશે. બોર્ડે ડિવિડન્ડ માટે 30 મે રેકોર્ડ ડેટ નક્કી કરી છે. વેદાંતાના શેર્સ આ રેકોર્ડ ડેટ પર અથવા એક દિવસ અગાઉ એક્સ-ડિવિડન્ડ થશે. કંપનીએ છેલ્લાં 12 મહિનામાં શેર દીઠ રૂ.70 ડિવિડન્ડ જાહેર કર્યું છે, જેથી ડિવિડન્ડ યીલ્ડ 24.35 ટકાના ઊંચા સ્તરે પહોચી છે. નાણાકીય વર્ષ 2022-23 માટે વેદાંતાએ પાંચ વખત ડિવિડન્ડની જાહેરાત કરી હતી અને શેર દીઠ કુલ રૂ.101.50 ડિવિડન્ડ ચૂકવ્યું હતું. 23 મે-મંગળવારના રોજ વેદાંતાનો શેર 0.38 ટકા વધીને રૂ.288.60એ બંધ રહ્યો હતો.
માર્ચ મહિનામાં 66 લાખ 4G સબ્સક્રાઈબર્સ વધ્યા રિલાયન્સ જિયોએ માર્ચ મહિનામાં 30 લાખથી વધુ 4G સબ્સક્રાઈબર્સ ઉમેર્યાં છે. તેની કટ્ટર હરીફ એરટેલે માર્ચમાં 20 લાખથી વધુ જ્યારે વોડાફોન આઈડિયાએ 10 લાખથી વધુ 4G ગ્રાહકો મેળવ્યા છે. આમ, દેશમાં માર્ચના અંતે 4G ગ્રાહકોની કુલ સંખ્યા વધીને 81.3 કરોડ થઈ ગઈ છે. ટ્રાઈ દ્વારા જાહેર થયેલા આંકડા અનુસાર, દેશમાં કુલ મોબાઈલ યુઝરની સંખ્યા 19.6 લાખ વધીને 1.144 અબજે પહોંચી છે. દેશનાં વાયરલેસ સબ્સક્રાઈબર્સ માર્કેટના 37.61 ટકા બજાર પર જિયોનો કબજો છે જ્યારે એરટેલ પાસે 32.42 ટકા બજારહિસ્સો છે. 20.70 ટકા હિસ્સા સાથે વોડાફોન આઈડિયા ત્રીજા ક્રમે છે. સરકારી કંપની BSNLએ સતત પંદરમા મહિને વાયરલેસ ગ્રાહકો ગુમાવ્યા છે. માર્ચમાં કંપનીએ 5.2 લાખ ગ્રાહકો ગુમાવ્યા હતા અને તેના કુલ સબ્સક્રાઈબરનો આંકડો 10.358 કરોડ થયો હતો.
યુનિયન બેન્કે વધાર્યાં FDના વ્યાજ દર સરકારી ધિરાણકર્તા, યુનિયન બેન્ક ઑફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટ વધાર્યાં છે. જો તમે આ બેન્કમાં 399 દિવસ માટે FD કરાવશો તો 7 ટકા વ્યાજ મળશે. પાંચ વર્ષની FD પર 6.70 ટકા વ્યાજ મળશે. જો માત્ર 7 દિવસની FD કરાવશો તો, બેન્ક તમને 3 ટકા ઈન્ટરેસ્ટ રેટ ચૂકવશે. 1 વર્ષની FD માટે બેન્કે 6.30 ટકા વ્યાજ દર નક્કી કર્યો છે. જો તમે સીનિયર સીટિઝન હશો તો, બેન્ક તમને અડધો ટકો વધુ વ્યાજ ચૂકવશે.
WhatsAppમાં આવશે નવું ફીચર WhatsAppમાં નવું ફીચર ઉમેરાયું છે. ધારો કે, તમે કોઈ મેસેજ સેન્ડ કરી દીધો હશે અને બાદમાં એવું લાગશે કે તેમાં સુધારો કરવાની જરૂર હતી, તો તમે મેસેજ મોકલ્યા પછીની 15 મિનિટની અંદર તેને એડિટ કરી શકશો. એડિટિંગ ફીચર દુનિયાના કેટલાક દેશોમાં આવી ગયું છે અને આગામી થોડાક સપ્તાહમાં તમામ યુઝરને તેનું અપડેટ નોટિફિકેશન મળી જશે. ઈન્ટાગ્રામની જેમ વ્હોટ્સએપમાં પણ એડિટેડ લેબલનો ઓપ્શન મળશે. મેસેજ એડિટ કરવા માટે તમારે સેન્ટ મેસેજ પર પ્રેસ કરવું પડશે અને ડ્રોપ-ડાઉન મેન્યુમાં એડિટ ઓપ્શન સિલેક્ટ કરીને મેસેજ ચેન્જ કરવાનો રહેશે.
સ્પાઈસજેટ માત્ર Rs 1,818માં આપશે ફ્લાઈટ ટિકિટ બજેટ એરલાઈન, સ્પાઈસજેટ 18 વર્ષની થઈ છે. 18 વર્ષની ઉજવણી કરવા માટે સ્પાઈસજેટે સસ્તા હવાઈભાડાંની જાહેરાત કરી છે. એરલાઈને 1,818 રૂપિયામાં ફ્લાઈટની ટિકિટ આપવાની જાહેરાત કરી છે. આ ઓફર બેંગાલુરુથી ગોવા અને મુંબઈથી ગોવા જેવા રૂટ માટે ઉપલબ્ધ છે. 23 મેથી શરૂ થયેલી આ ઓફરની છેલ્લી તારીખ 28 મે છે. આ તારીખ દરમિયાન, તમે પહેલી જુલાઈથી લઈને છેક 2024ની 30 માર્ચ સુધીના દિવસની ટિકિટ બુક કરાવી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો