Money9 Gujarati:
મેનકાઈન્ડ ફાર્માએ તેના IPOમાં પૈસા લગાવનારા રોકાણકારોને સારું વળતર આપ્યું છે. નવમી મે-મંગળવારના રોજ મેનકાઈન્ડ ફાર્માનો શેર લિસ્ટ થયો હતો. કંપનીએ 1,080ના ભાવે શેર ઈશ્યૂ કર્યા હતા, જેની સામે તેનું લિસ્ટિંગ 1,300 રૂપિયાના ભાવે થયું હતું. દિવસ દરમિયાન મેનકાઈન્ડ ફાર્માનો શેર 1,430ના હાઈ લેવલે પહોંચી ગયો હતો અને દિવસના અંતે રૂ.1,424.05ના સ્તરે બંધ રહ્યો હતો. આમ, લિસ્ટિંગના દિવસે, શેર દીઠ 350 રૂપિયાનો ફાયદો થયો છે અને 33 ટકા રિટર્ન છૂટ્યું છે. આ ભાવે કંપનીની માર્કેટ-કેપ 7 અબજ ડૉલરને પાર થઈ ગઈ છે. મેનકાઈન્ડ ફાર્મા તેની મેનફૉર્સ કોન્ડોમ્સ, પ્રેગા ન્યૂઝ પ્રેગ્નેન્સી ટેસ્ટ કીટ અને અનવોન્ટેડ 72 જેવી otc પ્રોડક્ટ્સ માટે જાણીતી છે. 2023માં આ સૌથી ઊંચા ભાવે થયેલું લિસ્ટિંગ છે. મેનકાઈન્ડ ફાર્માને ભારતનાં ફાર્મા માર્કેટમાંથી 98 ટકા આવક થાય છે, જેમાંથી 90 ટકા આવક પ્રિસ્ક્રિપ્શન ફાર્માસ્યુટિકલ્સમાંથી થાય છે.
IPOને મળ્યો સારો પ્રતિસાદઃ 1991માં સ્થપાયેલી મેનકાઈન્ડ ફાર્માનો રૂ. 4,326 કરોડનો IPO એકંદરે 15 ગણાથી વધુ સબસ્ક્રાઇબ થયો હતો. બીજી તરફ ગ્રે માર્કેટની વાત કરીએ તો તેના શેરમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. તેનો IPO 25 એપ્રિલથી 27 એપ્રિલની વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. IPOને 15 ગણાથી વધુ સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. DRHP (ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ) અનુસાર, કંપનીએ IPOમાં નવા શેર ઈશ્યૂ કર્યા હતા, એટલે કે, તે સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) ઈશ્યૂ હતો. IPOમાં કંપનીના વર્તમાન ઈન્વેસ્ટર્સ અને પ્રમોટર્સે પોતપોતાનો હિસ્સો વેચ્યો છે. OFSમાં શેર વેચનારા પ્રમોટરોમાં રમેશ જુનેજા, રાજીવ જુનેજા અને શીતલ અરોરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેર્નહિલ CIPEF, Cairnhill CGPE, Beige Ltd અને Link Investment Trustએ શેર વેચ્યા હતા.
એક્સપર્ટનો વ્યૂઃ શેરબજારના નિષ્ણાતોએ મેનકાઇન્ડ ફાર્મા પર લાંબા ગાળા માટે ‘બાય’ રેટિંગ આપ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે, મેનકાઇન્ડ ફાર્મા દ્વારા તેના IPO માટે માંગવામાં આવેલ વેલ્યુએશન થોડું મોંઘું હોવા છતાં લાંબા ગાળે તે સારું વળતર આપી શકે છે. સમય જતાં કંપનીનું વેલ્યુએશન વધી શકે છે. બ્રોકરેજ કંપની Macquarieએ મેનકાઈન્ડ ફાર્મા માટે આઉટપર્ફોર્મ રેટિંગ આપ્યું છે. Macquarieના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, “એબોટ્ટ, GSK અને ફાઈઝર ઈન્ડિયા જેવા પ્યોર પ્લે ડોમેસ્ટિક પ્લેયર્સ માટે સરેરાશ 31 ગણો PER છે, જેની સામે મેનકાઈન્ડ ફાર્મા માટે અમે 25 ગણો PER આપ્યો છે, જે 20 ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે.” મોતીલાલ ઓસવાલના ઈક્વિટી સ્ટ્રેટેજી હેડ હેમાંગ જાની કહે છે કે, “પ્રાઈમરી માર્કેટમાં ઘણા લાંબા સમય બાદ સારો IPO આવ્યો હોવાથી, રોકાણકારોમાં ઉત્સાહ છે. છેલ્લાં એક વર્ષથી હેલ્થકેર સેક્ટર પાછળ પડી ગયું હતું, પરંતુ છેલ્લાં બે મહિનાથી તેમાં હિલચાલ જોવા મળી છે, કારણ કે, માસિક ફાર્મા ડેટા સુધારા તરફ ઈશારો કરી રહ્યાં છે. આ પરિબળને લીધે મેનકાઈન્ડ ફાર્માને તેના એન્કર ક્લાયન્ટ્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો, કારણ કે, કંપનીનો બિઝનેસ ડોમેસ્ટિક-માર્કેટને કેન્દ્રિત છે તેમજ ક્રોનિક અને કન્ઝ્યુમર હેલ્થકેર સેગમેન્ટ એમ બંનેમાં બ્રાન્ડ રિકોલ ધરાવે છે.”
કંપનીની ભાવિ યોજનાઃ મેનકાઈન્ડ ફાર્મા વર્ષ 2022માં વેચાણની દૃષ્ટિએ ભારતની ચોથી સૌથી મોટી કંપની બની ગઈ હતી. કંપની પાસે 600 વૈજ્ઞાનિકોની ટીમ છે અને દેશભરમાં 25 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. 2021-22માં કંપનીની આવક રૂ. 8,000 કરોડ અને EBIDTA રૂ. 2,200 કરોડ હતો. ભારત ઉપરાંત કંપનીના મુખ્ય બજારોમાં અમેરિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળનો સમાવેશ થાય છે. મેનકાઇન્ડ ફાર્મા ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન અને કન્ઝ્યુમર હેલ્થકેર સેક્ટરમાં કામ કરે છે. કંપની તેના સંશોધન અને વિકાસ કેન્દ્રોનું વિસ્તરણ તેમજ નવા ક્ષેત્રોમાં સાહસ કરી રહી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માત્ર સમાચાર પૂરતી મર્યાદિત છે, તેને રોકાણની સલાહ તરીકે ગણતરીમાં લેવી નહીં. આ ખબર લખનાર વ્યક્તિ પાસે તેના શેર નથી. રોકાણ કરવા માટે રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ લેવી.)
અન્ય સમાચારઃ https://www.instagram.com/money9gujarati/reels/
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો