MONEY9: કોરોનાકાળમાં દેશનાં હવાઈમથકો પર ચકલું યે ફરકતું નહોતું, ત્યાં હવે કીડિયારું ઊભરાઈ રહ્યું છે. કોરોના વખતે જેટલા પણ પ્રતિબંધો લાગ્યા હતા, તે હટી જવાથી એરપોર્ટ્સ પર લોકોનાં ટોળેટોળાં ઊમટી રહ્યાં છે. દેશનાં તમામ મુખ્ય એરપોર્ટ પર મુસાફરોની લાંબી-લાંબી લાઈનો જોવા મળી રહી છે. આટલા બધા પ્રવાસીઓને સાચવવામાં એરપોર્ટ્સ સંચાલકોની આંખે પાણી આવી ગયા છે. જોકે, પ્રવાસીએ તો ખિસ્સા ખાલી કરીને પણ અવ્યવસ્થાનો ભોગ બનવાનો વારો આવ્યો છે. એક તો, ફ્લાઈટની ટિકિટો મોંઘીદાટ છે અને એરપોર્ટ પર ધક્કામુક્કી અને અફરાતફરીનો ભોગ પણ બનવું પડે છે. સૌથી ખરાબ હાલત તો, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની અને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશલ એરપોર્ટની છે. આ સિવાય, બેંગાલુરુ એરપોર્ટના ડોમેસ્ટિક ડિપાર્ચરનો સિક્યૉરિટી ચેકિંગ એરિયા ઘણો નાનો હોવાથી પ્રવાસીઓ પરેશાનીનો સામનો કરી રહ્યાં છે.., નવરાત્રિ અને દુર્ગાપૂજા વખતે કોલકાતા એરપોર્ટ પર સર્જાયેલી અવ્યવસ્થાએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કોલકાતા એરપોર્ટ પર વ્યસ્ત દિવસો દરમિયાન પ્રવાસીઓની સંખ્યા 40 હજાર સુધી પહોંચતી હોય છે, પરંતુ આ વખતે તો એરપોર્ટ પર 50 હજારથી પણ વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. કોવિડ મહામારી આવી તે અગાઉ ભારતમાં એક દિવસમાં મહત્તમ 4.07 લાખ સ્થાનિક પ્રવાસી હવાઈસફર કરતા હતા, પરંતુ કોરોનાએ વિદાય લીધા પછી, આ રેકોર્ડ તૂટી ગયો છે. 5 ડિસેમ્બર-2022ના રોજ 4.13 લાખથી પણ વધુ પ્રવાસી નોંધાયા હતા અને તેની પહેલાં 26 નવેમ્બરે 4.06 લાખ જ્યારે 27 નવેમ્બરે 4.10 લાખ લોકોએ ડોમેસ્ટિક ફ્લાઈટ પકડીને પ્રવાસ ખેડ્યો હતો. ડોમેસ્ટિકની સાથે સાથે ઈન્ટરનેશનલ ફ્લાયર્સની સંખ્યામાં પણ જબરજસ્ત વધારો થયો છે. 2021ના ઓક્ટોબર મહિનામાં લગભગ 22 લાખ ઈન્ટરનેશનલ ટુરીસ્ટે હવાઈસફર કરી હતી અને 2022ના ઓક્ટોબરમાં આ આંકડો ડબલથી પણ વધીને 47 લાખને પાર થઈ ગયો છે. એપ્રિલથી ઓક્ટોબર સુધીના આંકડા જોઈએ.. તો 2021ની સરખામણીએ હવાઈપ્રવાસી 3 ગણા વધીને 3 કરોડને પાર થઈ ગયા છે.., કારણ કે, 2021ના એપ્રિલથી ઓક્ટોબરમાં ઈન્ટરનેશનલ પ્રવાસીની સંખ્યા 84 લાખ રહી હતી. હવાઈમથકો પર પ્રવાસીઓની ભીડ વધવાથી અને અફરાતફરી મચી ગયા બાદ, અંતે સરકાર જાગી છે…, તાજેતરમાં જ ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરપોર્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા તમામ લોકો સાથે બેઠક કરી હતી અને તાત્કાલિક ધોરણે સ્થિતિમાં સુધારો કરવાની સૂચના પણ આપી હતી. સરકારે એરપોર્ટની વ્યવસ્થામાં સુધારો કરવા માટે કેટલાક સૂચનો પણ કર્યા છે. બિઝી અવર્સ દરમિયાન, ફ્લાઈટના અરાઈવલ અને ડિપાર્ચરની વ્યવસ્થા વધુ સારી રીતે પ્લાન કરવાની સૂચના પણ આપી છે. સરકારે સિક્યોરિટી ચેકિંગ અને ઈમિગ્રેશન સંબંધિત વ્યવસ્થા સરળ બનાવવા માટે પણ સૂચના આપી છે. પરંતુ.., જ્યાં સુધી એરપોર્ટ પર મળતી સુવિધામાં સુધારો નહીં થાય અને એરપોર્ટ મેનેજમેન્ટ સક્રિય નહીં થાય ત્યાં સુધી તો, પ્રવાસીએ મોંઘીદાટ ટિકિટ ખરીદીને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કર્યા સિવાય છૂટકો નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો