MONEY9: કેટલીક ફિનટેક (FINTECH) કંપનીઓ ફટાફટ લોન (LOAN) આપીને ગ્રાહકો પાસેથી જબરજસ્તી વસૂલાત કરી રહી છે. આવી ફિનટેક કંપનીઓની એપ (APP) પર સકંજો કસવા માટે RBI નવું નિયમનકારી માળખુ બનાવવાની તૈયારી કરી રહી છે. પરંતુ અનેક લોકો આવી ફિનટેક કંપનીઓના બદઇરાદાનો ભોગ બની ચુક્યા છે.
આ વાત આપણે સંદીપના ઉદાહરણ પરથી સમજીએ. ફાર્મા કંપનીમાં કામ કરતા સંદીપની પાસે ઘણાં મહિનાથી ઇન્સ્ટન્ટ લોનની ઑફર આવી રહી હતી. એક દિવસ અચાનક પૈસાની જરૂરિયાત ઉભી થઇ તો તેણે 10 હજાર રૂપિયાની લોન લીધી. હજુ એક સપ્તાહ જ વીત્યું હશે કે વસૂલાત માટે ધડાધડ ફોન આવવા લાગ્યા. પૈસા ચૂકવવાના આશ્વાસન છતાં એપ સાથે જોડાયેલા લોકોએ સંદીપના મોબાઇલને હેક કરી દીધો. તેમના તમામ પરિચિતો પાસેથી પૈસા ન ચુકવવાની ફરિયાદ કરીને જેલ મોકલવાની ધમકી આપવાની શરૂ કરી દીધી. સંદીપે પૈસા ચુકવવા માટે એમાઉન્ટ પૂછી તો દિવસ અને કલાકના હિસાબે વ્યાજ લગાવીને લાંબી-લચક રકમ જોડી દીધી. આ સમસ્યા ફક્ત સંદીપની જ નથી, આજકાલ ઇન્સ્ટન્ટ લોન આપનારી સેંકડો એપ લોકોને છેતરીને જબરજસ્તી વસૂલાત કરી રહી છે.
દેશમાં ગેરકાયદે કેટલી એપ સક્રિય?
એક રિપોર્ટ અનુસાર દેશમાં 600થી વધુ એપ ગેરકાયદે લોન આપવાનો ધંધો કરી રહી છે. RBIને આ પ્રકારની એપ અંગે 2500થી વધુ ફરિયાદો મળી છે. એક કલાકમાં લોન આપનારી ફિનટેક કંપનીઓ ગ્રાહકો પાસેથી બળજબરીપૂર્વક વસૂલાત કરે છે. લોનના સમયગાળા દરમિયાન દોસ્તો અને પરિવારજનોની નજરમાં ગ્રાહકનું અપમાન પણ કરવામાં આવે છે. આવી હેરાનગતિથી આત્મહત્યાના કેસો પણ વધ્યા છે. આ પ્રકારની ઘટનાઓની નોંધ લઇને RBI ફટાફટ લોન આપનારી એપ માટે એક નિયમનકારી માળખુ તૈયાર કરી રહી છે. આની સાથે જોડાયેલા દિશા-નિર્દેશ લાગુ થયા બાદ ફટાફટ લોન આપનારી ફિનટેક ગ્રાહકો પાસેથી જબરજસ્તી વસૂલાત નહીં કરી શકે.
ફિનટેક કંપની કોને કહેવાય?
જે કંપનીઓ ફાઇનાન્સિયલ ટેક્નોલોજી સાથે જોડાયેલી છે તેમને સામાન્ય ભાષામાં ફિનટેક કહેવાય છે. આ કંપનીઓ નાણાકીય ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇનો ઉપયોગ કરીને કારોબાર કરે છે. ખર્ચ ઘટાડવા માટે આ ફિનટેક મોટાભાગે એપ દ્વારા કામ કરે છે. ફિનટેક કંપનીઓ બે પ્રકારની હોય છે. પહેલી કેટેગરી રજિસ્ટર્ડ ફિનટેકની હોય છે જે સરકાર અને નિયામકની મંજૂરી બાદ કારોબાર કરે છે. તેનું રજિસ્ટર્ડ એડ્રેસ હોય છે. બીજી તરફ એવી ફિનટેક છે જે કોઇપણ જાતની મંજૂરી વગર કારોબાર કરી રહી હોય છે. જેનું કોઇ ઠામઠેકાણું નથી હોતું.
બોગસ ફિનટેક કંપનીથી ચેતજો !
કોઇપણ જાતના દસ્તાવેજ વગર એક કલાકમાં લોન આપવાનો દાવો કરનારી ગેરકાયદે ફિનટેક કંપનીઓ ગ્રાહકોને પહેલા સરળતાથી લોન આપે છે. ત્યારબાદ એઆઇના ઉપયોગથી ગ્રાહકના મોબાઇલ તેમજ ઇમેલથી તેના સગાસંબંધીઓ અને દોસ્તોના ફોન નંબર મેળવી લે છે. જો ગ્રાહક ઇએમઆઇ ચૂકવવામાં ચૂક કરે છે તો તેને તરત લોન ચૂકવવાનું કહેવામાં આવે છે. આમ નહીં કરવા પર તેમના સંબંધીઓને કહી દેવાની ધમકી અપાય છે. દેશમાં ઘણાં એવા કેસો આવી ચૂક્યા છે જેમાં ઘણાં ગ્રાહકોએ આવી ફિનટેક કંપનીઓથી તંગ આવીને આત્મહત્યા કરી લીધી હોય. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને RBI નિયમનકારી માળખું તૈયાર કરી રહી છે.
રજિસ્ટર્ડ એપની ખરાઇ ક્યાંથી કરવી?
એવું નથી કે બધી એપ બનાવટી છે. જે એપ રજિસ્ટર્ડ છે તેની યાદી RBIની વેબસાઇટ પર નોંધાયેલી છે. રિઝર્વ બેંકના નિયમનકારી કાર્યક્ષેત્ર હેઠળ આવનારી કોઇપણ નાણાકીય છેતરપિંડીની ફરિયાદ sachet.rbi.org.in (સાચેત.આરબીઆઇ.ઓઆરજી.ઇન) લિંક પર જઇને કરી શકાય છે. આ ફરિયાદ પર શું કાર્યવાહી થઇ છે, તેને ટ્રેક પણ કરી શકાય છે. RBI ગર્વનર શક્તિકાંત દાસે સલાહ આપી છે કે જે એપ રજિસ્ટર્ડ નથી અને તેના દ્વારા છેતરપીંડિ કરવામાં આવી છે તો તે કેસની ફરિયાદ સ્થાનિક પૉલિસમાં કરો.
ગેરકાયદે કારોબારના કેસમાં EDએ પણ Fintech કંપનીઓ પર સખ્તાઇ વધારી દીથી છે. કેન્દ્રીય એજન્સીએ પેમેન્ટ ગેટવે અને બેંકોને 100 કંપનીઓની યાદી મોકલીને તેમના બેંક ખાતા ફ્રિઝ કરવા માટે કહ્યું છે. EDએ ઘણી કંપનીઓને નોટિસ મોકલીને હાજર થવા પણ કહ્યું છે.
RBI ગર્વનર શક્તિકાંત દાસે આશા વ્યક્ત કરી છે કે નવું નિયમનકારી માળખું ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા લોન આપવા સંબંધિત પડકારોનું સામાધાન કરવામાં સક્ષમ હશે. આ પ્લેટફોર્મ પર ઘણી કંપનીઓ ગેરકાયદે અને રજિસ્ટ્રેશન વગરની ચાલી રહી છે. તેની પર સકંજો કસવામાં આવશે. જેનાથી ફિનટેક સેક્ટરનો ઝડપથી વિસ્તાર શક્ય બનશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો