Money9: ભારતની IT જાયન્ટ ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીએ અલ્મા મેટર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) બોમ્બેને રૂ. 315 કરોડનું દાન કર્યું છે. સંસ્થા સાથેના તેમના જોડાણના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે તેમણે આ દાન આપ્યું છે. નિલેકણીએ અગાઉ સંસ્થાને રૂ. 85 કરોડની ગ્રાન્ટ આપી હતી અને હવે રૂ. 315 કરોડ આપ્યા છે. આ રીતે તેમનું કુલ યોગદાન 400 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. નીલેકણી 1973 માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી માટે આ સંસ્થામાં જોડાયા હતા.
નંદન નિલેકણીએ શું કહ્યું
આ પ્રસંગે બોલતા નંદન નીલેકણીએ જણાવ્યું હતું કે, “IIT-Bombay મારા જીવનનો પાયાનો પથ્થર રહ્યો છે, જેણે મારા શરૂઆતના વર્ષોને આકાર આપ્યો છે અને મારી યાત્રાનો પાયો આઇઆઇટી બોમ્બેથી જ નંખાયો છે. આ દાન માત્ર એક નાણાકીય યોગદાન કરતાં વધુ છે, આ એ જગ્યા માટે મારી એક શ્રદ્ધાંજલિ છે જેણે મને ઘણું બધું આપ્યું છે અને એવા વિદ્યાર્થીઓ માટે પ્રતિબદ્ધતા છે જે આવતીકાલનું દેશનું ભવિષ્ય છે.
IITB ના ડાયરેક્ટર સાથે કર્યા એમઓયુ
IIT બોમ્બેના ડાયરેક્ટર નંદન નીલેકણી અને પ્રોફેસર સુભાષીસ ચૌધરી દ્વારા આજે બેંગલુરુમાં મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ દાન વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના વિકસતા ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહિત કરવા અને IIT બોમ્બેમાં એક સમૃદ્ધ ટેક સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે, એમ રિલીઝમાં જણાવાયું છે.
આ દાન IIT બોમ્બેના વિકાસને મળશે વેગ
નિલેકણીના દાન અંગે IITBના ડાયરેક્ટર સુભાષીષ ચૌધરીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે આ દાન IIT બોમ્બેના વિકાસને ખૂબ જ પ્રોત્સાહન આપશે અને તેને વૈશ્વિક નેતૃત્વના માર્ગ પર નિશ્ચિતપણે સ્થાપિત કરશે. IIT બોમ્બે સંશોધન અને શૈક્ષણિક શ્રેષ્ઠતાના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે જે ભારતને વૈજ્ઞાનિક શોધમાં અગ્રેસર બનાવી શકે છે અને માનવજાત સામેના પડકારોને ઉકેલવા માટે કામ કરી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો