MONEY9: વીમા કંપનીઓ મહત્તમ ગ્રાહકો મેળવવા માટે એજન્ટોને મન મૂકીને કમિશન આપે છે, પરંતુ હવેથી આવા કમિશન પર કાતર ફરી જવાની છે. ભારતમાં વીમા ઉદ્યોગના નિયમનકાર ઈરડા દ્વારા વીમા એજન્ટને પ્રથમ વર્ષે મળતું કમિશન ઘટાડીને 20 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે. સિંગલ પ્રીમિયમ પૉલિસી માટે કમિશનની મર્યાદા બે ટકા રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે.
IRDAની ભલામણ ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ઈરડાએ કંપનીઓ દ્વારા એજન્ટને કેટલું કમિશન આપવામાં આવે છે તેનો ખુલાસો કરવાની પણ ભલામણ કરી છે. ઈરડાની ભલામણ અનુસાર, કંપનીઓએ એજન્ટને કેટલું કમિશન ચૂકવ્યું તેની વિગતો પ્રીમિયમની રસીદ સાથે જાહેર કરવી પડશે. આમ, વીમા ઉદ્યોગમાં થનારા આ સંભવિત ફેરફારનો સીધો ફાયદો પોલિસીધારકોને થશે..
પ્રીમિયમમાં કમિશનનો હિસ્સો સામાન્ય રીતે તો, મોટા ભાગની હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીમાં પ્રીમિયમનો 30 ટકા જેટલો હિસ્સો માત્ર કમિશન પેટે જાય છે. વીમા કંપનીઓ ધંધો મેળવવા માટે તેમના એજન્ટને ઈન્સેન્ટિવ અને કમિશન ચૂકવે છે, જેની વસૂલી પોલિસીધારકો પાસેથી પ્રીમિયમ પેટે કરવામાં આવે છે. અમુક પૉલિસીઓમાં જો ઈન્સેન્ટિવ અને રિવોર્ડ્સનો હિસ્સો ભેગો કરીએ તો, પ્રીમિયમનો 30થી 40 ટકા હિસ્સો માત્ર એજન્ટના ખિસ્સામાં જતો રહે છે અને તેનો સીધો બોજ પૉલિસીહૉલ્ડર્સના ખિસ્સા પર આવે છે. આ બોજ હળવો કરવા માટે ઈરડાએ એક્સપેન્સ ઓફ મેનેજમેન્ટ એટલે કે ઈ.ઓ.એમ. ખર્ચને અંકુશમાં રાખવાનું સૂચન કર્યું છે. ઈ.ઓ.એમ.માં વીમા કંપની દ્વારા એજન્ટને ચૂકવવામાં આવતું કમિશન તેમજ અન્ય ખર્ચા સામેલ છે. જોકે, ઈરડાની ભલામણમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ જીવન વીમા કંપની સમગ્ર નાણાકીય વર્ષમાં નક્કી થયેલા ઈ.ઓ.એમ.ના 70 ટકાથી ઓછો ખર્ચ કરે તો તે એજન્ટનું કમિશન પોતાની રીતે નક્કી કરી શકશે.
…તો શું થશે? ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરની આ ભલામણો અમલમાં મૂકાશે તો, સમગ્ર ઈન્સ્યોરન્સ માર્કેટ પર તેની પોઝિટિવ અસર જોવા મળશે. આમ પણ, ભારતમાં વીમાનો વ્યાપ ઘણો ઓછો છે, જેની પાછળનું મુખ્ય કારણ મોંઘું પ્રીમિયમ છે. આથી, વીમો સસ્તો થશે તો મહત્તમ લોકો તેને ખરીદશે અને આ મિશનને પાર પાડવાના ઈરાદા સાથે ઈરડાએ કવાયત હાથ ધરી છે. જો આગામી દિવસોમાં એજન્ટનું કમિશન ઘટી જાય અને વીમા કંપનીઓના કાર્યકારી ખર્ચ પર અંકુશ આવી જાય તો, વીમા પૉલિસીઓ ઘણી સસ્તી થઈ શકે છે અને મહત્તમ લોકો વીમાના કવચ હેઠળ સામેલ થઈ શકે છે.
વીમા કંપનીઓ પર અસર વીમા કંપનીઓને નવા બિઝનેસ મોડેલ, ઉત્પાદનો, વ્યૂહરચના અને આંતરિક કાર્યપ્રણાલિ તૈયાર કરવામાં મદદરૂપ થવા માટે ઈરડા રેગ્યુલેશન્સ, 2016 કાયદાની સમીક્ષા હાથ ધરવામાં આવી છે. આ કવાયત બાદ, વીમા કંપનીઓને તેમના ગ્રોથના ટાર્ગેટ તેમજ ગ્રાહકોની બદલાતી જરૂરિયાત અનુસાર ખર્ચનું સંચાલન કરવામાં મદદ મળશે.
એક્સપર્ટનો અભિપ્રાય ઈન્સ્યૉરન્સ એક્સપર્ટ વિકાસ સિંઘલનું કહેવું છે કે, એજન્ટોના પ્રથમ વર્ષના કમિશન પર કાપ મૂકવામાં આવશે, તોપણ એજન્ટોની કમાણી પર ખાસ અસર નહીં પડે, કારણ કે, પ્રથમ વર્ષ બાદ એજન્ટોનું કમિશન વધારવાની પણ ભલામણ કરવામાં આવી છે. અત્યારે એજન્ટોને પ્રથમ વર્ષ પછી પાંચથી સાત ટકા કમિશન મળે છે, જેને વધારીને 10 ટકા કરવાની વિચારણા થઈ રહી છે. રસપ્રદ વાત તો એ છે કે, પ્રથમ વર્ષનું કમિશન ઘટવાથી લોકોમાં વીમા પ્રત્યે રસ વધી શકે છે. પરિણામે, દેશમાં વીમા ઉદ્યોગનો વિકાસ થશે અને જેમ-જેમ વીમાની માંગ વધતી જશે, તેમ-તેમ એજન્ટોની કમાણી પણ વધશે જ.
નવા પ્લેટફૉર્મની તૈયારી ઈરડાએ તાજેતરમાં નવું પ્લેટફોર્મ લાવવાની વાત પણ કરી હતી. ઈરડા એક એવું પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે, જેના પર તમામ વીમા કંપનીઓનું લિસ્ટિંગ કરવામાં આવશે. આ પ્લેટફોર્મ પરથી પૉલિસી ખરીદી શકાશે તેમજ પ્રીમિયમની ચૂકવણી સહિતના કામ પણ થઈ શકશે. જો કોઈ વીમા એજન્ટે વીમો વેચવો હશે, તો તેણે આ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ત્યારબાદ તે કોઈ પણ કંપનીની ઈન્સ્યોરન્સ પોલિસી વેચી શકશે. વીમા નિયમનકાર ચાલુ વર્ષના અંત સુધીમાં આ પ્લેટફોર્મ લોન્ચ કરે તેવી શક્યતા છે અને તેનું સંચાલન પણ ઈરડા જ કરશે. આમ, વીમા ઉદ્યોગમાં થઈ રહેલી આ હિલચાલથી ઉદ્યોગમાં પારદર્શકતા વધશે અને દેશમાં વીમાનો વ્યાપ પણ વધશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો