MONEY9: નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન – આ રૂઢિપ્રયોગ કદાચ, સરકાર માટે યોગ્ય જણાતો નથી. આથી, સરકારે નિશાન નીચું રાખ્યે જ છૂટકો છે. વાત એમ છે કે, જાહેર ક્ષેત્રનાં એકમોનો હિસ્સો વેચીને એટલે કે, ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા અબજો રૂપિયા ભેગા કરવાનું ઊંચું નિશાન નક્કી કરતી સરકારનું તીર ક્યારેય નિશાના પર લાગતું નથી. આથી જ, આ વખતના બજેટમાં સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટનું નિશાન નીચું રાખશે તેવું લાગી રહ્યું છે. સરકાર વાસ્તવિક સંજોગોને અનુરૂપ ડિસઈન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ રાખી શકે છે.
છેલ્લાં 3 વર્ષનાં આંકડા ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટનાં છેલ્લાં 3 વર્ષનાં આંકડા દર્શાવે છે કે, સરકાર એક પણ વખત ટાર્ગેટ પૂરો નથી કરી શકી. ગયા વર્ષે તો 10 ટકા ટાર્ગેટ પણ પૂરો થઈ શક્યો નથી. સરકારે 2021-22 દરમિયાન, ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા 1.75 લાખ કરોડ રૂપિયાની કમાણીનો લક્ષ્ય નક્કી કર્યો. પરંતુ મળ્યા માત્ર 13,530 કરોડ રૂપિયા. ચાલુ વર્ષે પણ, એટલે કે, 2022-23 માટે જે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, તે પણ ચૂકી જવાની પ્રબળ શક્યતા છે. સરકારે સમગ્ર વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતે 65 હજાર કરોડ રૂપિયા મેળવવાનો ટાર્ગેટ આપ્યો હતો અને અડધાથી પણ વધુ વર્ષ પૂરું થઈ ચૂક્યું છે ત્યારે 25 હજાર કરોડ રૂપિયા પણ મળ્યાં નથી. ડિસઈન્વેસ્ટમેન્ટના મોરચે અત્યારે જે ગતિથી કામ ચાલી રહ્યું છે, તેને જોતાં લાગે છે કે, 65,000 કરોડ રૂપિયા ભેગા કરવાનો ટાર્ગેટ પૂરો થઈ શકે એમ નથી. અને વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં સરકાર માંડ-માંડ 45થી 50 હજાર કરોડ રૂપિયા ભેગા કરી શકશે.
LICમાં મળી સફળતા ચાલુ વર્ષે LICને બાદ કરતાં અન્ય કોઈ પણ મોટી કંપનીનો હિસ્સો વેચવામાં સરકાર સફળ રહી નથી… ચાલુ વર્ષનાં પ્રથમ છ મહિનામાં સરકારને જે 24,543 કરોડ રૂપિયા મળ્યાં છે, તેમાંથી 20,500 કરોડ રૂપિયા તો માત્ર LICનો હિસ્સો વેચવાથી મળ્યાં છે. આમ, છેલ્લાં 4 વર્ષથી ડિસઈન્વેસ્ટમેન્ટના ટાર્ગેટ પૂરા થતા ન હોવાથી, સરકાર આ વખતના બજેટમાં ટાર્ગેટ નીચા રાખશે… અને વાસ્તવમાં પૂરા થઈ શકે એમ હોય તેવા લક્ષ્યાંક જ આપશે.
આવતા વર્ષનો ટાર્ગેટ આગામી નાણાકીય વર્ષ 2023-24 માટે સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ થકી 65,000 કરોડ રૂપિયા ભેગા કરવાનો ટાર્ગેટ નક્કી કરે તેવી ધારણા છે. કારણ કે, સરકાર હિન્દુસ્તાન ઝિંક, IDBI બેન્ક અને BEML જેવી કંપનીઓમાંથી હિસ્સો વેચવાની યોજના છે. સરકાર તો અત્યારથી જ આ કંપનીઓને વેચવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી સફળતા મળી શકી નથી. હવે, સરકારને આશા છે કે, આવતા નાણાકીય વર્ષમાં આ કંપનીઓનો હિસ્સો વેચવામાં ચોક્કસ સફળતા મળી જશે અને સરકારની તિજોરીમાં 65,000 કરોડ રૂપિયા જમા થઈ શકે છે. હવે, જોવાનું રહ્યું કે, આગામી બજેટમાં સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ ઊંચો રાખે છે કે નીચો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો