એર ઇન્ડિયાનો મહત્વનો નિર્ણય
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એર ઈન્ડિયાએ ઈઝરાયેલ જતી પોતાની ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે અમારા મુસાફરો અને ક્રૂની સુરક્ષા માટે તેલ અવીવ, ઈઝરાયેલથી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ 14 ઓક્ટોબર સુધી સ્થગિત રહેશે. આ સમયગાળા દરમિયાન, જે લોકોએ કન્ફર્મ બુકિંગ કરાવ્યું હતું તેમને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. મહત્વનું છે કે એર ઈન્ડિયા દર અઠવાડિયે તેલ અવીવ માટે 5 ફ્લાઈટ ચલાવે છે.
X, યુટ્યુબને નોટિસ
સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’, યુટ્યુબ અને ટેલિગ્રામને ભારતમાં તેમના પ્લેટફોર્મ પરથી બાળકોના યૌન શોષણની સામગ્રીને દૂર કરવા નોટિસ ફટકારી છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે જો સોશિયલ મીડિયા કંપનીઓ ઝડપથી કાર્યવાહી નહીં કરે તો ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 79 હેઠળની તેમના ‘બચાવ’ને પાછો ખેંચી લેવામાં આવશે. આનો અર્થ એ છે કે આ પ્લેટફોર્મ પર સીધા લાગુ થનારા કાયદા અને નિયમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે. ભલે તેઓએ સામગ્રી અપલોડ ન કરી હોય.
સપ્ટેમ્બરમાં ડિમેટ ખાતા વધ્યા
રોકાણકારોનો બજારમાં રસ દેખાઇ રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ડીમેટ ખાતાની સંખ્યામાં વધારો થવાનું આ પણ એક કારણ છે. સપ્ટેમ્બર મહિનામાં ડીમેટ ખાતા વધીને 12.97 કરોડ થઈ ગયા છે. જો વાર્ષિક ધોરણે જોવામાં આવે તો આ 26 ટકાનો વધારો છે. ડીમેટ ખાતાઓની સંખ્યામાં આ વધારો થવા પાછળના કારણો જોઈએ તો તેનું મુખ્ય કારણ ઈક્વિટીમાંથી મળતું આકર્ષક રિટર્ન છે. NSDL અને CDSL ડેટા અનુસાર, સપ્ટેમ્બર મહિના દરમિયાન 30.6 લાખથી વધુ ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા હતા.
આ વસ્તુઓ પર GST ઘટયો
GST કાઉન્સિલે શનિવારે મોટો નિર્ણય લઈને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની 52મી બેઠકમાં બાજરી અથવા બરછટ અનાજના લોટમાંથી બનેલા ઉત્પાદનો પર GST ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ ઉત્પાદનો પર 18 ટકાના દરે GST લાગતો હતો, હવે તે ઘટાડીને 5 ટકા કરવામાં આવશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે 70 ટકા બરછટ અનાજના લોટને જો છૂટક બજારમાં વેચવામાં આવશે તો તેના પર ઝીરો ટકા જીએસટી લાગશે. તેને પેક કરવા અને વેચવા પર પાંચ ટકા જીએસટી લાગશે. તમને જણાવી દઈએ કે GST કાઉન્સિલની ફિટમેન્ટ કમિટીએ છૂટની ભલામણ કરી હતી. જો કે, સમિતિએ બાજરીમાંથી તૈયાર થતી પેદાશો પર કોઈ પ્રોત્સાહન આપવાનો ઈન્કાર કર્યો હતો.
RBIએ સપ્ટેમ્બરમાં કેટલું સોનું ખરીદ્યું?
RBI સપ્ટેમ્બર દરમિયાન સોનાના મોટા ખરીદાર તરીકે ઉભરી આવ્યું છે. સેન્ટ્રલ બેંકે સપ્ટેમ્બર દરમિયાન 7 ટન સોનાની ખરીદી કરી છે અને રિઝર્વ બેંકની કુલ ગોલ્ડ રિઝર્વ વધીને 807 ટન થઈ ગઈ છે. રિઝર્વ બેંકે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહ દરમિયાન 7 ટન સોનાની ખરીદી એવા સમયે કરી જ્યારે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો. સપ્ટેમ્બર પહેલા ઓગસ્ટ દરમિયાન રિઝર્વ બેંકે 2 ટન સોનાની ખરીદી કરી હતી. સપ્ટેમ્બરમાં રિઝર્વ બેંકની કુલ માસિક સોનાની ખરીદી 14 મહિનાની ઊંચી સપાટીએ છે. અગાઉ, જુલાઈ 2022 દરમિયાન, રિઝર્વ બેંકે લગભગ 13 ટન સોનાની ખરીદી કરી હતી.
રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સને નોટિસ
રિલાયન્સ કેપિટલની પેટાકંપની રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની માટે પણ એક નવી સમસ્યા ઉભી થઈ ગઇ છે. ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ એટલે કે DGGI એ કંપનીને કારણદર્શક નોટિસ ફટકારી છે જેમાં કુલ 922.58 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાંડ કરવામાં આવી છે. કંપનીને આ નોટિસ એવા સમયે આપવામાં આવી છે જ્યારે રિલાયન્સ કેપિટલ હાલમાં NCLT પ્રક્રિયા હેઠળ ડેટ રિઝોલ્યુશનમાંથી પસાર થઈ રહી છે અને હિન્દુજા ગ્રુપ વિજેતા તરીકે બહાર આવ્યું છે.
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર ભારતીય શેરબજારની સાથે કોમોડિટી માર્કેટ પર પણ જોવા મળી રહી છે. સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીમાં ગણતરીની મિનિટોમાં જ મોટો વધારો નોંધાયો છે… આજે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનું 57,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું, પરંતુ થોડા સમય પછી તેમાં 1.18 ટકાનો ઉછાળો આવ્યો હતો અને 57,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. ઈન્ટ્રાડે હાઈ લેવલ 57,561 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1,850 ડોલર પ્રતિ ઔંસ હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો