Money9: સમચારોના લંચ બોક્સમાં આજના મહત્વના સમાચારો
BOBના ATMમાંથી કાર્ડ વગર ઉપાડ થશે
જો તમારુ બેંક ઓફ બરોડામાં ખાતું છે તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમે યુપીઆઇ દ્વારા એટીએમમાંથી રોકડ ઉપાડી શકશો. બેંકે ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કાર્ડરહિત રોકડ ઉપાડ એટલે કે ICCWની સુવિધા શરૂ કરી છે. જેમાં કોઇ ગ્રાહક બેંકના એટીએમથી યુપીઆઇનો ઉપયોગ કરીને રોકડ ઉપાડ કરી શકે છે. ગ્રાહક એટીએમ પર જોવા મળતા ક્યૂઆર કોડ દ્વારા પોતાના પૈસા ઉપાડી શકશે. બીઓબીએ એક નિવેદનમાં કહ્યું છે કે તે યુપીઆઇ દ્વારા એટીએમમાંથી કેશ વિડ્રોઅલની સુવિધા આપનારી જાહેર ક્ષેત્રની પહેલી બેંક બની ગઇ છે.
500 કરોડથી નીચેના માર્કેટ કેપ પર મોનિટરીંગ
BSE અને NSEએ 500 કરોડ રૂપિયાથી નીચેની માર્કેટ કેપ ધરાવતી કંપનીઓ પર સર્વેલન્સ વધાર્યું છે. આ પગલાનો હેતુ સ્મોલ કેપ શેરોના ભાવ પર થતા ભારે ઉતાર-ચડાવ પર પ્રતિબંધ મૂકવાનો છે. આવી કંપનીઓના હાઇ પ્રાઇસ અને લો પ્રાઇસ પર ભારે અંતર હોય છે. એક ક્લોઝિંગથી બીજા ક્લોઝિંગની વચ્ચે વધારે અંતરવાળી કંપનીઓને આ મોનિટરીંગ વ્યવસ્થામાં સામેલ કરવામાં આવે છે. આ પગલાથી રિટેલ રોકાણકારોને શેર બજારના ઉતાર-ચડાવથી થતા નુકસાનથી બચાવવામાં મદદ મળશે. સ્મોલ કેપ શેરોમાં જે ભારે ઉતાર-ચડાવ થાય છે તેની પર અંકુશ આવશે.
રેલવે દુર્ઘટનાના મૃતકો માટે વીમા પ્રક્રિયા બનશે સરળ
ઓરિસ્સા રેલવે દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો માટે વીમા દાવા પ્રક્રિયાને સરળ બનાવાશે. વીમા નિયામક ઇરડાએ બધી વીમા કંપનીઓને જાતે આગળ આવીને વીમા દાવાઓની પતાવટ કરવાના નિર્દેશ આપ્યા છે. બધી વીમા કંપનીઓને જે-તે જિલ્લા પ્રશાસન કે રેલવે અધિકારીઓનો સંપર્ક કરીને મૃતકો અને ઇજાગ્રસ્તોની યાદી પ્રાપ્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ એલઆઇસીએ તેના પોલિસી હોલ્ડર અને પીએમ જીવન જ્યોતિ તેમજ જીવન સુરક્ષા વીમા યોજનાના સભ્યોના ક્લેમ તરત જ સેટલ કરવાની જાહેરાત કરી છે. પરિવારજનોની મદદ માટે LIC એ એક હેલ્પડેસ્ક અને હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. LICએ મૃત્યુ પ્રમાણપત્ર સ્વીકારવામાં રાહત આપવાની જાહેરાત કરી છે.
HULએ સાબુ, ચાના ભાવ ઘટાડ્યા
ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. ટોચની FMCG કંપની હિન્દુસ્તાન યૂનીલિવર લિમિટેડ એટલે કે HULએ કેટલીક કેટેગરીમાં પ્રોડક્ટની કિંમત ઘટાડી છે. કંપનીએ અન્ય કેટેગરીમાં પણ ભાવ ઘટાડવાના સંકેત આપ્યા છે. પામ ઓઇલ, ચા અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી એચયુએલે આ પગલું ભર્યું છે. HULએ હાલ ડિટર્જન્ટ, સ્કીન ક્લીંજર, સાબુ અને ચાના ભાવ ઘટાડ્યા છે. છેલ્લા બે વર્ષમાં HULએ કિંમતોમાં 18%નો વધારો કર્યો હતો.
ચોમાસા હજુ વધારે વિલંબ થશે
સમયસર ન પહોંચ્યુ ચોમાસું. દક્ષિણ અરબ સાગરની ઉપર હળવા દબાણનું ક્ષેત્ર બનવાથી ચાલી રહેલી ચક્રવાતી હવાઓને કારણે ચોમાસાના માર્ગમાં એક ગંભીર સમસ્યા ઉભી થઇ ગઇ છે. ભારતીય હવામાન વિભાગે કેરળમાં ચોમાસાના આગમનની સંભવિત તારીખનો કોઇ ખુલાસો નથી કર્યો. સામાન્ય રીતે એક જૂને દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ કેરળમાં પ્રવેશ કરે છે. ભારત માટે સમયસર ચોમાસું બેસી જાય તે જરૂરી છે. દેશની 52 ટકા કૃષિ ભૂમિ સિંચાઇ માટે વરસાદ પર આધાર રાખે છે. વીજળી ઉત્પાદન અને જળાશયો માટે પણ ચોમાસું મહત્વનું છે. હવામાન વિભાગે અગાઉ 4 જૂને ચોમાસું કેરળ પહોંચવાની આગાહી વ્યક્ત કરી હતી. અલ-નીનોના કારણે દક્ષિણ-પશ્ચિમ મોનસૂનમાં વિલંબ થઇ રહ્યો છે.
દાળની કિંમતો વધતી અટકાવવા સરકારે ભર્યું પગલું
તુવેર અને અડદ દાળની વધતી કિંમતોને રોકવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે અડદ અને તુવેર દાળ પરની સ્ટોક લિમિટની તારીખ 31 ઓક્ટોબર સુધી લંબાવી છે. આયાતકાર પોતાની પાસે 30 દિવસથી વધુનો સ્ટોક નહીં રાખી શકે. જમાખોરી અને અટકળોને રોકવા માટે જથ્થાબંધ વેપારીઓ, રિટેલ વેપારીઓ, મિલર્સ અને આયાતકારો પર સ્ટોક લિમિટ લાગુ થશે. અખિલ ભારતીય સ્તરે તુવેરનો રિટેલ ભાવ 2 જૂને 19 ટકા વધીને 122 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. અડદનો રિટેલ ભાવ 5.26 ટકા વધીને 110 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. પાક વર્ષ 2022-23માં તુવેર અને અડદનું ઉત્પાદન ઘટવાનું અનુમાન છે.
સાઉદીના નિર્ણયથી ઇંધણ મોંઘું થવાની શક્યતા
સાઉદી અરેબિયાના ઓઇલ પ્રોડક્શનમાં કાપ મૂકવાના નિર્ણયથી ક્રૂડના ભાવમાં ઘટાડાની ગતિ અટકી શકે છે. આ નિર્ણયથી ભારતમાં ઇંધણની કિંમતોની સમીક્ષામાં હજુ વધારે વિલંબ થઇ શકે છે. સાઉદી અરેબિયા જુલાઇથી ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં પ્રતિદિન 10 લાખ બેરલનો કાપ મૂકવાનું છે. ઓપેક અને અન્ય ઉત્પાદક દેશો પણ ક્રૂડ ઓઇલના કાપને 2024ના અંત સુધી વધારવા પર સંમત થયા છે. જેનાથી ઇંધણના ભાવમાં એક ડોલર પ્રતિ બેરલથી વધુનો વધારો થયો છે. આ તેજીથી ભારત માટે ક્રૂડ ઓઇલની આયાત ફરી મોંઘી થઇ જશે. ભારત પોતાની જરૂરિયાતના 85 ટકા ઇંધણની આયાત કરે છે. સાઉદીના આ પગલાથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડાની શક્યતા ઘટી જશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો