સહારાના રોકાણકારોને સરકારનો સહારો
સહારા ગ્રૂપની ચાર સહકારી મંડળીઓમાં રોકાણ કરનારા રોકાણકારોને હવે તેમના પૈસા પાછા મેળવવા માટે ભટકવું નહીં પડે. સહકાર મંત્રી અમિત શાહ મંગળવારે એટલે કે આજે CRCS-સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કરશે. જેનો હેતુ કરોડો રોકાણકારોના નાણાં પરત કરવાનો છે. સહારા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ, સહારાયાન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ, હમારા ઈન્ડિયા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટીપર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના રોકાણકારો આ પોર્ટલ પર તેમના ક્લેઈમનો દાવો કરી શકશે.
SBIની લોન મોંઘી થશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વિવિધ સમયગાળા માટે તેના MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકના નવા વ્યાજ દરો 15 જુલાઈથી અમલમાં આવ્યા છે. MCLR એ એવો લઘુત્તમ વ્યાજ દર છે જેના પર બેંકો ગ્રાહકોને લોન આપે છે. SBI ના MCLR રેટ હવે 8 થી 8.75 ટકાની વચ્ચે રહેશે. એક વર્ષનો MCLR 8.5 ટકાથી વધીને 8.55 ટકા થયો છે. હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનનો વ્યાજ દર હવે એક વર્ષના MCLRના આધારે નક્કી હશે.
એક્સિસ બેંકના ગ્રાહકોને ફાયદો
જો તમે એક્સિસ બેન્કના ગ્રાહક છો, તો તમારા માટે સારા સમાચાર છે. એક્સિસ બેન્કે તેની કેટલીક ફિક્સ ડિપોઝિટ સ્કીમ્સ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેન્કે રૂ. 2 કરોડથી ઓછીની FD સ્કીમ પરના વ્યાજ દરમાં 10 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. નવા વ્યાજ દરો 17 જુલાઈથી અમલમાં આવ્યા છે. એક્સિસ બેંક હવે તેના ગ્રાહકોને 7 દિવસથી લઇને 10 વર્ષ સુધીની FD પર 3.5% થી 7.20% સુધીનું વ્યાજ આપશે.
એક સિમ પર આટલા કાર્ડ જ મળશે
સરકાર મોબાઈલ ફ્રોડને રોકવા માટે એક નવી યોજના પર કામ કરી રહી છે. નવી યોજના પ્રમાણે હવે સરકાર એક આઈડી પર માત્ર ચાર સિમ કાર્ડ ઈશ્યુ કરવાની મર્યાદા નક્કી કરી શકે છે. અત્યાર સુધી એક આઈડી પર વધુમાં વધુ 9 સિમ કાર્ડ ઇશ્યૂ થઇ શકતા હતા. સરકારના આ પગલાનો હેતુ ઓનલાઈન છેતરપિંડીના વધતા જતા મામલાઓને રોકવાનો છે.
નવી નોકરીઓમાં બમ્પર ઉછાળો
સંગઠિત ક્ષેત્રમાં નવી નોકરીઓનું સર્જન થયું છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ એટલે કે ESIC મુજબ મે, 2023માં 20 લાખ 23 હજાર નવા કર્મચારીઓ ઉમેરાયા છે. આ સાથે મે મહિનામાં લગભગ 24,886 નવી સંસ્થાઓ રજિસ્ટર થઇ છે. અને તેમને ESIC ના સામાજિક સુરક્ષાના માળખામાં લાવવામાં આવ્યા હતા. મે મહિનામાં યુવાનોને મોટી સંખ્યામાં નોકરીઓ મળી હતી. કુલ 20 લાખ કર્મચારીઓમાંથી 25 વર્ષ સુધીના કર્મચારીઓની સંખ્યા લગભગ 9.5 લાખ છે.
પગારદારોની આવક વધી
ભારતીય શહેરોમાં પગારદાર વ્યક્તિની સરેરાશ માસિક કમાણી નાણાકીય વર્ષ 2022ના બીજા ક્વાર્ટરમાં 20,030 રૂપિયાથી માત્ર 7.5% વધીને નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં 21,647 રૂપિયા થઈ ગઈ છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના રિપોર્ટમાં આવો ખુલાસો થયો છે. પીરિયોડિક લેબર ફોર્સ સર્વે એટલે કે PLFS અનુસાર, શહેરી ભારતમાં એક દૈનિક વેતન કામદાર કે જેની પાસે નિશ્ચિત નોકરી નથી તેનું દૈનિક વેતન 2021ના બીજા ક્વાર્ટરમાં 385 રૂપિયા પ્રતિ દિવસથી વધીને નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં 464 રૂપિયા પ્રતિ દિવસ થઇ છે.
IT રિટર્નની તારીખ નહીં લંબાવાય
આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખને લંબાવવામાં નહીં આવે. નાણા મંત્રાલય સમયમર્યાદા લંબાવવાનું વિચારી રહ્યું નથી. ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. મહેસૂલ સચિવે કરદાતાઓને વહેલી તકે રિટર્ન ફાઈલ કરવા વિનંતી કરી છે. મંત્રાલયને આશા છે કે આ વર્ષે ગયા વર્ષ કરતાં વધુ રિટર્ન ભરાશે. સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 33 લાખ કરોડથી વધુ ટેક્સ વસૂલવાની આશા રાખે છે.
પેટ્રોલ-ડિઝલની માંગ ઘટી
જુલાઈના 15 દિવસમાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં ઘટાડો થયો છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે પ્રવાસના આયોજનો મોકૂફ રાખવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્રમાં પણ ઈંધણની માંગ ઘટી છે. 1થી 15 જુલાઈ સુધીમાં ડીઝલની માંગ 15 ટકા ઘટીને 29.6 લાખ ટન થઈ છે. પેટ્રોલનું વેચાણ પણ 10.5 ટકા ઘટીને 12.5 લાખ ટન થયું છે. બીજી તરફ એવિએશન ફ્યુઅલનું વેચાણ માસિક ધોરણે 6.7 ટકા ઘટ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો