શાકભાજી મોંઘા થવાથી ફુગાવો વધવાની બીક વધી શાકભાજી ખરીદીને ઘરે પરત ફરતી તમામ મહિલાઓ એક વાક્ય તો અવશ્ય બોલતી સાંભળવા મળે છે કે, શાકભાજી બહુ મોંઘા થઈ ગયા છે. તેમની વાત પણ ખોટી નથી, કારણ કે ટામેટાંની સાથે સાથે તમામ શાકભાજી અને ફળ માત્ર મોંઘા નહીં પણ મોંઘાદાટ થઈ ગયા છે. શાકની લારીવાળા પણ કોથમીર અને મરચાં મફતમાં આપતા બંધ થઈ ગયા છે. જુઓ ને.. 1 કિલો કોથમીરનો ભાવ 220 રૂપિયા થઈ ગયો છે. આદુની કિંમત અઢીસોથી ત્રણસો રૂપિયા બોલાઈ રહી છે જ્યારે લસણ 200 રૂપિયે કિલો મળી રહ્યું છે. લીલાં મરચાં મહિના પહેલાં પચાસેક રૂપિયામાં મળતાં હતા, તેનો ભાવ હવે 120 રૂપિયાએ પહોંચી ગયો છે. કેપ્સીકલના ભાવ 50 રૂપિયાથી વધીને દોઢસોને પાર થઈ ગયા છે. એક કિલો રીંગણાંની કિંમત 40 રૂપિયાથી વધીને 100 રૂપિયા થઈ ગઈ છે. સફરજનની એક પેટી પહેલાં બારસોથી પંદરસોમાં વેચાતી હતી તે હવે બાવીસ્સોની થઈ ગઈ છે. શાકભાજીની આ મોંઘવારી માત્ર ગૃહિણીઓ માટે જ નહીં, પરંતુ વેપારીઓ, શાકની લારીવાળાઓ અને સરકારે માટે પણ માથાનો દુખાવો બની છે. જો શાકભાજી સસ્તાં નહીં થાય તો જુલાઈ મહિનાનો છૂટક મોંઘવારીનો દર 5 ટકાને પાર થઈ જવાની બીક છે.
ભારત દાલ બ્રાન્ડ હેઠળ મળશે સસ્તામાં ચણાની દાળ સરકારે સસ્તામાં ચણાની દાળ વેચવાનો નિર્ણય લીધો છે. ચણાની દાળ પણ મોંઘી ના થઈ જાય તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. સરકારી સેન્ટર પર એક કિલો ચણાની દાળ 60 રૂપિયામાં મળશે. 30 કિલોનું પેકેટ ખરીદશો તો એક કિલો ચણાની દાળ 55 રૂપિયામાં મળશે. નાફેડ દ્વારા અત્યારે દિલ્હી-NCRમાં છૂટક વેચાણકેન્દ્રો પર ભારત દાળ બ્રાન્ડ હેઠળ ચણાની દાળ વેચવાની શરૂઆત થઈ છે. ખાદ્ય મંત્રાલયના પ્રાઈસ મોનીટરિંગ સેલના આંકડા અનુસાર, 17 જુલાઈએ ચણાની મોડલ પ્રાઈસ 70 રૂપિયા પ્રતિ કિલો હતી, પરંતુ દેશનાં મોટા ભાગનાં શહેરોમાં એક કિલો ચણાની દાળની કિંમત 80 રૂપિયાને પાર થઈ ગઈ છે. સરકારે પોતાના બફર સ્ટોકમાંથી ચણાની દાળ સસ્તા ભાવે વેચવાનો નિર્ણય લીધો છે.
PNBમાં પણ મળશે મહિલા સમ્માન સર્ટિફિકેટ હવે પંજાબ નેશનલ બેન્કમાંથી પણ મહિલા સમ્માન સર્ટિફિકેટ મળશે. સરકારે બજેટમાં મહિલા સમ્માન સેવિંગ્સ સ્કીમની જાહેરાત કરી હતી. આ સ્કીમમાં માત્ર મહિલાઓ રોકાણ કરી શકે છે. અગાઉ આ સ્કીમમાં રોકાણ કરવા માટે પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો પડતો હતો, પરંતુ હવે બેન્કો દ્વારા પણ તેમાં રોકાણ થઈ શકે છે. આ સ્કીમમાં વાર્ષિક સાડા સાત ટકા વ્યાજ મળે છે. આ સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરવા માટે ટૂંક સમયમાં ઓનલાઈન સુવિધા પણ શરૂ કરવાની યોજના છે. જો આ સ્કીમમાં રોકાણ કરવાનું સરળ બનશે તો તેની લોકપ્રિયતા હજુ વધશે.
RIL-Jio ડિમર્જરઃ 20 જુલાઈ રેકોર્ડ ડેટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેનો ફાયનાન્સિયલ સર્વિસિસ બિઝનેસ ડિમર્જર કરી રહી છે. આ ડિમર્જર માટે 20 તારીખ રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. તેની પહેલાં જો તમારા ખાતામાં રિલાયન્સના શેર હશે તો તમને જિયો ફાયનાન્સિયલ સર્વિસિસના શેર મળશે. ડિમર્જરની જાહેરાત થઈ ત્યારથી રિલાયન્સનો શેર સતત વધી રહ્યો છે અને રૂ.2,800ને પાર થઈ ગયો છે. તો શું ડિમર્જર બાદ પણ રિલાયન્સમાં તેજી જળવાઈ રહેશે? જિયો ફાયનાન્સિયલના શેર ક્યારે લિસ્ટ થશે? આવા તમામ સવાલોના જવાબ જાણવા હોય તો પહોંચી જાવ મની નાઈનની યુટ્યૂબ ચેનલ પર, અમારા એક્સપર્ટ તમારા તમામ સવાલોના જવાબ આપશે. મની નાઈનની એપ પર તેનો વિસ્તૃત અહેવાલ પણ વાંચવા મળશે. તો તાત્કાલિક ડાઉનલોડ કરો મની નાઈનની એપ.
સહારામાં પૈસા મૂકનારા લોકોને મળશે રિફન્ડ સહારા ઈન્ડિયામાં ફસાયેલા 10 કરોડથી વધુ રોકાણકારો માટે ખુશખબર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે સહારા-સેબી રિફંડ ખાતામાંથી 5,000 કરોડ રૂપિયા કેન્દ્રીય સહકારી સમિતિ રજિસ્ટ્રારમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. આ ફંડમાંથી સહારાના રોકાણકારોને રિફન્ડ ચૂકવવામાં આવશે. સહારાની ચાર સહકારી સોસાયટીમાં પૈસા મૂકનારા રોકાણકારોને રિફન્ડ મળશે. તેના માટે સરકારે રિફન્ડ પોર્ટલ લૉન્ચ કર્યું છે. રિફન્ડ માટે આધાર નંબર અને આધાર સાથે લિન્ક્ડ મોબાઈલ નંબરની જરૂર પડશે. લિન્ક – https://mocrefund.crcs.gov.in/Depositor/Register
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો