Money9: અદાણી ગ્રુપે સીમેન્ટ કંપની અંબુજા સીમેન્ટ અને એસીસીના અધિગ્રહણની પ્રક્રિયાને પૂરી કરવા માટે 13 અબજ ડોલર એટલે કે 1.04 લાખ કરોડ રૂપિયાના શેર ગિરવે રાખ્યા છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે અદાણી ગ્રુપે મૂડી એકત્ર કરવાના ઇરાદે આ નિર્ણય કર્યો છે. ડોએચ બેંકની હોંગકોંગ સ્થિત શાખાએ ભારતીય સ્ટોક એક્સચેન્જને જાણકારી આપી છે કે, ACCના 57 ટકા અને અંબુજા સીમેન્ટનો 63 ટકા સ્ટેક કેટલીક નાણાકીય સંસ્થાઓ પાસે ગિરવે મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે અદાણી સમૂહ પર ભારે દેવું છે. મહત્વનું છે કે આ અધિગ્રહણ બાદ અદાણી દેશની બીજી સૌથી મોટી સીમેન્ટ કંપની બની ગઇ છે.
પતંજલિ લાવશે આઇપીઓ
બાબા રામદેવની પતંજલિ ગ્રુપ આગામી પાંચ વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવાનું લક્ષ્ય રાખે છે. આ ઉપરાંત કંપની ઓછામાં ઓછી 4 કંપનીઓને લિસ્ટ કરવાની યોજના પણ ધરાવે છે. પતંજલિ ગ્રુપના જણાવ્યા અનુસાર હાલમાં પતંજલિ સમૂહનું કુલ ટર્નઓવર 40,000 કરોડ રૂપિયા છે. બાબા રામદેવે જણાવ્યું છે કે આવતા પાંચ વર્ષમાં ગ્રુપની 5 થી 7 કંપનીઓનો શેરબજારમાં લિસ્ટ કરવામાં આવશે પરંતુ અત્યારે તો 4નું લિસ્ટિંગ કરવાની પાકકી યોજના છે. જે ચાર કંપનીઓના IPO આવશે તેમાં પતંજલિ આયુર્વેદ, પતંજલિ મેડિસિન, પતંજલિ વેલનેસ અને પતંજલિ લાઇફસ્ટાઇલનો સમાવેશ થાય છે. આ કંપનીઓના લિસ્ટિંગથી કંપનીની માર્કેટ કેપ 5 વર્ષમાં 5 લાખ કરોડ રૂપિયાને આંબી જશે.
ગો ડિજિટનો પ્રસ્તાવ સ્થગિત
સેબીએ કેનેડાના ફેરફેક્સ ગ્રુપ દ્વારા સંચાલિત ગો ડિજિટ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડના IPOના પ્રસ્તાવને સ્થગિત કર્યો છે. જો કે, સેબીએ આ અંગે વિસ્તારપૂર્વક કશુ કહ્યું નથી. ગો ડિજિટે 17 ઓગસ્ટના રોજ મૂડી બજાર નિયામક પાસે IPO માટે દસ્તાવેજ જમા કર્યા હતા. કંપનીમાં રોકાણ કરનારામાં ક્રિકેટ ખેલાડી વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા સામેલ છે.
હીરોમાં એનર્જીમાં રોકાણ
અમેરિકાની ખાનગી ક્ષેત્રની ઇક્વિટી ફર્મ KKR અને ભારતની બહુરાષ્ટ્રીય કંપની હીરો ગ્રુપે 20 સપ્ટેમ્બરે હીરો ફ્યૂચર એનર્જીમાં લગભગ 45 કરોડ ડોલર એટલે કે અંદાજે 3,588 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. KKR અને હીરો ગ્રુપે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે આ રોકાણથી હીરો ફ્યૂચર એનર્જીના વિકાસમાં મદદ મળશે. આનાથી રિન્યુએબલ એનર્જી ક્ષમતા અને સૌર ઉર્જા, પવન ઉર્જા, બેટરી સ્ટોરેજ અને ગ્રીન હાઇડ્રોજન જેવી ટેકનીકોમાં પોતાની ક્ષમતા વધારવામાં મદદ મળશે. KKRના રોકાણથી હીરો ફ્યૂચર એનર્જીની વેલ્યૂ 1 અબજ ડોલરને પાર કરી જશે.
સાઉદીના સ્ટીલ પ્લાન્ટમાં રોકાણ
એસ્સાર ગ્રુપ આવતા 3 વર્ષમાં સાઉદી અરેબિયાના યુનિફાઇડ ફ્લેટ સ્ટીલવર્ક્સ પ્લાન્ટમાં 4 અબજ ડોલરનું રોકાણ કરશે. એસ્સારના કોર્પોરેટ પ્લાનિંગના જનરલ મેનેજર અમર કાપડીયાએ જણાવ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં પ્લાન્ટનો પાયો નંખાશે અને 2025 સુધીમાં તે બનીને તૈયાર થઇ જશે. જો આ નવા પ્લાન્ટની ક્ષમતાની વાત કરીએ તો તેમાં વાર્ષિક 4 મિલિયન ટન કાસ્ટિંગ અને હોટ સ્ટ્રીપની સુવિધા હશે જ્યારે 1 મિલિયન ટન કોલ્ડ રોલ્ડ કોઇલ અને ટીન પ્લેટ લાઇનની ક્ષમતા હશે.
300 કર્મચારીઓ બરતરફ
વિપ્રોએ મૂનલાઇટિંગમાં સામેલ કર્મચારીઓ સામે કડક વલણ અપનાવ્યું છે અને 300 કર્મચારીઓને બરતરફ કર્યા છે. વિપ્રોના ચેરમેન રિષદ પ્રેમજીએ જણાવ્યું હતું કે કંપનીને છેલ્લા કેટલાક મહિનાઓમાં 300 લોકો હરીફ કંપનીઓ માટે કામ કરતા હોવાનું જણાયું હતુ. તેમણે ઉમેર્યું હતું કે કંપનીમાં આવા લોકો માટે કોઈ સ્થાન નથી. મહત્વનું છે કે મુનલાઇટિંગને અમાન્ય જાહેર કર્યા બાદ વિપ્રો દેશની પહેલી આઇટી કંપની બની ગઇ છે જેણે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને છુટા કર્યા હોય.
મહિન્દ્રા સ્વરાજ એન્જિનનો હિસ્સો ખરીદશે
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 20 સપ્ટેમ્બરે જાહેરાત કરી કે તે કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝની કંપની સ્વરાજ એન્જિનનો વધારાનો 17.41 ટકા હિસ્સો 296 કરોડ રૂપિયામાં ખરીદશે. M AND M એ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે આ અધિગ્રહણથી કંપનીનો સ્વરાજ એન્જિનમાં હિસ્સો હાલના 34.72 ટકાથી વધીને 52.13 ટકા થઇ જશે. કંપનીએ શેરદીઠ 1400 રૂપિયાના ભાવે સ્વરાજ એન્જિનમાં ઇક્વિટી હિસ્સો ખરીદવાની દરખાસ્ત કરી છે.
સ્પાઇસ જેટનો પ્રતિબંધ લંબાવાયો
DGCAએ સ્પાઇસ જેટ પર મૂકેલા 50 ટકા ઉડ્યન સંચાલિત કરવાના પ્રતિબંધને 29 ઓક્ટોબર 2022 સુધી લંબાવી દીધો છે. સ્પાઇસજેટના વિમાનોમાં વધતા અકસ્માતોના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. DGCAનું કહેવું છે કે આ પ્રતિબંધને કારણે સ્પાઇસ જેટના અકસ્માતોમાં ઘટાડો થયો છે. મહત્વનું છે કે સ્પાઇસજેટના ઘણાં વિમાનોમાં ઉડ્યન દરમિયાન અકસ્માતોના બનાવોને પગલે ગત 27 જુલાઇએ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને સ્પાઇસજેટને આદેશ આપ્યો હતો કે આવતા 8 સપ્તાહ સુધી તે પોતાના ફ્લીટની 50 ફ્લાઇટ્સ જ ઓપરેટ કરે. હવે આ સમયમર્યાદાને વધારી દેવામાં આવી છે.
એમઝોન સોલાર બિઝનેસમાં
એમેઝોને 21 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે તે રાજસ્થાનમાં 420 મેગાવોટના કુલ 3 સોલાર ફાર્મ્સ ઉભા કરશે. કોઇ ઇ-કોમર્સ કંપની દ્વારા ભારતમાં આ પ્રકારે સોલાર ફાર્મ્સ સ્થાપવાની આ પ્રથમ ઘટના છે. આ અંગે બ્રુક ફિલ્ડ રિન્યૂએબલ પાર્ટનર્સ દ્વારા પાવર પરચેઝ એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યા છે જે અનુસાર કંપની 210 મેગાવોટ રિન્યુ પાવર પ્રોજેક્ટ, 100 મેગાવોટ એએમપીનો એનર્જી ઇન્ડિયા પ્રોજેક્ટ અને 110 મેગાવોટનો એક પ્રોજેક્ટ વિકસિત કરશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો