લગભગ તમામ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. તમામ ઉદ્યોગમાં નાના હોદ્દાથી લઈને મોટા હોદ્દા સુધી મહિલાઓ કાઠું કાઢી રહી છે. ફેક્ટરીઓમાં કામ કરવાથી લઈને કંપનીના CEO અને ચેરમેન સુધીના હોદ્દાઓ પર મહિલાઓ સ્થાન મેળવી રહી છે. યુવાવર્ગ માને છે કે, મહિલાઓએ ભણતર પૂરું કર્યા બાદ લગ્ન પર ધ્યાન આપવાની જગ્યાએ નોકરી પર ધ્યાન આપવું જોઈએ. તાજેતરમાં થયેલા એક સરવેમાં આ વિગતો જાણવા મળી છે.
યુનિસેફનો સરવે
તાજેતરમાં જ યુનિસેફ દ્વારા શ્રમબળમાં મહિલાઓની ભાગીદારી અંગે કરવામાં આવેલા એક સરવેમાં જાણવા મળ્યું છે કે, ભણીગણી લીધા પછી લગ્ન નહીં, પરંતુ નોકરી કરવી વધારે મહત્ત્વપૂર્ણ છે. યુનિસેફના યુવા મંચ દ્વારા થયેલા સરવેમાં દેશભરનાં 18થી 29 વર્ષની વયના 24,000થી પણ વધારે યુવક અને યુવતીઓને આવરી લેવાયા હતા.
સરવેનું તારણ
લગભગ 75 ટકા યુવક અને યુવતીઓ માને છે કે, મહિલાઓ માટે ભણ્યા બાદ નોકરી મેળવવી સૌથી મહત્ત્વપૂર્ણ છે. તેનાથી વિપરિત 25 ટકા લોકોએ ભણતર બાદ લગ્નને મહત્ત્વ આપ્યું છે. આ સરવે અંગે શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ આરતી આહુજાએ નોકરી-ધંધામાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રયાસો વધારવા પર ભાર મૂકીને જણાવ્યું છે કે, હવે મહેનતી, કુશળતા ધરાવતી અને ઈમાનદાર મહિલાઓને કાર્યબળમાં પ્રોત્સાહન આપવાનો સમય આવી ગયો છે. આપણી વસતિમાં મહિલાઓનો હિસ્સો 50 ટકા છે. આપણો દેશ 2047 સુધીમાં વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે તમામ સ્તરે મહિલાઓનું યોગદાન વધારવાની જરૂર છે.
Published - February 21, 2024, 06:58 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો