Money9 Gujarati: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની શરૂઆત 10 જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે થઈ છે. PM મોદીએ મંગળવારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024ની 10મી એડિશનનું ઉદ્ઘાટન કર્યું છે. 10-12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી સમિટની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે. આ સમિટમાં, 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો ભાગ લઈ રહ્યા છે, જેમાં ઘણા દેશોના રાષ્ટ્રપતિઓ, વડા પ્રધાનો અને MNCsના CEO સહિત વિશ્વના નેતાઓના અગ્રણી જૂથનો સમાવેશ થાય છે.
મુકેશ અંબાણીએ ગુજરાતી હોવાના ગર્વ સાથે ગુજરાતને પાંચ વાયદા પણ કર્યા તેઓએ કહ્યુ કે, ગુજરાતમાં આગામી સમયમાં રિલાયન્સનું રોકાણ મોટી માત્રામાં વધશે, ગુજરાત આખું 5જીથી સજ્જ છે એટલે રિલાયન્સ ગુજરાતને ગ્લોબલ લીડર બનાવશે, રિલાયન્સ રિટેલ પોતાના ધ્યેયને આગળ વધારતા ગ્રાહકો માટે ગુણવત્તાયુક્ત પ્રોડ્કટ લાવશે અને સાથે સાથે ખેડૂતો અને અન્ય વેપારીઓને પણ સશક્ત કરશે. તો રિલાયન્સ ગુજરાતને નવા માલસામાન અને સર્કયુલર ઈકોનોમીમાં અગ્રેસર બનાવશે. આ ઉપરાંત 2036ના ઓલમ્પિકની દાવેદારીને રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાતમાં અન્ય પાર્ટનર્સની સાથે રમતગમતના ઈન્ફ્રાસ્ટ્રકચર્સ અને શિક્ષણને સુધારશે. જે આવતીકાલના વિજેતાઓને પ્રોત્સાહન આપશે.
અદાણી ગ્રૂપના ચેરમેને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અત્યાર સુધીની દરેક આવૃત્તિમાં સામેલ થવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. અદાણી ગ્રુપ દ્વારા પણ જાહેરાત કરાઈ હતી કે આવનારા પાંચ વર્ષમાં તેઓ લાખો કરોડોનું રોકાણ ગુજરાતમાં કરવાના છે. આવનારા 5 વર્ષમાં અદાણી ગ્રુપ ગુજરાતમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે. જે સીધી અને આડકતરી રીતે 1 લાખથી વધુ રોજગારી પેદા કરશે. ગૌતમ અદાણીએ કહ્યું કે, હું તમારી મદદ માટે આભારી છું. મારો વાયદો છે કે હું મારા તરફથી વિકસિત ગુજરાતમાં પોતાનો રોલ નિભાવીશ.
ગુજરાતી વેપારીઓ સિવાય પણ અનેક બિઝનેસમેન દ્વારા ગુજરાતમાં રોકાણની વાત કરવામાં આવી જેમાં જો આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલની વાત કરીએ તો તેઓએ કહ્યું કે, 2021માં જે પ્રોજેક્ટનું હજીરામાં ભૂમિપૂજન થયું હતું તે ટાઈમલાઈન મુજબ તૈયાર છે અને તેનાથી ગુજરાતને મોટો ફાયદો થશે.
ટાટા ગ્રુપ પણ ગુજરાતને લઈને આશાવાદી છે. કંપનીના સાણંદ સ્થિત પ્લાન્ટના ઈલેક્ટ્રીક વ્હીકલ માટેના વિસ્તરણથી લઈને નવા રોકાણ સુધીની વાત ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને કરી હતી. સાણંદ અમારી તમામ ઈલેક્ટ્રીક વ્હીકલ ટેકનોલોજીનું ઘર બની રહ્યું છે. અમે સાણંદમાં જ વિસ્તરણ કર્યું વધારાની ક્ષમતા સાથે જ જેથી કરીને વધતી ઈલેક્ટ્રીક વ્હીકલ ડિમાન્ડને પહોંચી વળીએ. અને અમે ગીગા ફેક્ટરીની ઈમારત 20 ગીગા વોટ લિથિયમ બેટરી માટે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ.
જેનું બાંધકામ સાણંદમાં આવનારા 2-3 મહિનામાં શરૂ થવું જોઈએ. બાદમાં અમે C295 ડિફેન્સ એરક્રાફ્ટ પણ શરૂઆતમાં વડોદરા અને પછી ધોલેરામાં બનાવી રહ્યા છે અને તે કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. ટાટા ગ્રુપનો વાયદો છે કે અમે ધોલેરામાં મોટી સેમિકન્ડક્ટર ફેક્ટરી ધોલેરામાં કરવાના છીએ. અમે 2024માં જ વાટોઘાટો પૂરી કરીને તેની શરૂઆત કરીશું.
સુઝૂકીના પ્રમુખ તોશિહિરો સુઝૂકીએ જણાવ્યું હતું કે છેલ્લાં 10 વર્ષથી વડાપ્રધાન નરેદ્ર મોદીના નેતૃત્વમાં ઓટોમોબાઈલ ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે અને સમગ્ર દેશમાં ઓટોમોબાઈલ ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો જોવા મળ્યો છે. તેમણે સુઝુકી, ગ્રુપ રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને બનાસ ડેરી સાથે મળીને બાયોગેસ ઉત્પાદન શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. સુઝુકી દ્વારા ગુજરાતમાં 4 બાયોગેસ પ્લાન્ટનું બાંધકામ શરૂ કરી દેવાયું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
માઇક્રોન ટેક્નોલોજીસ યુએસએના સીઇઓ સંજય મેહરોત્રાએ દેશને સેમીકન્ડક્ટર ઉત્પાદન માટે ખુલ્લું મૂકવાના વિઝન માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, ભવિષ્યમાં તે એક મોટું આર્થિક ચાલકબળ બનશે, કારણ કે ભારત દુનિયામાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવાની દિશામાં આગેકૂચ કરી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સેમીકન્ડક્ટર પાવર તરીકે ભારતના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ વિઝનરી વિચારોને પ્રસ્તુત કરે છે તથા આ ક્ષેત્રમાં વૃદ્ધિની બહુવિધ તકો પર પ્રકાશ પણ પાડે છે.
ડી.પી. વર્લ્ડના ચેરમેન સુલતાન અહમદ બિન સુલેયમે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત માટે વડાપ્રધાનનું વિઝન સાકાર થતાં આનંદ થાય છે, તેમણે સમિટનું આયોજન કરવા બદલ ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતાં. ભારત અને યુએઈ વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક સંબંધો પર પ્રકાશ પાડતા તેમણે વર્ષ 2017થી અત્યાર સુધીમાં 2.4 અબજ ડોલરથી વધુનું રોકાણ કરનાર આ દેશ ગુજરાતના સૌથી મોટા વિદેશી રોકાણકારોમાંનો એક હોવાનું જણાવ્યું હતું. તેમણે ગુજરાતના કંડલા ખાતે 20 લાખ કન્ટેનરની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ્સના રોકાણ અને વિકાસ માટે ડીપી વર્લ્ડની યોજના વિશે માહિતી આપી હતી.
ઝીરોધાના સ્થાપક અને સીઈઓ નિખિલ કામતે છેલ્લા બે દાયકામાં દેશના સર્વાંગી વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એક ઉદ્યોગસાહસિક તરીકેની તેમની યાત્રાની તુલના કરી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે છેલ્લા 10 વર્ષ અવિશ્વસનીય રહ્યા છે. તેમણે દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને નાના ઉદ્યોગસાહસિકો અને ઈ-કોમર્સના ઉદયને બિરદાવ્યો હતો, જે 10 વર્ષ પહેલાં નહોતું. તેમણે સ્ટાર્ટઅપ્સને ખીલવા દેતી સ્થિર ઇકોસિસ્ટમની સુવિધા માટે વડાપ્રધાનને શ્રેય આપ્યો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો