અંશુમાન તિવારી | અબુધાબી
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ની બેઠક હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. અબુધાબીમાં યોજાયેલી WTO બેઠકના ચોથા દિવસે પણ કોઈ મુખ્ય મુદ્દા પર સહમતિ થઈ હોવાના સંકેત મળ્યાં નથી. બુધવારે મોડી સાંજ સુધી પણ કોઈ મુખ્ય એજન્ડા આડેનો અવરોધ દૂર થયો હોવાના સંકેત મળ્યા નથી.
કૃષિ જેવા સંવેદનશીલ અને અતિ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે વિકસિત અને વિકાસશીલ દેશો નમતું જોખવા તૈયાર નથી. ફિશિંગ માટે સબસિડીનો મુદ્દો પણ અધ્ધરતાલ દેખાઈ રહ્યો છે. વિભિન્ન દેશો વચ્ચે એકસૂરનો અભાવ છે. વિકસિત દેશો ઈ-કૉમર્સને ટેક્સ-ફ્રી રાખવાના મુદ્દે અડગ છે જ્યારે ભારત આ સુવિધા લંબાવવાની તરફેણમાં નથી.
WTO બેઠકમાં તમામ દેશ પોતપોતાના હિતને સાચવવામાં વ્યસ્ત દેખાઈ રહ્યાં છે. ભારતે પણ પોતાનું વલણ કડક રાખ્યું છે. ભારતે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી જૂના પ્રશ્નોનો નીવેડો ના આવે ત્યાં સુધી નવા મુદ્દાને સામેલ ન કરવા જોઈએ. વિકસિત દેશોએ થોડીક બાંધચોડ કરવી પડશે અને રાહતો આપવી પડશે, નહીંતર બહુપક્ષીય વ્યવસ્થા ટકવી મુશ્કેલ છે.
સૂત્રોએ જણાવ્યું છે કે, ચીન, અમેરિકા અને યુરોપીયન યુનિયન (EU)ને કારણે ઘણી દરખાસ્તો લટકી ગઈ છે. દેશો-દેશો વચ્ચે જૂથબંધી જોવા મળી છે. સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો છે કૃષિ સબસિડી અને અનાજની ખરીદી. આ મુદ્દે જ એકમત સાધી શકાયો નથી. 29 ફેબ્રુઆરીએ બેઠકનો અંતિમ દિવસ છે અને આ દિવસે વિવિધ મુદ્દે સહમતિ સાધવાનો પ્રયાસ કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, અત્યાર સુધી તો એવા કોઈ સંકેત મળ્યાં નથી કે, દેશો નમતું જોખશે.
ભારતે જણાવ્યું છે કે, WTOની બેઠકમાં જે મોટા-મોટા વાયદાઓ કરવામાં આવે છે, તેને પૂરા કરવાની વાત આવે ત્યારે વિકસિત દેશો પાછી પાની કરી લે છે. મંત્રી લેવલની બેઠકમાં પણ મહત્ત્વનાં નિર્ણયો લાગુ થતા નથી. આ કારણસર, ઓછા વિકસિત દેશોની વૃદ્ધિ પર અસર પડે છે. વિકસિત દેશો WTOના મૂળ હેતુને સિદ્ધ કરવામાં મદદરૂપ નથી થઈ રહ્યાં. બહુપક્ષીય વ્યવસ્થામાં સભ્ય દેશોને ખાસ સુવિધા આપવામાં આવે છે, પરંતુ વિકસિત દેશો તેનો વિરોધ કરે છે.
ઔદ્યોગિકીકરણમાં સફળ થવા માટે વિકસિત દેશોએ હંમેશા પોતાનું હિત સચવાય તેવા નિયમો ઘડ્યા છે, અને વિકસિત દેશો હજુ પણ આવું જ કરી રહ્યાં છે. વિકસિત દેશોને ભારતનું આ નિવેદન આકરું લાગ્યું છે. વિકસિત દેશોએ પોતે તો ઔદ્યોગિકીકરણની હરણફાળ ભરી છે પરંતુ અન્ય દેશો આવું કરવા જાય તો તેમને રોકવામાં આવે છે.
ભારતે પોતાના નિવેદનમાં વિકાસથી વંચિત રહી ગયેલા દેશોનો ઉલ્લેખ કર્યો છે. આ દેશોને હંમેશાથી WTOમાં નિરાશા સાંપડી છે. ભારતે જણાવ્યું છે કે, ગ્લોબલ ટ્રેડની બહુપક્ષીય વ્યવસ્થા ટકાવવી હોય તો તેને બને તેટલી લવચીક રાખવાની જરૂર છે અને વિકસિત દેશોએ પોતાનું અડગ વલણ ત્યાગીને અન્ય દેશોને આગળ વધવાનો માર્ગ મોકળો કરવામાં મદદરૂપ થવાની જરૂર છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો