MONEY9: જ્યાં કમાણી થાય છે ત્યાં ટેક્સ ચુકવવાનો હોય છે. સામાન્ય રીતે કોઇ નાણાકીય વર્ષ દરમિયાન કરવામાં આવેલી કમાણી વર્ષના અંતમાં ઇનકમ ટેક્સ ભરવો પડે છે. પરંતુ શું તમને ખબર છે કે નાણાકીય વર્ષ પૂર્ણ થતા પહેલા પણ ટેક્સ ચૂકવી શકાય છે. જેને એડવાન્સ ટેક્સ કહેવામાં આવે છે. કરદાતાઓના નાણાકીય બોજને ઘટાડવા માટે આ સ્કીમ રજૂ કરવામાં આવી છે. એકસાથે ભારે ભરખમ ટેક્સ ચુકવવાના બદલે તમે ટુકડામાં ટેક્સ ભરી શકો છો.
એડવાન્સ ટેક્સ એવો ઇનકમ ટેક્સ છે જેની ચુકવણી કરદાતાએ એકસાથે નથી કરવી પડતી પરંતુ દરેક ક્વાર્ટરમાં કરવાની હોય છે. આવકવેરા કાયદા અનુસાર, કરદાતાએ સંપૂર્ણ નાણાકીય વર્ષમાં થતી કમાણીનું કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. જેના આધારે ચોક્કસ સમયાંતરે ટેક્સની ચુકવણી કરવાની હોય છે. એટલે જે નાણાકીય વર્ષમાં તમારી કમાણી થાય છે તે નાણાકીય વર્ષ દરમિયાન એડવાન્સ ટેક્સ ચુકવવામાં આવે છે.
દરેક કરદાતા જેની એક નાણાકીય વર્ષમાં ટેક્સ જવાબદારી 10 હજાર રૂપિયા કે તેથી વધારે બને છે. તેને એડવાન્સ ટેક્સ ચુકવવાનો હોય છે. પછી તે નોકરિયાત હોય, બિઝનેસ કરતો હોય કે પછી કોઇ વ્યવસાય સાથે જોડાયેલો હોય. સેલેરીવાળા લોકોએ એડવાન્સ ચુકવવાનો નથી હોતો કારણ કે કંપની TDS કાપીને સેલેરી ચૂકવે છે. આવા કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ચૂકવવાની જરૂરિયાત ત્યારે જ પડે છે જ્યારે તેમની સેલેરી ઉપરાંત કોઇ બીજી ઇનકમ હોય. જેવી કે વ્યાજ કે ડિવિડન્ડથી મળતી આવક. સામાન્ય રીતે બિઝનેસમેન કે પ્રોફેશનલ્સ એડવાન્સ ટેક્સ ચૂકવે છે. 60 વર્ષથી ઉપરના લોકોને એડવાન્સ ટેક્સ ભરવામાંથી છૂટ પ્રાપ્ત છે. શરત એટલી કે તેમની કોઇ કારોબાર કે પ્રોફેશનમાંથી આવક ન થતી હોય.
એડવાન્સ ટેક્સને ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. પહેલો હપ્તો 15 જૂન સુધી, બીજો 15 સપ્ટેમ્બર સુધી, ત્રીજો હપ્તો 15 ડિસેમ્બર અને છેલ્લો હપ્તો 15 માર્ચ સુધી જમા કરવાનો હોય છે. ટોટલ ટેક્સના 15 ટકા તમારે 15 જૂન સુધી એડવાન્સ ટેક્સ તરીકે જમા કરવા પડે છે. 15 સપ્ટેમ્બર સુધી 45 ટકા, 15 ડિસેમ્બર સુધી 75 ટકા અને 15 માર્ચ સુધી 100 ટકા ટેક્સ ભરવો પડે છે.
એડવોકેટ એન્ડ ટેક્સ એક્સપર્ટ ગૌરવ ગુપ્તા જણાવે છે કે સમયસર એડવાન્સ ટેક્સ ભરવામાં નિષ્ફળ રહેવા પર સેક્શન 234-B અને સેક્શન 234-C હેઠળ વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ આપવું પડશે. માની લો કે તમે 15 સપ્ટેમ્બરની ડેડલાઇન મિસ કરી દીધી તો તમારે 3 મહિનાનું વ્યાજ આપવું પડશે, જેનો દર એક ટકા પ્રતિમાસ છે. જો કરદાતાએ વધુ એડવાન્સ ટેક્સ ભરી દીધો છે તો ઇનકમ ટેક્સ રિટર્ન ભરીને રિફંડ ક્લેમ કરી શકાય છે.
ગુપ્તા જણાવે છે કે એડવાન્સ ટેક્સ ભરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે કરદાતાએ આકારણી વર્ષની સાચી વિગતો ભરી હોય અને પાન નંબર બરોબર હોય. આ ઉપરાંત, એડવાંસ ટેક્સની ગણતરી કરતી વખતે કરદાતાએ અંદાજીત કુલ કરમાંથી TDS અને ડિડક્શન તથા કરછૂટને બાદ કરીને બચેલી ટેક્સની રકમને એડવાન્સ ટેક્સ તરીકે જમા કરવી જોઇએ.
એડવાન્સ ટેક્સ ભરવો સરળ છે. આના માટે તમારે ઇનકમ ટેક્સની ઇ-ફાઇલિંગ વેબસાઇટ www.incometax.gov.in પર જવું પડશે અને e-Pay Tax ના ઑપ્શન પર ક્લિક કરવું પડશે. પાન નંબર અને મોબાઇલ નંબર નાંખીને તમારે એડવાન્સ ટેક્સનો વિકલ્પ સિલેક્ટ કરવો પડશે. નેટ બેંકિંગ કે ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકો છો. આ ઉપરાંત, તમે ચલણ નંબર 208 જનરેટ કરી શકો છો અને આને અધિકૃત બેંક શાખામાં જમા કરીને એડવાન્સ ટેક્સ ભરી શક છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો