Money9: ઇનકમ ટેક્સ એપેલેટ ટ્રીબ્યૂનલે તેના તાજેતરના એક ચુકાદામાં ઘણાં લોકોને રાહત આપી છે. આવો જાણીએ કે આ રાહત શું છે?
Income Tax Appellate Tribunal એટલે કે ITATની મુંબઇ બેંચે માન્યું કે રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટના કારણે બિલ્ડર તરફથી વળતર સ્વરૂપમાં મળેલી રકમ પર જુના ફ્લેટ માલિકે ટેક્સ નહીં આપવો પડે. હવે તેને સરળ શબ્દોમાં સમજીએ. જ્યારે કોઇ જુની હાઉસિંગ સોસાયટીનું રિડેવલપમેન્ટ કરવામાં આવે છે એટલે કે તેને નવેસરથી બનાવવમાં આવે છે. તો બિલ્ડર મકાન માલિકને જ્યાં સુધી તેમને પોતાનું ઘર ન મળી જાય ત્યાં સુધી રહેવા માટે જગ્યા આપે છે. સામાન્ય રીતે આ પૈસાનો ઉપયોગ કોઇ બીજા ઘરમાં ભાડેથી રહેવા માટે કરવામાં આવે છે. આવકવેરા કાયદા હેઠળ, રેન્ટલ ઇનકમ એટલે કે ભાડાં તરીકે મળેલી આવક ટેક્સેબલ હોય છે. આવા સંજોગોમાં કેસ એવો બને છે કે કોમ્પેન્સેટરી રેન્ટલ એટલે વળતર સ્વરુપે પ્રાપ્ત ભાડાંને આવક માનવી કે નહીં.
ટેક્સ ટ્રિબ્યૂનલે શું કહ્યું
ટેક્સ ટ્રિબ્યૂનલે તેના ચુકાદામાં કહ્યું કે રિડેવલપમેન્ટની સ્થિતિમાં જેટલો સમય પોતાના ઘરેથી વિસ્થાપિત એટલે કે દૂર રહે છે તેટલા સમયગાળા દરમિયાન પ્રાપ્ત ભાડાં પર ટેક્સ નહીં લાગે. કોર્ટે માન્યું કે વળતર તરીકે મળેલું ભાડું એ કોઇપણ પ્રકારની આવક નથી પરંતુ મૂડિલાભ છે. એટલે ફ્લેટ માલિકના હાથમાં આવેલા પૈસા પર ટેક્સ નહીં લાગે.
આ નિર્ણય અજય પારસમલ કોઠારીની અપીલ પર આવ્યો છે. નાણાકીય વર્ષ 2012-13 માટે કોમ્પ્યુટર આધારિત સ્ક્રૂટીનીમાં તેમનો મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ કર અધિકારીએ જોયું કે કોઠારીને બિલ્ડરથી વળતર તરીકે પ્રાપ્ત ભાડા સ્વરૂપે 3.7 લાખ રૂપિયા મળ્યા હતા. જો કે તેમણે આ પૈસાનો ઉપયોગ રહેવા માટે નહોતો કર્યો. કર અધિકારીએ આ રકમને અન્ય સ્ત્રોતથી આવક હેઠળ કરયોગ્ય આવક ગણી હતી. એટલે કે તેમણે પોતાના ટેક્સ સ્લેબના હિસાબે આ રકમ પર ટેક્સ આપવાનો હતો. જેની સામે તેમણે કમિશ્નર અને બાદમાં ITATમાં અપીલ કરી હતી.
ટ્રિબ્યૂનલે કહ્યું કે કરદાતા ભલે પોતાના માતા-પિતા સાથે રહેતા હતા પરંતુ રિડેવલપમેન્ટ માટે પોતાનો ફ્લેટ ખાલી કરવામાં તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આવા સંજોગોમાં નુકસાની વળતર માટે પ્રાપ્ત ભાડું કરપાત્ર નથી.
રિડેવલપમેન્ટ એક સારો વિકલ્પ
મેટ્રો શહેરમાં જમીનની કમી અને પ્રોપર્ટીની વધતી કિંમતો રિડેવલમેન્ટને એક સારો વિકલ્પ બનાવી રહી છે. રિડેવલપમેન્ટમાં એવી ઇમારતોનો કાયાકલ્પ કરવામાં આવે છે, જેની લાઇફ સ્પેન સમાપ્ત થવાની નજીક હોય છે. મકાન માલિકો અને રોકાણકારો બન્ને માટે આ સારો સોદો ગણાય છે. કારણ કે આનાથી ઘર માલિકોને આધુનિક સુખ-સુવિધાઓ મળે છે જ્યારે રોકાણકારોને સારા લોકેશન પર પ્રોપર્ટી મળી જાય છે. ઘર માલિકોને તેમનું ઘર આપ્યા બાદ જે ફ્લેટ બચે છે તેને વેચીને બિલ્ડર નફો કમાય છે.
જો તમારી બિલ્ડિંગ પણ નવેસરથી બનાવાઇ રહી છે તો આ નિર્ણય તમારા માટે પણ કામનો છે કારણ કે આ નિર્ણય આ પ્રકારના બીજા કિસ્સામાં ક્વોટ કરવામાં આવશે. મુંબઇના લાખો પરિવારોને આનાથી ઘણી રાહત મળશે કારણ કે ત્યાં મોટી સંખ્યામાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો