Money9: ઇનકમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ભરીને લોકો બેફિકર થઇ જાય છે… કે હવે કોઇ ટેન્શન નહીં. પરંતુ આવુ નથી. રિટર્ન ભર્યા બાદ પણ નોટિસ આવી શકે છે. ટેક્સપેયરને અનેક પ્રકારની નોટિસ આવે છે. ટેક્સ અને ઇનકમમાં તફાવત દેખાય તો નોટિસ આવી શકે છે. રિટર્નમાં ભારે-ભરખમ રિફંડ ક્લેમ કરો તો નોટિસ આવી શકે છે. આવો જાણીએ કેટલા પ્રકારની હોય છે ઇનકમ ટેક્સ નોટિસ અને તે કેમ આવે છે?
કેટલા પ્રકારની હોય છે નોટિસ?
આવકવેરાની નોટિસ ઘણાં પ્રકારની હોય છે. તેનો આધાર એ વાત પર રહે છે કે નોટિસ કોને મોકલવામાં આવી રહી છે. જેમ કે તે કોઇ વ્યક્તિ છે, બિઝનેસ છે કે પછી કંપની? અંદાજે 15 થી 20 પ્રકારની નોટિસ હોય છે. તો આવો મેળવીએ માહિતી આવી જ કેટલીક નોટિસો અંગે કે જે સામાન્ય રીતે તમને આવતી હોય છે.
સેક્શન 142- જો કોઇ વ્યક્તિએ ITR નથી ભર્યો તો આવકવેરા અધિકારી સેક્શન 142 હેઠળ નોટિસ આપીને રિટર્ન ભરવા માટે કહી શકે છે. નાની-મોટી માહિતી કે સ્પષ્ટીકરણ માંગવા માટે પણ આ કલમ હેઠળ નોટિસ મોકલી શકાય છે.
સેક્શન 143(2)- આ સ્ક્રૂટિનીની નોટિસ હોય છે. જેનો અર્થ એ છે કે આવકવેરા વિભાગ તમારી પાસેથી કેટલીક વધુ માહિતી મેળવવા માંગે છે. જેમાં બુક ઓફ એકાઉન્ટ્સ, બેંક સ્ટેટમેન્ટ જેવી ઘણી માહિતીઓ માંગવામાં આવી શકે છે. અને તેના આધારે એસેસમેન્ટ કરવામાં આવશે. રિટર્ન ભરતી વખતે જ આ નોટિસ આવી શકે છે. સૌથી વધુ નોટિસ સ્ક્રૂટિનીની જ આવે છે.
સેક્શન 144- આને બેસ્ટ જજમેન્ટ એસેસમેન્ટ કહેવાય છે. જો તમે ITR ફાઇલ નથી કર્યું કે 142 કે 143(2) હેઠળ આવેલી નોટિસનો જવાબ નથી આપ્યો તો આવકવેરા અધિકારી સેક્શન 144 હેઠળ નોટિસ મોકલી શકે છે. આવા સંજોગોમાં અધિકારી હાલની માહિતીના આધારે ઇનકમની ગણતરી કરીને તેની પર કર, વ્યાજ અને દંડ લગાવી શકે છે.
સેક્શન 147/148/149- જો અધિકારીને લાગે કે તમારી આવકનું પહેલા જે એસેસમેન્ટ થયું છે તેમાં કેટલીક આવક સામેલ નથી. કે પછી તમારી કોઇ એવી ઇનકમ છે જેનો ખુલાસો પહેલા નથી થયેલો, તો આ નોટિસ આવી શકે છે.
સેક્શન 143(1)- આ કલમ હેઠળ નોટિસ ત્યારે આવે છે જ્યારે તમે ITRમાં કોઇ ભૂલ કરી હોય. કે પછી ખોટી માહિતી આપી હોય. આવી સ્થિતિમાં આવકવેરા અધિકારી નોટિસ મોકલીને તમારો પક્ષ જાણવા માંગે છે. જો તે તેમારા જવાબથી સંતુષ્ટ ન થાય તો તમારી ઇનકમ વધારી કે કપાત ઘટાડી શકે છે.
આ ઉપરાંત, ડિફેક્ટિવ રિટર્ન માટે સેક્શન 139 (9), સર્ચ અને જપ્તી માટે સેક્શન 153(A), ટેક્સ, વ્યાજ કે પેનલ્ટી બાકી રહેવા પર સેક્શન 156, આવક છુપાવી હોવાની શંકા પડે તો સેક્શન 131(A) હેઠળ નોટિસ મોકલી શકાય છે.
કેમ આવે છે નોટિસ?
ટેક્સ એક્સપર્ટ FCA અંકિત ગુપ્તા જણાવે છે કે ટેક્સપેયર્સને નોટિસ આવવાના ઘણાં કારણો છે. પહેલું મોટું કારણ એ છે કે તમે કોઇપણ પ્રકારની આવક ઇનકમ ટેક્સ વિભાગથી છુપાવી હોય. અને બીજું કારણ ઇનકમ ટેક્સ રિટર્ન ફોર્મમાં ભૂલ કરી હોય. ક્યારેક કોઇક ગણિતની ભૂલ, જેવી કે, સરવાળો કે બાદબાકી કરવા સાથે જોડાયેલી ભૂલ કરો, તો પણ નોટિસ આવે છે.
ગુપ્તા જણાવે છે કે હકીકતમાં ઇનકમ ટેક્સ નોટિસથી ડરવું જોઇએ અને ન પણ ડરવું જોઇએ. આનું કારણ એ છે કે મોટાભાગની નોટિસ ફક્ત સ્પષ્ટીકરણ માંગે છે. આવકવેરા વિભાગને ટેક્સપેયર પાસેથી કેટલીક સામાન્ય માહિતી જોઇતી હોય છે. જો કોઇને સેક્શન 148 કે 144 હેઠળ નોટિસ મળે તો થોડી ચિંતાની વાત છે.
આવકવેરા વિભાગની બધી નોટિસનો જવાબ આપવો જોઇએ. આમ ન કરવું વધારે મુશ્કેલી ઉભી કરી શકે છે. ઘણાં લોકો જાતે જ નોટિસનો જવાબ આપે છે. જ્યારે પણ નોટિસનો જવાબ આપો તો જે સેક્શનમાં નોટિસ મોકલવામાં આવી હોય તેનો ઉલ્લેખ જરૂર કરો. જરૂર લાગે તો કોઇ ટેક્સ એક્સપર્ટની સલાહ લેવાનું વધારે યોગ્ય રહેશે.
ઘણાં લોકોનું ઇનકમ ટેક્સ પોર્ટલ પર મોબાઇલ નંબર અને ઇ-મેલ ID રજિસ્ટર નથી હોતું. આવામાં તેમને નોટિસની ખબર નથી પડતી. જરૂરી છે કે તમે પોર્ટલ પર પોતાનો ઇ-મેઇલ અને નંબર રજિસ્ટર કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો