MONEY9 GUJARATI: જો તમને એવો સવાલ થતો હોય કે આપણા ખર્ચા અને રોકાણની ડિટેઈલ આવકવેરા વિભાગને આપે છે કોણ? તો આપને જણાવી દઈએ કે આવકવેરા વિભાગ હવે એ લૉજિક પર કામ કરે છે કે કોઈ વ્યક્તિ પોતાની આવક તો સંતાડી શકે. પરંતુ પોતાના ખર્ચા અને રોકાણને સંતાડી નથી શકતું. છેલ્લા કેટલાક વર્ષોમાં આવકવેરા વિભાગે એક મેકેનિઝમ એટલે કે વ્યવસ્થા બનાવી છે કે જેનાથી ખર્ચ અને રોકાણ પર નજર રાખી શકાય..
હવે જો તમને એમ થતું હોય કે આવક વેરા વિભાગ આપણી કઈ લેવડદેવડ પર નજર રાખે છે. તેનો જવાબ છે હાઈ વેલ્યૂ ટ્રાન્ઝેક્શન એટલે કે મોટા ખર્ચા અને રોકાણ પર. આ વ્યવસ્થાનું નામ છે Statement of Financial Transaction એટલે કે SFT. જે અંતર્ગત જુદીજુદી લેવડદેવડની અલગ અલગ સીમા નક્કી કરવામાં આવી છે. આ સીમાથી વધુની લેવડદેવડ થાય તો સંબંધિત વિભાગ તેની જાણકારી આવકવેરા વિભાગને આપે છે..
હવે સમજીએ કે
1) – પહેલું ટ્રાન્ઝેક્શન સેવિંગ અકાઉન્ટ સાથે જોડાયેલું છે. આખા નાણાકીય વર્ષ દરમિયાન 10 લાખ રૂપિયા કે તેનાથી વધુ રોકડ સેવિંગ અકાઉન્ટમાં જમા કરવામાં આવતી હોય કે ઉપાડવામાં આવતી હોય તો બેંક તેની જાણકારી આવકવેરા વિભાગને આપે છે. આ લેવડદેવડ ભલે એક ખાતામાંથી હોય કે અલગઅલગ ખાતામાંથી. આ ઉપરાંત કેશ આપીને 10 લાખ રૂપિયા કે તેનાથી વધુના ડિમાન્ડ ડ્રફ્ટ, પે ઑર્ડર કે બેંકર ચેક બનાવવાની જાણકારી પણ આપવામાં આવે છે.
2) – કરંટ અકાઉન્ટ એટલે કે ચાલુ ખાતામાં 50 લાખ રૂપિયા કે તેથી વધુ કેશ જમા કરવી કે ઉપાડની જાણકારી આવકવેરા વિભાગને આપવામાં આવે છે.
3) – એક નાણાકીય વર્ષમાં 10 લાખ કે તેનાથી વધુની FDની જાણકારી પણ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામા આવે છે. કેશ અને ડિજિટલ બંને બાબતોમાં આ લાગૂ પડે છે.
4) – ચોથું ટ્રાન્ઝેક્શન ક્રેડિટ કાર્ડને લઈને છે. એક લાખ કે તેનાથી વધુનું ક્રેડિટ કાર્ડનું બિલ કેશ કે પછી 10 લાખ કે તેનાથી વધુના બિલ કોઈ પણ બીજી રીતે પે કરવાની જાણકારી પણ આવકવેરા વિભાગને અપાય છે.
5) – પાંચમું ટ્રાન્ઝેકશન મકાન, ફ્લેટ અને જમીન સાથે જોડાયેલું છે. જો તમે 30 લાખ રૂપિયા કે તેથી વધુની પ્રોપર્ટી ખરીદો છો તો તેની જાણકારી આપવી પ્રોપર્ટી રજીસ્ટારનું કામ છે. 50 લાખથી વધુની પ્રોપર્ટી ખરીદવા પર 1 ટકા TDS કાપવામાં આવે છે. TDS કપાવાના કારણે પણ લેવડદેવડની જાણકારી આવકવેરા વિભાગ પાસે પહોંચી જાય છે.
6) – જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં 10 લાખ કે તેથી વધુના શેર, ડિબેન્ચર, બૉન્ડ કે પછી મ્યૂચુઅલ ફંડ ખરીદે છે તો તેની જાણકારી આવકવેરા વિભાગને આપવી તે કંપની કે સંસ્થાની જવાબદારી છે.
7) – સાતમું ટ્રાન્ઝેક્શન સામાન્ય માણસ સાથે જોડાયેલું છે. જેમાં કરોડો લોકો આવે છે. કોઈ વસ્તુ કે સેવા ખરીદવા માટે 2 લાખ રૂપિયાથી વધુની રોકડ ચુકવણી કરવાથી સંબંધિત વિક્રેતાએ તેની જાણકારી ઈનકમ ટેક્સ વિભાગને આપવી પડે છે. દાખલા તરીકે તમે જ્વેલરી ખરીદો છો. અને 2 લાખથી વધુ રકમ કેશમાં આપો છો, તો તે દુકાનદારની જવાબદારી છે કે તે આ લેવડદેવડની જાણકારી આવકવેરા વિભાગને આપે. આ ઉપરાંત 2 લાખ કે તેથી વધુની લેવડદેવડ માટે તમારું પાનકાર્ડ પણ આપવું પડશે.
પાન, મોબાઈલ નંબર અને આધારથી પણ નાણાકીય લેવડદેવડની જાણકારી આવક વેરા વિભાગ સુધી પહોંચે છે. કેમ કે લગભગ તમામ મોટી લેવડદેવડમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. બેંક અકાઉન્ટ કે ડિમેટ અકાઉન્ટ ખોલવા, ક્રેડિટ કાર્ડ અપ્લાય કરવા માટે પણ પાનની જરૂર પડે છે. જો તમારી બેંકમાં જમા રકમ, ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, મ્યૂચુઅલ ફંડ કે બૉન્ડની ખરીદી, રેસ્ટોરન્ટ, હૉટલ કે પછી ફૉરેન ટ્રીપનું બિલ 50 હજાર રુપિયાથી વધુ થાય છે તો પાન કાર્ડ આપવું જરૂરી છે…પ્રોપર્ટીથી મળનાર રકમ 10 હજારથી વધુ છે તો તેના માટે પાન આપવું પડે છે..
કરદાતાઓની આવક પર નજર રાખવાનો TDS એક રસ્તો છે. બેંક કે પોસ્ટ ઓફિસમાં જમા રકમ પર એક વર્ષમાં 40 હજારથી વધુ વ્યાજ મળે છે તો TDS કપાય છે. આવી જ રીતે પ્રોપર્ટી ખરીદવા સહિત અનેક બાબતોમાં પણ TDS ડિડક્ટ થાય છે. તેનાથી પણ આવકવેરા વિભાગને તમારી કમાણી વિશે ખબર પડી જાય છે..
અર્થ એ થયો કે તમે ઈચ્છો કે ના ઈચ્છો,, તમારી દરેક મોટી દેવડદેવડની જાણકારી આવકવેરા વિભાગને મળી જાય છે. પરંતુ ડરવાની જરૂર નથી જ્યાં સુધી તમે તમારી આવક અને રોકાણને કમાણીથી જસ્ટીફાય કરો છો. કમાણી અને ખર્ચમાં તફાવત હોય તો જ આવક વેરા વિભાગ નોટિસ ફટકારે છે.. નાણાકીય વર્ષમાં કરવામાં આવેલા તમામ ખર્ચ અને રોકાણની વિગતો તમને તમારા એન્યૂઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AISમાં મળી જશે. જેને ઈન્કમટેક્સ વિભાગની વેબસાઈટથી ડાઉનલૉડ કરી શકાય છે. આવકવેરા રિટર્ન ભરતા પહેલા AIS ચેક કરી લેજો, જેથી આવક અને ખર્ચ અથવા તો રોકાણ વચ્ચે કોઈ તફાવત ના રહે..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો