Money9 Gujarati:
નાણાકીય વર્ષ 2022-23 માટે 7.27 કરોડ Income Tax Return (ITR) ફાઈલ થયા છે, પરંતુ રિટર્ન ફાઈલ કરનારા લોકોના બેન્ક ખાતાની વિગતોની ખરાઈ ન થવાથી 35 લાખ રિફન્ડ અટકી ગયા છે. આવક વેરા વિભાગે 6.80 કરોડ કરદાતાને રિફન્ડ આપી દીધું છે, પરંતુ વિવિધ કારણસર લાખો કરદાતાના રિફન્ડ અટકાવી રાખ્યા છે, જેમાં સૌથી મોટું કારણ કરદાતા તરફથી બેન્ક ખાતાનું વેરિફાઈ ન કર્યું હોવાનું છે. સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના ચેરમેન નીતિન ગુપ્તાએ જણાવ્યું છે કે, અમારા ટેક્સ ઓફિસર્સ એક ખાસ કૉલ સેન્ટર દ્વારા આવા કરદાતાનો સંપર્ક કરી રહ્યાં છે.
ટેક્સ ડિપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે, એસેસમેન્ટ યર 2023-24 માટે 7.27 કરોડ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ થયા છે, જેમાંથી 7.15 કરોડ કરદાતાએ તેમના ITR વેરિફાઈ કરી લીધા છે, અને આ વેરિફાઈ થયેલા ITRમાંથી 6.80 કરોડને રિફન્ડ મળી ગયું છે. એટલે કે, હજુ પણ 35 લાખ કેસમાં રિફન્ડ અટકેલા છે. ઘણા ટેક્સપેયર્સે તેમના ITR વેરિફાઈ કર્યા ના હોવાથી તેમના રિફન્ડ અટક્યા છે. કેટલાક કેસમાં પાંચ-સાત વર્ષ અગાઉની ક્વેરી કાઢવામાં આવી છે, એટલે રિફન્ડ અટક્યા છે.
CBDTના વડાનું કહેવું છે કે, ટેક્સ અધિકારીઓ એવા કરદાતાનો સંપર્ક કરી રહ્યાં છે, જેમના રિફન્ડ અટક્યા છે અને રિફન્ડના કેસ ફટાફટ ઉકેલવાના પ્રયાસ કરી રહ્યાં છે. નીતિન ગુપ્તાએ જણાવ્યું છે કે, “અમે કરદાતાના સાચા બેન્ક ખાતામાં ઝડપથી રિફન્ડ જમા કરવા માંગીએ છીએ. અમે 2011માં એક ટેકનીકલ ફેરફેર કર્યો હતો અને કાગળ આધારિત રજિસ્ટરની જગ્યાએ કમ્પ્યૂટરમાં કામ શરૂ કર્યું હતું. આથી, અમુક જૂની ક્વેરી અને માંગણીઓ કરદાતાના ખાતામાં જોવા મળી છે. આવા કરદાતાને 2010-11ની જૂની માંગણી અંગે પૂછવામાં આવ્યું હતું, જેના લીધે રિફન્ડ અટક્યું છે.”
CBDTના ચેરમેન જણાવે છે કે, અમારા અધિકારીઓએ મૈસૂર સ્થિત કૉલ સેન્ટર દ્વારા ગયા વર્ષે આવા 1.4 લાખ કેસમાં સમાધાન કર્યું હતું. શરૂઆતમાં આ કૉલ સેન્ટર કર્ણાટક, ગોવા, મુંબઈ, દિલ્હી તથા ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર માટે કામ કરતું હતું, પરંતુ હવે તેનો વ્યાપ અન્ય ક્ષેત્રો સુધી વિસ્તારવાની યોજના છે. કેટલાક કરદાતાના રિફન્ડ અટકવાનું કારણ છે તેમના તરફથી અટકેલું બેન્ક વેરિફિકેશન. આવા કેસમાં કદાચ બેન્કનું મર્જર થયું હોઈ શકે છે અથવા કરદાતાએ શહેર બદલ્યું હોવાથી તેની બેન્કનો IFSC બદલાઈ ગયો હશે.
તેમણે નવી કર વ્યવસ્થા અંગે જણાવ્યું કે, કંપનીઓએ ગયા નાણાકીય વર્ષમાં પોતાના નફાનો લગભગ 60 ટકા હિસ્સો નવી કર વ્યવસ્થા હેઠળ ફાઈલ કર્યો છે અને અપેક્ષા છે કે, 60-70 ટકા વ્યક્તિગત કરદાતા નવી કર વ્યવસ્થાને પસંદ કરશે.
ચાલુ નાણાકીય વર્ષ માટે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો ટાર્ગેટ 52.50 ટકા હાંસલ થઈ ગયો છે. લોકોની આવક અને તેમના ITR પર ચાંપતી નજર રાખી હોવાથી અપડેટેડ રિટર્નની સંખ્યા પણ વધી છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 16.8 લાખ અપડેટેડ રિટર્ન ફાઈલ થયા છે, જેના લીધએ સરકારી તિજોરીમાં 1,300 કરોડ રૂપિયાની આવક થઈ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો