MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
બટાટાનું બમ્પર ઉત્પાદન થવાથી ભાવમાં કડાકો બટાટાનું બમ્પર ઉત્પાદન થવાથી ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ગુજરાત, પંજાબ, યુપી, એમપી સહિતનાં રાજ્યોમાં બટાટાનું મબલખ ઉત્પાદન થવાથી બજારમાં બટાટાની રેલમછેલ છે. પરિણામે, 1 મણનો ભાવ 100 રૂપિયાની નીચે પહોંચી ગયો છે, જે ગયા વર્ષે અઢીસો રૂપિયાની ઉપર હતો. બટાટા સસ્તા થવાથી લોકોને મોંઘવારીમાં રાહતનો અનુભવ થઈ રહ્યો છે તેમજ બટાટામાંથી ચીપ્સ સહિતની ખાદ્ય ચીજો બનાવતી કંપનીઓ પણ ખુશ છે, પરંતુ ખેડૂતે રડવાનો વારો આવ્યો છે. સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ ઊંચો ખર્ચ વેઠીને મબલખ વાવેતર કર્યું હતું, પરંતુ બજારમાં મંદી પ્રસરવાથી ખેડૂતોને પડતર નીકળશે કે નહીં, તેની ચિંતા સતાવી રહી છે. ડુંગળીના ભાવ પણ 4 વર્ષના તળિયે પહોંચી ગયા છે અને હવે બટાટાના બજારમાં ભયંકર મંદી હોવાથી જગતનો તાત સરકાર પાસે સહાયની મીટ માંડીને બેઠો છે.
સોશિયલ સ્ટોક એક્સચેન્જ માટે NSEને મળી અંતિમ મંજૂરી નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે, NSEને તેના પ્લેટફોર્મ પર અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ સ્થાપવાની અંતિમ મંજૂરી મળી ગઈ છે. મૂડીબજારના નિયમનકાર SEBIએ 22 ફેબ્રુઆરીના રોજ ફાઈનલ ક્લીયરન્સ આપ્યું છે. સોશિયલ સ્ટોક એક્સચેન્જ પર કોઈ પણ સોશિયલ એન્ટરપ્રાઈઝ, નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન અથવા ફોર-પ્રોફિટ સોશિયલ એન્ટરપ્રાઈઝનું લિસ્ટિંગ થશે. સામાજિક કામકાજ સાથે જોડાયેલી કંપનીઓ અને સંગઠનોને પોતાનું અલગ એક્સચેન્જ મળવાથી મૂડીભંડોળ મેળવવામાં સરળતા રહેશે અને પારદર્શકતા પણ વધશે.
ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ યથાવત્ રહેવાની ધારણા દેશમાં ચોખાની અછત ઊભી ના થાય અને ભાવ અંકુશમાં રહે તે માટે, સરકાર નિકાસ પર મૂકેલો પ્રતિબંધ યથાવત્ રાખે તેવી ધારણા છે. 2022ના સપ્ટેમ્બર મહિનામાં સરકારે બ્રોકન રાઈસના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો તેમજ અન્ય રાઈસ પર 20 ટકા ડ્યૂટી લાદી હતી. ચોખાની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં 2022માં ભારતમાંથી ચોખાની નિકાસ સાડા ત્રણ ટકા વધી છે. વિશ્વમાં ભારતનાં ચોખાની બહુ મોટી ડિમાન્ડ છે. ગયા વર્ષે થાઈલેન્ડ, વિયેતનામ, પાકિસ્તાન અને અમેરિકાએ કરેલી ચોખાની કુલ નિકાસની સરખામણીએ ભારતની નિકાસ વધારે રહી હતી.
મ્યુચ્યુઅલ ફંડ્સે જાન્યુઆરીમાં અદાણી પોર્ટ્સમાં હિસ્સો વધાર્યો અદાણી ગ્રૂપના સ્ટોક્સમાં થયેલા ધબડકાનો લાભ મ્યુચ્યુઅલ ફંડ્સે ઉઠાવ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ્સે જાન્યુઆરીમાં અદાણી પોર્ટ્સના શેરની ખરીદી વધારી દીધી હોવાની માહિતી મળી છે. અદાણી ગ્રૂપના તમામ શેર્સમાં મોટા ગાબડાં પડ્યા છે, જોકે, અદાણી પોર્ટ્સમાં એટલો બધો ઘટાડો થયો નથી. કદાચ, મ્યુચ્યુઅલ ફંડ્સના મેનેજર એવું માને છે કે, અદાણી ગ્રૂપમાં અદાણી પોર્ટ્સ એક સારો શેર છે. આથી, તેમણે આ કંપનીમાં હિસ્સો વધાર્યો છે. મ્યુચ્યુઅલ ફંડ્સે જાન્યુઆરીમાં નાયકા, ટાટા મોટર્સ અને અપોલો હોસ્પિટલ્સ જેવી કંપનીમાં પણ હિસ્સો વધાર્યો હતો. મિડકેપ્સની વાત કરીએ તો, મ્યુચ્યુઅલ ફંડ્સે ડિક્સોન ટેકનોલોજિસ, પેટીએમ, બેન્ક ઓફ ઈન્ડિયા અને હિન્દુસ્તાન એરોનોટિક્સના શેર ખદીદ્યા હતા. ફંડ્સે સાઉથ ઈન્ડિયન બેન્ક, હિન્દવેર હોમ અને સુલા વાઈનયાર્ડ્સ જેવા સ્મોલ કેપ્સ પણ ખરીદ્યા છે.
RBL બેન્કની હોમ લોન મોંઘી થશે ખાનગી સેક્ટરની RBL બેન્કે ફરીવાર લોનના રેટ વધાર્યાં છે. બેન્કે હોમ લોન અને ઓટો લોન જેવી કન્ઝ્યુમર લોનના ઈન્ટરેસ્ટ રેટ વધારી દીધા છે. RBL બેન્કે વન-યર MCLR વધારીને 10.15 ટકા કર્યો છે. બેન્કોની વિવિધ પ્રકારની લોનનો વ્યાજ દર વન-યર MCLR સાથે લિન્ક્ડ હોય છે. એટલે જો વન-યર MCLR વધે તો, બેન્કોની લોનના વ્યાજ દર પણ તે મુજબ વધી જાય છે.
SBIએ સિંગાપોર સાથે શરૂ કર્યું UPI પેમેન્ટ SBIની Bhim-SBIPay મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરનારા લોકો તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા સિંગાપોરમાં રહેતા સંબંધીને પૈસા મોકલી શકશે. ભારત અને સિંગાપોરની સરકારે બંને દેશો વચ્ચે ક્રોસ-બોર્ડર પેમેન્ટને વધુ સલામત, સરળ, સસ્તું અને ઝડપી બનાવવા માટે UPI અને સિંગાપોરના PAY-nowને એકબીજા સાથે મર્જ કર્યા છે. ભારત સાથે ક્રોસ-બોર્ડર પર્સન-ટુ-પર્સન પેમેન્ટ ફેસિલિટી શરૂ કરનાર સિંગાપોર પ્રથમ દેશ બની ગયો છે. આ સુવિધા શરૂ થવાથી, સિંગાપોરમાં વસતા ભારતીયો અને ખાસ તો, માઈગ્રન્ટ વર્કર્સ તથા સ્ટુડન્ટ્સને પૈસા મોકલવામાં સરળતા પડશે.
શેરબજારમાં સક્રિય રિટેલ રોકાણકારો સતત ઘટ્યા બજારમાં રિટેલ રોકાણકારોની સક્રિયતા ઓછી થઈ ગઈ છે. સ્ટોક માર્કેટમાં સતત અનિશ્ચતતા રહેવાને કારણે રિટેલ રોકાણકારોનું પાર્ટિસિપેશન સતત ઘટ્યું છે. જાન્યુઆરી-2023માં રિટેલ રોકાણકારો દ્વારા થતું રોકાણ 34 મહિનાના તળિયે પહોંચી ગયું હતું. જાન્યુઆરીમાં રિટેલ રોકાણકારોએ સ્ટોક માર્કેટમાં માત્ર 22,829 કરોડ રૂપિયા ઈન્વેસ્ટ કર્યા હતા. માર્ચ 2020 પછી આ રોકાણ સૌથી નીચા સ્તરે છે. અગાઉ ફેબ્રુઆરી 2021માં રિટેલ રોકાણકારોનું ઈન્વેસ્ટમેન્ટ 58,409 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે નોંધાયું હતું. જોકે, રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રોકાણ જાળવી રાખ્યું છે. એટલે કહી શકાય કે, રોકાણકારોએ ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ઘટાડ્યું છે, પરંતુ SIP દ્વારા ઈન્વેસ્ટમેન્ટ ચાલુ રાખ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો