Money9 Gujarati:
મૂડીબજારનું નિયમન કરતી સંસ્થા SEBIએ અમદાવાદની Shivaay Investments, તેના માલિક અને બે સહ-માલિક સામે આકરાં પગલાં ભર્યાં છે. ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી સર્વિસિસ આપવા બદલ આ કંપની અને તેના માલિકો પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને 6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. શિવાય ઈન્વેસ્ટમેન્ટ્સ ગ્રાહકો પાસેથી ફી લઈને IPOમાં શેર લાગવાની ગેરન્ટી પણ ઑફર કરતી હતી. કંપની અને તેના માલિકોએ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી માટે ગ્રાહકો પાસેથી વસૂલ કરેલી 1.92 કરોડ રૂપિયાની ફીની રકમ ત્રણ મહિનાની અંદર રિફન્ડ કરવાનો આદેશ પણ સિક્યૉરિટીઝ એન્ડ એક્સચેન્જ બૉર્ડ ઑફ ઈન્ડિયા (SEBI)એ કર્યો છે.
SEBIનો આદેશ
SEBIના ચીફ જનરલ મેનેજર (CGM) કે. સરવનને આદેશમાં જણાવ્યું છે કે, “હું એવા તારણ પર આવ્યો છું કે, શિવાય ઈન્વેસ્ટમેન્ટ, રૂપાબેન કે. ભટ્ટ (માલિક), કેવિનભાઈ ભટ્ટ (સહ-માલિક) અને જયરામભાઈ વાળા (સહ-માલિક)એ SEBIમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવ્યા વગર ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર તરીકે કામ કર્યું છે. તેમણે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 3(1) સાથે SEBI એક્ટના સેક્શન 12(1)ની જોગવાઈનો ભંગ કર્યો છે. હું એવા નિષ્કર્ષ પર આવ્યો છું કે, શિવાય ઈન્વેસ્ટમેન્ટે તેની વેબસાઈટ દ્વારા ભ્રામક અને ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવી છે.”
ફરિયાદીએ આપી માહિતી
સમગ્ર મામલો ત્યારે ધ્યાન પર આવ્યો જ્યારે ચિરાગ સાધુ નામના રોકાણકારે ફરિયાદ દાખલ કરીને જણાવ્યું કે, તેણે 16 ડિસેમ્બર 2020માં Mrs Bectors Food Specialtiesના IPOમાં શેર મેળવવા માટે શિવાય ઈન્વેસ્ટમેન્ટ્સને 77,000 રૂપિયા આપ્યા હતા. જોકે, શિવાય ઈન્વેસ્ટમેન્ટ્સ આ પૈસા રિફન્ડ કરવામાં નિષ્ફળ ગઈ હતી અને ફરિયાદીનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. ફરિયાદીએ જે ખાતામાં પૈસા ચૂકવ્યા હતા તે બ્રોકરના Axis Bankના ખાતાની ડિટેલ પણ આપી હતી.
તપાસમાં શું જાણવા મળ્યું
SEBIએ હાથ ધરેલી તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, www.shivaayinvestment.com નામની વેબસાઈટ શિવાય ઈન્વેસ્ટમેન્ટ્સની છે. બ્રોકરે એવો દાવો કર્યો હતો કે, તે ઓફ-માર્કેટ IPOમાં ડીલ્સ ઑફર કરે છે અને કોઈ IPO ખુલ્યો હોય તો તેમાં શેર લાગવાની ગેરન્ટી આપે છે. શિવાય ઈન્વેસ્ટમેન્ટ્સ દ્વારા ઈક્વિટી અને કોમોડિટી સેગમેન્ટ્સમાં ઈન્ટ્રાડે, વીકલી અને મન્થલી એક્સપાયરી તેમજ F&O માટે એડવાઈઝરી સર્વિસિસ આપવામાં આવતી હતી. કંપનીએ તેની વેબસાઈઠ પર સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે, તે તેની અનન્ય પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ અને ઓછા જોખમવાળી રોકાણ સલાહકાર સેવાઓ માટે જાણીતી છે, જે તેના રોકાણકારોને નજીવા જોખમ સાથે મહત્તમ નફો કમાવી શકે છે અને અનન્ય વિચારો તથા ટ્રેડિંગ વ્યૂહરચના દ્વારા રોકાણકારોને કમાણી કરવામાં મદદ કરી શકે છે.
SEBIને જાણવા મળ્યું હતું કે, શિવાય ઈન્વેસ્ટમેન્ટ્સનું બેન્ક ખાતું એક્સિસ બેન્કમાં હતું અને તેમાં ઓથોરાઈઝ્ડ સિગ્નેટરી તરીકે જયદીપગીરી ગોસ્વામીનું નામ હતું. ગોસ્વામીએ 9 ઓગસ્ટ 2021 અને 17 ઓગસ્ટ 2021ના રોજ તેમના ઈ-મેઈલ દ્વારા દલીલ કરી હતી કે, તેઓ માત્ર મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા હતા અને શિવાય ઈન્વેસ્ટમેન્ટની માલિકી રૂપાબેન ભટ્ટ, તેમના પતિ કેવિન ભટ્ટ અને જયરામ વાળાની હતી. ગોસ્વામીએ એવા ગ્રાહકોની યાદી પણ સોંપી છે કે જેમને સલાહકારી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી અને તેના બદલામાં ફી વસૂલવામાં આવી હતી.
રિફન્ડ કરવા પડશે પૈસા
તમામ પુરાવા એકત્ર કર્યા બાદ SEBIએ શિવાય ઈન્વેસ્ટમેન્ટ્સને 1.92 કરોડ રૂપિયા 3 મહિનાની અંદર રિફન્ડ કરવાનો ઓર્ડર આપ્યો છે. આ રકમ વિવિધ ઈન્વેસ્ટર ક્લાયન્ટ્સ પાસેથી ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી માટેની ફી તરીકે વસૂલવામાં આવી હતી. એટલું જ નહીં, શિવાય ઈન્વેસ્ટમેન્ટ્સ, તેના માલિક અને સહ-માલિકો માત્ર રિફન્ડ કરવાના એકમાત્ર હેતુ સિવાય તેમની પાસે ડિમેટમાં અને ફિઝિકલ ફોર્મમાં રહેલી એસેટ્સ, પ્રોપર્ટીઝ અને મ્યુચ્યુઅલ ફંડ્સ તથા શેર્સ અને અન્ય સિક્યોરિટીઝ પણ નહીં વેચી શકે. તેઓ બે વર્ષ સુધી પબ્લિક પાસેથી પૈસા મેળવવાનો ઈરાદો ધરાવતી કોઈ પણ લિસ્ટેડ પબ્લિક કંપની અથવા અન્ય પબ્લિક કંપની સાથે ડિરેક્ટર તરીકે જોડાઈ નહીં શકે અને મુખ્ય મેનેજરીયલ પોસ્ટ પર પણ બેસી નહીં શકે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો