Money9 Gujarati: Nominees for MF investors: શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને મોટી રાહત મળી છે. મૂડીબજારની નિયમનકાર સેબીએ નોમિનીનું નામ સામેલ કરવાની ડેડલાઈન લંબાવી છે. હવે વ્યક્તિગત ડિમેટ ખાતાધારક અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર (MF Investors) 31 ડિસેમ્બર, 2023 સુધી નોમિનીનું નામ સામેલ કરાવી શકશે. અગાઉ આ સમયમર્યાદા 30 સપ્ટેમ્બર સુધીની હતી. સેબીએ ફિઝિકલ સિક્યોરિટી ધરાવતી વ્યક્તિને પાન કાર્ડ જમા કરવાની, નોમિનેશનની અને KYC કરાવવાની ડેડલાઈન પણ લંબાવીને 31 ડિસેમ્બર કરી છે.
ડિમેટ ખાતાધારકો અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારે પોતાના ઉત્તરાધિકારીનું નામ સામેલ કરવા અથવા એક manifesto (ઘોષણાપત્ર) ભરીને યોજનામાંથી બહાર નીકળવાનો વિકલ્પ પસંદ કરવાની ડેડલાઈન પણ 30 સપ્ટેમ્બરથી લંબાવીને 31 ડિસેમ્બર કરી છે. આમ, જે રોકાણકારોએ હજુ સુધી આ કામ પૂરા નહોતા કર્યા તેમને મોટી રાહત મળી છે. અગાઉના સર્ક્યુલરમાં સેબીએ રોકાણકારોને ડિમેટ ખાતામાં નોમિનેશન સામેલ કરવાનું ફરજિયાત કર્યું હતું. જો કોઈ રોકાણકાર આવું ના કરે તો તેમનું ખાતુ ફ્રીઝ થઈ જશે એમ જણાવ્યું હતું. પરંતુ હવે ટ્રેડિંગ માટે નોમિનીનું નામ સામેલ કરવાનું ફરજિયાત નહીં પણ સ્વૈચ્છિક બનાવવામાં આવ્યું છે.
કોઈ દુર્ઘટનામાં રોકાણકારનું મૃત્યુ થઈ જાય તો તેના કાનૂની ઉત્તરાધિકારીને સરળતાથી યુનિટ મળી રહે તે માટે સેબીએ આ નિયમ લાગુ કર્યો હતો. જોકે, હવે સેબીના નવા નિયમ અનુસાર, નવા રોકાણકારે ટ્રેડિંગ અને ડિમેટ ખાતુ ખોલાવતી વખતે જ પોતાના યુનિટ માટે નોમિનેશન ભરવું પડશે અથવા તો મેનિફેસ્ટો દ્વારા બહાર નીકળવાનો વિકલ્પ પસંદ કરવો પડશે. એટલે કે, હવે રોકાણકાર નોમિની વગર રોકાણ નહીં કરી શકે.
નવા નિયમ પ્રમાણે, વર્તમાન રોકાણકાર ડેડલાઈન પૂરી થતાં પહેલાં નોમિનીનું નામ સામેલ કરવાનું કામ પૂરું નહીં કરે તો તેમનો ફોલિયો ફ્રીઝ થઈ જશે અને તેઓ પોતાના પૈસા ઉપાડી નહીં શકે. અગાઉ ઘણા ખાતાધારકોએ નોમિનીનું નામ જોડ્યા વગર ખાતા ખોલાવ્યા હતા. આવા રોકાણકારોના યોગ્ય ઉત્તરાધિકારીને સંપત્તિ ટ્રાન્સફર કરવામાં ઘણી વખત મુશ્કેલી પડે છે, પરંતુ સેબીના નવા નિયમને પગલે હવે એસેટ ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી નહીં પડે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો