Money9 Gujarati:
યોગ ગુરુ રામદેવની કંપની પતંજલિ ફૂડ્સે ભારતમાં હર્બલ-નેચરલ પ્રોડક્ટ્સના જોરે FMCG માર્કેટમાં ખળભળાટ મચાવ્યો હતો અને આયુર્વેદ આધારિત પ્રોડક્ટ્સના જોરે માર્કેટમાં મજબૂત સ્થાન હાંસલ કરી લીધું છે. બાબા રામદેવે તેમની કંપની પતંજલિ ફૂડ્સ માટે વર્ષ 2028 સુધીમાં વર્ષે રૂ.1 લાખ કરોડની આવકનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. અત્યારે બાબાની કંપનીની વાર્ષિક આવક રૂ.45,000 કરોડ છે અને આગામી પાંચ વર્ષમાં તેને ડબલ કરવાની યોજના બાબાએ જાહેર કરી છે.
બાબા શું બોલ્યા?
બાબાના કહેવા પ્રમાણે, FMCG માર્કેટમાં પતંજલિએ કોલગેટ જેવી અગ્રણી ગ્લોબલ કંપનીઓને પાછળ રાખી દીધી છે અને હવે હિન્દુસ્તાન યુનિલીવર (HUL)ને પછાડવા માંગે છે. બાબા કહે છે કે, “કોલગેટના ગેટ બંધ કરી દીધા છે. હવે અમે વેચાણની બાબતમાં માત્ર HULની પાછળ છીએ. આવતા પાંચ વર્ષમાં પતંજલિ રૂ.1 લાખ કરોડની વાર્ષિક રેવન્યુને ક્રોસ થઈ જશે.”
HULની પાછળ પડ્યા બાબા
બાબા રામદેવે 16 જૂને આ લૉન્ચિંગ વખતે પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે જ્યારે કહ્યું હતું કે, અમે હિન્દુસ્તાન યુનીલિવરને પાછળ રાખી દઈશું ત્યારે કોઈ અમારી વાતનો વિશ્વાસ કરતું નહોતું. હવે અમે ટૂંક સમયમાં હિન્દુસ્તાન યુનીલિવરથી આગળ નીકળી જઈશું, કારણ કે, અત્યારે ફૂડ્સ, એગ્રી અને FMCGમાં માત્ર આ કંપની અમારા કરતાં આગળ છે. બાકીની કંપનીઓને તો અમે શીર્ષાસન કરાવી દીધું છે.”
લૉન્ચ કરી પ્રીમિયમ પ્રોડક્ટ્સ
પતંજલિએ હવે પ્રીમિયમ પ્રોડક્ટ્સ લૉન્ચ કર્યાં છે. આ પ્રોડક્ટ્સમાં વ્હે પ્રોટીન, મિલેટ્સ કુકીઝ, મોટા ધાન્યના બિસ્કિટ અને અન્ય ફૂડ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. પતંજલિ ફૂડ્સે અલગ-અલગ કેટેગરીમાં કુલ 14 નવી પ્રોડક્ટ્સ લૉન્ચ કરી છે. હરિદ્વાર સ્થિત પતંજલિ ગ્રૂપે રૂ.45,000 કરોડની આવકની સિદ્ધિ હાંસલ કરી લીધી છે અને કંપની અપમાર્કેટ કન્ઝ્યુમર્સને આકર્ષવા માટે પ્રીમિયમ FMCG પ્રોડક્ટ્સ લૉન્ચ કરી રહી છે.
રૂચિ સોયાથી થયો ફાયદો
પતંજલિ ગ્રૂપની આવક ઘણા સમય સુધી રૂ.10,000 કરોડની આસપાસ રહી હતી, પરંતુ 2019માં માંદી ખાદ્યતેલ કંપની રુચિ સોયાને ખરીદ્યા બાદ પતંજલિની આવકમાં અનેક ગણો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2022-23માં પતંજલિએ રૂ.45,000 કરોડની આવક કરી હતી, જેમાંથી લગભગ રૂ.31,500 કરોડ પતંજલિ ફૂડ્સની હતી જ્યારે બાકીની આવક રૂચિ સોયાના બિઝનેસની રહી હતી. રામદેવે જણાવ્યું છે કે, “આજથી દાયકા પહેલાં જ્યારે હું કહેતો હતો કે, અમે રૂ.10,000 કરોડની કંપની બનીશું ત્યારે લોકોને શંકા જતી હતી. પછી જ્યારે મેં કહ્યું કે અમે વર્ષે રૂ.20,000 કરોડનો બિઝનેસ કરીશું અને HUL જેવી કંપનીઓને હંફાવીશું ત્યારે લોકો હસતા હતા. હવે અમારી યોજના વધારે મોટી થઈ છે. અમે 70 કરોડથી પણ વધારે ભારતીય ગ્રાહકોને પ્રોડક્ટ્સ વેચીએ છીએ અને ટૂંક સમયમાં 100 કરોડ ગ્રાહકો સુધી પહોંચવા માંગીએ છીએ. હવે અમારું વિઝન ગ્રૂપની રેવન્યુ વધારીને આવતા પાંચ વર્ષમાં રૂ.1 લાખ કરોડ કરવાની છે, જેમાં પતંજલિ ફૂડ્સનો હિસ્સો લગભગ રૂ.50,000 કરોડ જેટલો હશે.”
શેરમાં તેજી
પતંજલિ ફૂડ્સનો શેર શુક્રવારે (16 જૂન-2023) 2.50 ટકાના વધારા સાથે રૂ.1,150ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. તેની માર્કેટ કેપ રૂ.41,593 કરોડ છે. અગાઉ તેની માર્કેટ કેપ રૂ.50,000 કરોડનો પાર થઈ ગઈ હતી. છેલ્લાં 1 મહિનામાં પતંજલિ ફૂડ્સનો શેર 21 ટકા વધ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો