સેન્સેક્સ 826 પોઈન્ટ્સ તૂટ્યો
દશેરાના આગલા દિવસે શેરબજારમાં મોટો કડાકો બોલાયો છે. 23 ઓક્ટોબરે સપ્તાહના પ્રથમ દિવસે જ સેન્સેક્સમાં 800 પોઈન્ટ્સનું ગાબડું પડ્યું છે. ફોરેન ઈન્વેસ્ટર્સ સતત વેચવાલી કરી રહ્યાં છે. FIIએ ઓગસ્ટમાં 20 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે જ્યારે સપ્ટેમ્બરમાં લગભગ 27 હજાર કરોડ રૂપિયા અને ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં 13 હજાર કરોડ રૂપિયાનો માલ વેચ્યો છે. અમેરિકન ડૉલર મજબૂત થઈ રહ્યો હોવાથી અને બોન્ડ યીલ્ડ વધવાથી ફોરેન ઈન્વેસ્ટર્સ ભારતમાંથી પૈસા પાછા ખેંચી રહ્યાં છે. ઈઝરાયેલ-હમાસ વિવાદને પગલે, બજારોમાં અનિશ્ચિતતાનો માહોલ ઊભો થયો છે અને તેની અસર ભારતીય શેરબજાર પર પડી છે.
સોનાનો ભાવ ક્યાં પહોંચશે?
ઈઝરાયેલ-હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી વિવાદ શરૂ થયો ત્યારથી ગોલ્ડના ભાવ સતત વધી રહ્યાં છે. ગોલ્ડ પ્રોડક્શનમાં ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે છે અને ત્યાં ગોલ્ડનો ભાવ 3,159 ડૉલરની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. જાપાન, ચીન અને તાઈવાનમાં ગોલ્ડનો ભાવ ઓલ-ટાઈમ હાઈ લેવલે પહોંચ્યો છે. અમેરિકામાં પ્રતિ ઔંશ ભાવ 2,000 ડૉલરને પાર થઈ ગયો છે અને ટૂંક સમયમાં 2,072 ડૉલરની ઓલ-ટાઈમ હાઈ સપાટીને પણ ક્રોસ થઈ જવાની ધારણા છે. વિશ્વભરનાં એનાલિસ્ટ્સ ગોલ્ડ માટે બાવીસ્સોથી પચ્ચીસો ડૉલરની રેન્જનો અંદાજ આપી રહ્યાં છે. ભારતની વાત કરીએ તો, 10 ગ્રામ સોનાનો ભાવ 61,500 રૂપિયાની આસપાસ છે, જે ઓક્ટોબરના પ્રારંભે 57,000ની નીચે ચાલતો હતો. જો ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અન્ય દેશોમાં પણ ફેલાશે તો સોનું વધુ મોંઘું થશે અને 65 હજાર રૂપિયાને પણ વટાવી દેશે.
શોપિંગ બાદ કેરી બેગના પૈસા અપાય…?
મોલમાં કે કોઈ સ્ટોરમાં કેરી બેગ લેવી પડે અને તેના પર કંપનીનું બ્રાન્ડિંગ હોય તો બેગના પૈસા આપવાની ના પાડી દેજો. નિયમ પ્રમાણે, કેરી બેગ પર કંપનીનું બ્રાન્ડિંગ હોય તો કંપની બેગ માટે પૈસા ના માંગી શકે. તાજેતરમાં બેંગાલુરુમાં એક ઘટના બની છે. બેંગાલુરુમાં ફર્નિચર કંપની આઈકિયાનો સ્ટોર છે. ત્યાંથી સંગીતા બોહરા નામની મહિલાએ 2,850 રૂપિયાની શોપિંગ કરી હતી અને તેની પાસે કેરી બેગનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ કેરી બેગ પર કંપનીનું બ્રાન્ડિંગ હતું. આથી સંગીતાએ કેસ કર્યો અને તે કેસ જીતી ગઈ. આઈકિયાને કેરી બેગના પૈસા પરત કરવાનો અને 3 હજાર રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. અગાઉ પણ બિગ બાઝાર સામે અને ડોમિનોસ સામે કેરી બેગના પૈસા વસૂલવા બદલ કાર્યવાહી થઈ હતી.
રવિ વાવેતર માટે જીરું, વરિયાળી ફેવરિટ
રવિ પાકનું વાવેતર ધીમી ગતિએ શરૂ થઈ ગયું છે. આ વખતે વરિયાળી અને જીરુંનું વાવેતર જોરમાં રહેવાની ધારણા છે જ્યારે ઘઉં, ચણા, ધાણા અને લસણનું વાવેતર પ્રમાણમાં ઓછું થવાની શક્યતા છે. ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને ઘણા જિલ્લામાં સારો વરસાદ થયો છે. ગુજરાતના ખેડૂતો પાણીના સ્રોતને ધ્યાનમાં રાખીને શિયાળુ સીઝનમાં ઘઉં, લસણ, ડુંગળી, ધાણા, જીરૂ, ચણા, વરિયાળી, અજમો, રાયડો, બટાટા અને તમાકુ જેવા પાક પસંદ કરે છે. ખેડૂતો વાવેતર માટે પાકની પસંદગી કરવા માટે બજાર-કિંમતને પણ ધ્યાનમાં રાખે છે. છેલ્લાં એક વર્ષમાં વરિયાળી અને જીરુની બજારોમાં ઐતિહાસિક તેજી જોવા મળી હોવાથી ખેડૂતોમાં આ બંને પાકનું આકર્ષણ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો