અમદાવાદઃ
તમે પ્રેમના નશા વિશે કે પછી દારૂ, તમાકુ અને ચરસ-ગાંજાના નશા વિષે તો સાંભળ્યું હશે, પણ શેરબજારના નશા વિષે કદાચ નહીં સાંભળ્યું હોય. એક ભાઈને શેરબજારનો નશો એવો ચઢ્યો કે તેણે રૂ.30 લાખ રૂપિયા ગુમાવ્યા. હવે આ વ્યક્તિની શેરબજારની આદત છોડાવવા માટે પરિવારના સભ્યોએ તેની સારવાર શરૂ કરાવી છે.
જિંદગીભરની બચત હોમાઈ ગઈઃ
આ રસપ્રદ કિસ્સો છે બેંગાલુરુ શહેરનો. 39 વર્ષના એક ભાઈને શેરબજારનો નશો એટલી હદ સુધી ચઢ્યો કે, તેમણે 30 લાખ રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો. આ ભાઈએ પત્નીની બચત, ઘરેણાં વેચીને અને માથે દેવું કરીને શેરબજારમાં પૈસા નાખ્યા. છતાં પણ શેરબજારનું વળગણ ના છૂટ્યું એટલે, આખરે પરિવારના સભ્યોએ તેને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયસન્સ (NIMHANS)માં દાખલ કરી દીધો છે.
શેરબજારમાં રૂ. 30 લાખથી વધુની ખોટ ગઈ અને તેના પરિવારના સભ્યો દ્વારા ઉપચાર મેળવવા માટે સમજાવ્યા પછી આ વ્યક્તિએ સર્વિસ ફોર હેલ્થી યુઝ ઓફ ટેક્નોલોજી (SHUT) ક્લિનિકના પ્રોફેશનલ્સનો સંપર્ક કર્યો હતો.
મનોવૈજ્ઞાનિકો પણ ગોથે ચઢ્યાઃ
SHUT ક્લિનિકના કો-ઓર્ડિનેટર ડૉ. મનોજ કુમાર શર્માએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, જુગાર અથવા ગેમિંગની લત જેવા અન્ય કિસ્સાઓથી વિપરીત, આ કિસ્સામાં દર્દીની સમસ્યાને વિગતવાર સમજીવી જરૂરી હતી અને તેનો ઈલાજ કરવા માટે નવો અભિગમ અપનાવવો પડ્યો છે, કારણ કે, મનોવૈજ્ઞાનિકોની સામે પણ આવો કેસ પહેલીવાર આવ્યો છે.
આ વ્યક્તિએ અગાઉ નોંધપાત્ર નુકસાન સહન કર્યું હતું, પરંતુ શેરબજારમાં ટ્રેડિંગમાં તેના અતિરેકને કારણે તેને તેની આખી જીંદગીની બચત ખર્ચાઈ ગઈ અને માથે દેવું પણ કરવાની ફરજ પડી. આના કારણે તેના પારિવારિક જીવન પર અસર પડી અને તેને સારવાર લેવી પડી. SHUTના પ્રોફેશનલ્સ કહે છે કે, આવી સારવારનો કેસ પહેલીવાર સામે આવ્યો છે. સ્ટૉક ટ્રેડિંગના વળગાડની સારવાર પડકારરૂપ છે કારણ કે તેને અત્યંત સાવચેતીભર્યા અભિગમની જરૂર છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો