Money9 Gujarati:
શેરબજારની સાથે સાથે અમદાવાદના પ્રોપર્ટી માર્કેટમાં પણ તેજી છે. શેરબજારમાં રોકાણકારો વધતા જાય છે તેની સાથે અમદાવાદમાં નવી-નવી કંપનીઓ ઓફિસો ખોલી રહી છે. ફાયનાન્સ અને શેરબજાર સાથે સંકળાયેલી કેટલીક કંપનીઓએ તાજેતરમાં અમદાવાદના પ્રોપર્ટી માર્કેટમાં પ્રવેશ કર્યો છે. અત્યાર સુધી મુંબઈ, દિલ્હી, બેંગાલુરુ અને નોઈડા જેવા મેટ્રોમાં કામ કરતી કંપનીઓ હવે અમદાવાદમાં ઓફિસો ખોલવા લાગી છે.
મોતીલાલ ઓસવાલે ખરીદ્યું 12 માળનું ટાવર
ફાયનાન્સિયલ સર્વિસિસ આપતી અગ્રણી કંપની મોતીલાલ ઓસવાલ ફાયનાન્સિયલ સર્વિસિસ (MOFSL)એ અમદાવાદમાં 12 માળનું આખું બિલ્ડિંગ ખરીદી લીધું છે. કંપની તેના બિઝનેસનું વિસ્તરણ કરવા માંગે છે અને તેના માટે અમદાવાદમાં પ્રોપર્ટી પસંદ કરવામાં આવી છે. અમદાવાદની ક્લેરિસ લાઈફસાયસન્સિસ પાસેથી આ પ્રોપર્ટી ખરીદવામાં આવી હોવાનું જાણવા મળે છે. 1,10,000 ચોરસ ફૂટ જગ્યા ધરાવતી આ પ્રોપર્ટી અમદાવાદના અતિ-પોશ ગણાતા સિંધુ ભવન રોડ પર આવેલી છે. આ પ્રોપર્ટી નોન-ફર્નિશ્ડ સ્થિતિમાં ખરીદવામાં આવી છે. મોતીલાલ ઓસવાલ અત્યારે મુંબઈ અને બેંગાલુરુમાં સ્વતંત્ર કોમર્શિયલ ટાવર ધરાવે છે અને અમદાવાદમાં આ ત્રીજી પ્રોપર્ટી કરી છે. કંપની હવે અમદાવાદની પ્રોપર્ટીને પોતાની જરૂરિયાત પ્રમાણે ડેવલપ કરશે અને સપ્ટેમ્બર 2024 સુધીમાં સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થઈ જવાની ધારણા છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલમાં MOFSLના ગ્રૂપ MD & CEO મોતીલાલ ઓસવાલને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, “ગુજરાતમાં વિવિધ સ્થળોએ અમારી ઓફિસો આવેલી છે. આ અમારો ત્રીજો સ્વતંત્ર કોમર્શિયલ ટાવર હશે. અમદાવાદ એક વિકસિત ફાયનાન્સિયલ હબ છે અને આથી અમે અહીં ઓફિસ શરૂ કરીશું. આ જગ્યા ખરીદવાથી અમને એક છત હેઠળ તમામ બિઝનેસને ભેગા કરવામાં મદદ મળશે અને બિઝનેસ સિનર્જી વધારવામાં મદદ મળશે.” કંપની ગુજરાતના વિવિધ શહેરોમાં ઓફિસો ધરાવે છે અને હવે આ તમામ ઓફિસોનું કામકાજ અમદાવાદની પ્રોપર્ટીમાં સમાવી લેવાની યોજના છે. મુંબઈના ટાવરમાં 2,300 કર્મચારી બેસે છે જ્યારે બેંગાલુરુની ઓફિસમાં 400 કર્મચારી બેસે છે. અમદાવાદની પ્રોપર્ટી તૈયાર થઈ ગયા બાદમાં તેમાં 650 કર્મચારી બેસી શકે તેવી વ્યવસ્થા હશે.
Beeline Capital પણ અમદાવાદમાં
અગ્રણી બૂક રનિંગ લીડ મેનેજર કંપની બિલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રા. લિ.એ અમદાવાદમાં ઑફિસ ખોલી છે. એસ.જી. હાઈવે પર રાજપથ ક્લબની પાછળ આવેલા શિલ્પ કોર્પોરેટ પાર્કમાં 10,000 ચોરસ ફૂટ વિસ્તારમાં આ ઓફિસ ખોલવામાં આવી છે.
શા માટે વધ્યું અમદાવાદનું આકર્ષણ?
અમદાવાદનું ઓફિસ માર્કેટ 2022માં 88 ટકાના દરે વધ્યું હતું, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધારે વૃદ્ધિદર દર્શાવે છે. અન્ય મેટ્રોની તુલનાએ અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ પ્રમાણમાં વાજબી કિંમત ધરાવે છે. લોકલ ઈકોનોમિક માહોલ સુધરી રહ્યો છે, જેના કારણે કંપનીઓ અમદાવાદમાં ઓફિસો ખોલી રહી છે. 2023માં ભારતમાં જેટલી રિટેલ જગ્યાનો ઉમેરો થયો તેમાં સૌથી વધુ ઉમેરો અમદાવાદમાં થયો છે. અમદાવાદમાં એસજી હાઈવેને અડીને નવા બિઝનેસ હબ તૈયાર થઈ રહ્યાં છે. વૈષ્ણોવદેવી સર્કલથી સરખેજ સર્કલની વચ્ચેના પટ્ટામાં અનેક કોર્પોરેટ હાઉસ તૈયાર થઈ રહ્યાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો