Money9 Gujarati:
હોમ લોન, ઓટો લોન કે અન્ય પ્રકારની લોન લેનારા લોકો માટે રાહતના સમાચાર છે. લોનધારકો હવે પોતાની લોનને ગમે ત્યારે ફ્લૉટિંગ રેટમાંથી ફિક્સ્ડ રેટમાં બદલાવી શકશે. બેન્કોએ ગ્રાહકોને આ વિકલ્પ આપવો પડશે. ફ્લૉટિંગ રેટ પર લોન લીધી હોય તો, MCLRમાં થતા ફેરફારની સાથે સાથે લોનના વ્યાજ દર પણ બદલાઈ જાય છે, પરંતુ જો ફિક્સ્ડ રેટ પર લોન લીધી હોય તો મુદત સુધી હપ્તો યથાવત્ રહે છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ MPCની ત્રિદિવસીય બેઠક બાદ બેન્કોને વ્યાજ દર અને EMI (માસિક હપ્તા)માં સ્વિચ કરવા માટે પારદર્શક માળખું બનાવવાની સૂચના આપી છે.
RBIએ બેન્કોને એમ પણ જણાવ્યું છે કે, EBLR (External Benchmark Lending Rate)ના આધારે લોનધારક જ્યારે પણ ઈચ્છે ત્યારે તેને ફિક્સ્ડ રેટ હોમ લોનમાં સ્વિચ કરવાનો વિકલ્પ આપવો જોઈએ. મોનેટરી પૉલિસી કમિટી (MPC)ની નીતિ સમીક્ષા બેઠક બાદ જાહેર થયેલા અમુક નિર્ણયોમાં ગ્રાહકોના હિતના રક્ષણ માટે ઋણના માસિક હપ્તા (EMI)ના વ્યાજ દર નક્કી કરવામાં વધુ પારદર્શકતા લાવવાની પણ સૂચના આપવામાં આવી છે.
RBIએ EMI આધારિત પરિવર્તનશીલ (ફ્લૉટિંગ) વ્યાજ દર નક્કી કરવા માટે એક પારદર્શક માળખુ તૈયાર કરવાની દરખાસ્ત કરી છે. આ દરખાસ્તમાં જણાવ્યા પ્રમાણે, બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ ઋણધારકોને ઋણનો હપ્તો ફરીથી નક્કી કરવા અંગે માહિતી આપવાની રહેશે. એટલું જ નહીં, ફ્લૉટિંગ રેટમાંથી ફિક્સ્ડ રેટમાં જવાનો વિકલ્પ આપવો પડશે અથવા મુદત પહેલાં લોનની ચૂકવણી કરવાનો પણ વિકલ્પ આપવાનો રહેશે. બેન્કોએ આ વિકલ્પ પસંદ કરવા માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે કે નહીં તેની પણ સ્પષ્ટ માહિતી આપવી પડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો