MONEY9: હાથરસના નીરજ સિંહ પુત્ર રોહિતને એન્જિનિયરિંગ કરાવવા માટે દિવસ-રાત એક કરી રહ્યાં છે. કોઇપણ રીતે પુત્ર 12માં ધોરણમાં તો આવી ગયો પરંતુ બીટેકના અભ્યાસ માટે પૈસા ક્યાંથી આવશે, આ ચિંતા તેમને દિવસ-રાત સતાવી રહી છે. નીરજ જ નહીં, દરેક માતા-પિતા પોતાના બાળકને સારુ શિક્ષણ અપાવવા માટે પોતાની બચત ખર્ચી નાંખે છે. પરંતુ ઉચ્ચ શિક્ષણનો ખર્ચ સતત મોંઘો થઇ રહ્યો છે. પેરન્ટ્સની બચત પણ ઓછી પડે છે. જો તમારુ બાળક ભણવામાં હોશિંયાર છે તો અભ્યાસ માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી. એજ્યુકેશન લોન લઇને બાળકોના સપનાને સાકાર કરી શકાય છે.
જો તમારુ બાળક કોલેજમાં અભ્યાસ માટે જવાનું છે અને તેના માટે એજ્યુકેશન લોનની જરૂર છે તો કેટલીક જરૂરી વાતોને સમજી લો. આ લોન કેવી રીતે મળશે, લોન માટે શું યોગ્યતા હોવી જોઇએ, સસ્તી ઓફર કેવી રીતે શોધવી, આ અંગે સારી રીતે તપાસ કરી લેવી જોઇએ.
આંકડા પર નજર કરીએ તો દેશના એજ્યુકેશન લોન માર્કેટમાં જાહેર ક્ષેત્રની બેંકો એટલે કે પીએસબી જ મોટા ખેલાડીઓ છે. આરબીઆઇના માર્ચ 2022ના આંકડા અનુસાર દેશની કોમર્શિયલ બેંકો તરફથી આપવામાં આવેલી એજ્યુકેશન લોનમાં પીએસબીની 91 ટકા હિસ્સેદારી છે.
જે રીતે પર્સનલ અને હોમ લોનના વ્યાજ દરો નક્કી કરવામાં સિબિલ સ્કોર ઘણો મહત્વનો હોય છે તે જ રીતે એજ્યુકેશન લોનમાં વિદ્યાર્થી કેટલો તેજસ્વી છે, જે સંસ્થામાં પ્રવેશ લઇ રહ્યો છે, તેનું રેકિંગ કેવું છે. તેના આધારે વ્યાજ દર નક્કી થાય છે. પ્રવેશ પરીક્ષામાં ટોપ રેકિંગ ધરાવતા વિદ્યાર્થીઓને બેંક સસ્તી અને સરળ શરતોએ લોન આપે છે. એન્જિનિયરિંગ, મેડિકલ, એમબીએ અને લૉની ટોચની સંસ્થાઓમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે બેંક કોઇપણ પ્રોપર્ટી ગીરવે રાખ્યા વગર લોન આપવા માટે તૈયાર રહે છે.
ઉદાહરણ તરીકે એસબીઆઇ 40 લાખ રૂપિયા સુધીની લોન 7.5 ટકાના ફલોટિંગ દરે કોઇપણ જાતના કોલેટરલ વગર આપી રહી છે. પરંતુ સ્કોલર લોનની સુવિધા ફક્ત એવા વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે જે AAની યાદીમાં છે. આ સંસ્થાઓમાં આઇઆઇટી, આઇઆઇએમ અને બિટ્સ પિલાની જેવી ટોપ રેન્કિંગ સંસ્થાઓ સામેલ છે.
પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ રાહુલ શર્મા કહે છે કે જે વિદ્યાર્થી ટોચની સંસ્થાઓની યાદીમાં સ્થાન નથી મેળવી શક્યા તે એસબીઆઇની સ્ટુડન્ટ લોન સ્કીમમાં અરજી કરી શકે છે. જો કે આ લોન માટે બેંકનો ફ્લોટિંગ વ્યાજ દર 10.05 ટકા છે. આ કેટેગરીમાં 7.5 લાખ રૂપિયાથી ઉપરની લોન માટે કોઇ સંપત્તિ કે દસ્તાવેજ ગીરવે મૂકવા પડશે. ડો.શર્મા કહે છે કે સરકારી બેંકોની તુલનામાં ખાનગી બેંકોના વ્યાજ દર વધારે હોય છે. ખાનગી બેંક કોઇપણ વસ્તુ ગીરવે રાખ્યા વગર એજ્યુકેશન લોન આપી શકે છે. પરંતુ તેના બદલે તે વ્યાજ વસૂલે છે. હાલ બેંકોની એજ્યુકેશન લોનનો વાર્ષિક વ્યાજ દર 7.50 થી 15 ટકાની વચ્ચે છે.
એજ્યુકેશન લોનની રકમ બેંકો અભ્યાસના કોર્સ, સંસ્થા અને અરજદારની યોગ્યતાના આધારે નક્કી કરે છે. દેશમાં અભ્યાસ માટે 50 લાખ રૂપિયા સુધી અને વિદેશમાં અભ્યાસ માટે એક કરોડ રૂપિયા સુધીની લોન મળે છે. દેશમાં અભ્યાસ માટે ચાર લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન પર કોઇપણ પ્રકારની સિક્યોરિટી જમા કરાવવાની જરૂર નથી પડતી. એટલે કે ગેરંટી વગર ચાર લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન મળી જાય છે. જો તમે ચારથી 6.5 લાખ રૂપિયાની વચ્ચેની એજ્યુકેશન લોન લઇ રહ્યા છો તો કોઇ ત્રીજી વ્યક્તિને ગેરંટર બનાવવી પડશે. પરંતુ જો 6.5 લાખ રૂપિયાથી વધુની લોન લઇ રહ્યા છો તો તમારે કોઇ પ્રોપર્ટી ગીરવે રાખવી પડી શકે છે.
સામાન્ય રીતે એજ્યુકેશન લોનની ચુકવણી અભ્યાસ પૂરો થાય તેના એક વર્ષ બાદ અને ડિગ્રી મળ્યાના છ મહિના બાદ શરૂ થાય છે. જે સમાન માસિક હપ્તા એટલે કે EMI દ્વારા કરવામાં આવે છે. ઘણી બેંક નોકરી મળ્યાના છ મહિના બાદ લોનની વસૂલાત શરૂ કરે છે. કેટલીક બેંક પેરન્ટ્સને લોન લીધા પછી તરત EMIની ચુકવણી કરવાનો પણ વિકલ્પ આપે છે. આ લોન માટે મોટાભાગની સંસ્થા સાત વર્ષ સુધીનો સમય આપે છે. એજ્યુકેશન લોનના પ્રીપેમેન્ટ પર બેંક કોઇપણ પ્રકારનો ચાર્જ નથી વસૂલતી. કોઇપણ વ્યક્તિ પોતાની કમાણીથી EMI કરતાં વધારે કે પૂરી રકમની એકસાથે ચુકવણી કરી શકે છે. જો તમે કોઇ અન્ય બેંકમાં લોન ટ્રાન્સફર કરાવો છો તો પ્રીપેમેન્ટ ચાર્જ આપવો પડી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો