Money9 Gujarati:
લોન લઈને ઘર ખરીદવા માંગતા લોકોને ટૂંક સમયમાં ખુશખબર મળી શકે છે. બેન્કો હોમ લોનની રકમમાં સ્ટેમ્પ ડ્યૂટી અને દસ્તાવેજનો ખર્ચ સમાવી લેવા અંગે વિચારણા કરી રહી છે. બેન્કોએ આ અંગે દરખાસ્ત પણ રજૂ કરી છે અને જો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી મંજૂરી મળશે તો ગ્રાહકોને ઘર ખરીદવા માટે વધારે ફાયનાન્સ મળી શકશે. અત્યારે તમે હોમ લોન લો તો તેમાં સ્ટેમ્પ ડ્યૂટી અને દસ્તાવેજનો ખર્ચ સામેલ કરવામાં આવતો નથી. વર્તમાન નિયમ હેઠળ, ધારો કે 50 લાખની કિંમતનું ઘર ખરીદો તો બેન્ક આ કિંમતના મહત્તમ 90 ટકા અને લઘુત્તમ 75 ટકા સુધીની લોન આપશે, બાકીના 10 ટકાથી 25 ટકા રકમની વ્યવસ્થા તમારે જાતે કરવાની રહે છે.
હોમ લોનમાં આ ખર્ચા સામેલ થશે તો ગ્રાહકને વધારે હોમ લોન મળી શકશે. પરંતુ આ વધારાની હોમ લોન પર વ્યાજ પણ ભરવું પડશે, આથી બને ત્યાં સુધી હોમ લોનની રકમ ઓછી રાખીને અન્ય પૈસા પોતાની મેળે કાઢવા જોઈએ. જો તમારી પાસે પૈસાની સગવડ હોય તો લોન ઓછી રાખવી જોઈએ, જેથી ભવિષ્યમાં ઓછું વ્યાજ ભરવું પડે.
હોમ લોનમાં કેટલો ફાયદો થઈ શકે?
જો RBI તરફથી આ દરખાસ્તને મંજૂરી મળે તો ઘર ખરીદનારને કેટલો ફાયદો થશે તે સમજીએ. ધારો કે, કોઈ પ્રોપર્ટીની કિંમત સ્ટેમ્પ ડ્યૂટી અને દસ્તાવેજના ખર્ચા સાથે 1 કરોડ રૂપિયા છે. તેમાં સ્ટેમ્પ ડ્યૂટી અને દસ્તાવેજનો ખર્ચ 20 લાખ રૂપિયા છે. આથી, બેન્ક તમને લોન આપતી વખતે માત્ર 80 લાખની પ્રોપર્ટીની કિંમતને આધાર બનાવે છે. અત્યારે RBIએ નક્કી કરેલા નિયમ હેઠળ લોન-ટુ-વેલ્યુ (LTV) રેશિયો પ્રમાણે ઘર ખરીદવા માટે 60 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે, પરંતુ RBIની મંજૂરી મળશે તો 75 લાખની લોન મળી શકશે. LTV રેશિયો એટલે બેન્ક તરફથી સંપત્તિ ખરીદનારને ઋણ પેટે આપવામાં આવતી પ્રોપર્ટીની કિંમતની ટકાવારી. હોમ લોનના નિયમ હેઠળ LTV રેશિયો પ્રોપર્ટીની વેલ્યુના 75 ટકાથી 90 ટકા રાખવામાં આવ્યો છે. જો હોમ લોનની રકમ 75 લાખ રૂપિયાથી વધારે હોય તો નિયમ પ્રમાણે, LTV રેશિયો 75 ટકાથી વધવો ના જોઈએ. જો 30 લાખ રૂપિયાથી ઓછી હોમ લોન લેવાની હોય તો બેન્ક 90 ટકા સુધી લોન આપી શકે છે. જો 30 લાખથી 75 લાખ સુધીની લોન હોય તો બેન્કને 80 ટકા સુધીની હોમ લોન આપવાની છૂટ છે. RBI હોમ લોનમાં સ્ટેમ્પ ડ્યૂટી અને દસ્તાવેજના ખર્ચને સામેલ કરવાની મંજૂરી આપે તો આ કેસમાં ઘર ખરીદનારને 60 લાખ રૂપિયાની જગ્યાએ 75 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે.
બેન્કોની રજૂઆત
ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલમાં એક વરિષ્ઠ બેન્ક અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, હાઉસિંગ લોન જોખમી પ્રોડક્ટ નથી કારણ કે તે સંપત્તિ ગીરવે મૂકીને લેવામાં આવે છે. આથી, બેન્કો હોમ લોનમાં અન્ય ખર્ચા પણ સામેલ કરશે તો જોખમ નહીં વધે. અપેક્ષા છે કે, RBI આ દરખાસ્તને મંજૂરી આપશે અને તેનાથી લોકોને હોમ લોન પેટે વધારે રકમ મળશે. અંતિમ નિર્ણય RBIએ લેવાનો છે. સ્ટેમ્પ ડ્યૂટી અને અન્ય વહીવટી ખર્ચા પ્રોજેક્ટ કૉસ્ટના 10 ટકાથી વધારે ન હોવા જોઈએ તેવી મર્યાદા સાથે RBI મંજૂરી આપી શકે છે.
RBIએ અગાઉ ના પાડી હતી
RBIએ લગભગ એક દાયકા અગાઉ બેન્કોને મકાનની કુલ વેલ્યુમાં સ્ટેમ્પ ડ્યૂટી અને દસ્તાવેજના ખર્ચને સામેલ નહીં કરવાની સૂચના આપી હતી. લોન-ટુ-વેલ્યુના નિયમની અસરકારકતા જળવાઈ રહે તે હેતુસર રિઝર્વ બેન્કે આ સૂચના આપી હતી. RBIના ફેબ્રુઆરી 2012ના સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું હતું કે, આવા ચાર્જ સામેલ કરવાથી મકાનની વસૂલાત-યોગ્ય કિંમત (realisable value) વધી જશે પરંતુ સ્ટેમ્પ ડ્યૂટી અને દસ્તાવેજ તેમજ અન્ય ડોક્યુમેન્ટ્સના ચાર્જની વસૂલી થઈ શકતી નથી અને પરિણામે, નિર્ધારિત માર્જિન ઘટી જશે. RBIએ નાની લોન લેનારા લોકોને પ્રોત્સાહન આપીને એફોર્ડેબલ હાઉસિંગને વેગ આપવાના ઈરાદા સાથે 2015માં 10 લાખ રૂપિયા સુધીની હોમ લોન માટે સ્ટેમ્પ ડ્યૂટી અને દસ્તાવેજ ખર્ચને સામેલ કરવાની છૂટ આપી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો