Money9 Gujarati:
વીમો ફરી મોંઘો થવાનો છે. વીમાધારકોએ હવે વધારે પ્રીમિયમ ચૂકવવા માટે તૈયાર રહેવું પડે તેવી શક્યતા છે કારણ કે, ટર્મ ઈન્સ્યૉરન્સનું પ્રીમિયમ આ વર્ષે ફરી વધી શકે છે. અમુક વીમા કંપનીઓએ પ્રીમિયમના દર વધારવાની વિચારણા હાથ ધરી હોવાનું જાણવા મળે છે. જોકે, આ વખતે વીમા કંપનીઓ ગયા વર્ષ જેટલો ભાવવધારો નહીં કરે. આ વર્ષે પ્રીમિયમના દરમાં 5 ટકાથી 8 ટકા જેટલો વધારો થવાની શક્યતા છે.
વીમા કંપનીઓનો ખર્ચ વધ્યો
મીડિયામાં વહેતા થયેલા ન્યુઝ રિપોર્ટ્સ અનુસાર, કોવિડ-19 મહામારી બાદ સતત બે વર્ષ સુધી વીમા ક્લેમમાં વધારો થયો છે. વીમા કંપનીઓ છેલ્લાં 2 વર્ષથી અનેક વીમા ક્લેમ પાસ કરી રહી છે અને તેમનો ખર્ચ વધી ગયો છે, એટલે કંપનીઓએ ચાલુ વર્ષે પ્રીમિયમના દર વધારવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે. જો વીમા કંપનીઓ પ્રીમિયમના દર વધારશે તો વીમાધારકોએ તેમની પૉલિસી રિન્યુ કરાવવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે અને નવા ગ્રાહકે પણ મોંઘા ભાવે વીમો ખરીદવો પડશે. કોરોના બાદ વીમા કંપનીઓને મળતાં ડેથ ક્લેમમાં અનેક ગણો વધારો થયો હતો, પરંતુ હવે કોરોનાને કારણે ડેથ થવાના ક્લેમ મળવાનું બંધ થઈ ગયું છે. ભારતની સૌથી મોટી વીમા કંપની LICને મળતાં ડેથ ક્લેમમાં ચાલુ વર્ષે એક તૃતિયાંશથી પણ વધારે ઘટાડો નોંધાયો છે. કોરોના આવ્યો તેની પહેલાં કંપનીઓને મળતાં ડેથ ક્લેમની સંખ્યા સ્થિર રહેતી હતી.
પ્રીમિયમ વધવાનું કારણ
વીમા ઉદ્યોગના અંદાજ પ્રમાણે, કોરોના મહામારીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા, એટલે ડેથ ક્લેમની સંખ્યા વધી જવાથી રિઈન્સ્યૉરન્સ (Reinsurance) કંપનીઓએ પ્રીમિયમના દર વધારી દીધા હતા, પરિણામે છેલ્લાં બેથી અઢી વર્ષમાં ટર્મ ઈન્સ્યૉરન્સના પ્રીમિયમાં લગભગ 45 ટકા વધારો થયો છે. સામાન્ય લોકો જેવી રીતે વીમા કંપની પાસેથી કવર મેળવે છે, તેવી જ રીતે વીમા કંપનીઓ આ રિઈન્સ્યૉરન્સ કંપનીઓ પાસેથી વીમો લઈને કવર મેળવે છે. લોકો વીમા કંપનીને પ્રીમિયમ ચૂકવે છે અને વીમા કંપનીઓ આ રિઈન્સ્યૉરન્સ કંપનીઓને પ્રીમિયમ ચૂકવે છે. રિઈન્સ્યૉરન્સ કંપનીઓએ પ્રીમિયમના દર વધાર્યાં હોવાથી વીમા કંપનીઓ પણ આ ભાવવધારો ગ્રાહકો પર નાખી રહી છે. વીમા કંપનીઓનું કહેવું છે કે, અન્ય દેશોની તુલનાએ ભારતમાં ટર્મ ઈન્સ્યૉરન્સનું પ્રીમિયમ ઘણું ઓછું છે.
ટર્મ ઈન્સ્યૉરન્સ એટલે શું?
ટર્મ ઈન્સ્યૉરન્સ એક પ્રકારની જીવન વીમા પૉલિસી છે. આ વીમો ઉતરાવનાર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ત્યારે તેના નોમિનીને વીમાની રકમ ચૂકવવામાં આવે છે. આ જીવન વીમો પ્યોર ઈન્સ્યૉરન્સ છે અને તેમાં અન્ય પૉલિસીની જેમ કોઈ પણ પ્રકારનું ગેરન્ટીડ વળતર સામેલ હોતું નથી. આ કારણસર, ટર્મ ઈન્સ્યૉરન્સનું પ્રીમિયમ ઓછું હોય છે અને તમે ઓછા પ્રીમિયમે વધારે કવર મેળવી શકો છો. વીમા માર્કેટના એક્સપર્ટ જણાવે છે કે, પરિવારની કમાઉ વ્યક્તિ પાસે પૂરતી માત્રાનો ટર્મ વીમો હોવો જ જોઈએ, જેથી તેના મૃત્યુ બાદ પરિવારની આર્થિક જરૂરિયાતો સરળતાથી પૂરી થઈ શકે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો