દેશની વિવિધ બેન્કોએ ડિસેમ્બર 2023માં તેમના માર્જિનલ કોસ્ટ-આધારિત લેન્ડિંગ રેટ (MCLR) અને રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)માં ફેરફાર કર્યો છે. આ ફેરફારને કારણે હોમ લોન સહિતની લોનના EMIમાં ફેરફાર થશે. SBIએ બેઝ રેટમાં કર્યો 0.15 ટકાનો વધારો કર્યો છે, એટલે તેની હોમ લોન, પર્સનલ લોન, ઓટો લોનના EMI વધી જશે. SBIએ બેઝ રેટ 10.10 ટકાથી વધારીને 10.25 ટકા કર્યા છે, નવા રેટ 15 ડિસેમ્બરથી લાગુ થઈ ગયા છે. હવે SBIના માર્જિનલ કૉસ્ટ આધારિત લેન્ડિંગ રેટ 8 ટકાથી 8.85 ટકાની રેન્જમાં છે. તાજેતરમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, IDBI બેંક, ICICI બેન્ક, બંધન બેન્ક, કેનેરા બેન્ક, PNB, બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ બરોડાએ પણ લોનના વ્યાજ દરમાં ફેરફાર કર્યા હતા.
સરકારે સસ્તા ભાવે મગની દાળનું વેચાણ શરૂ કર્યું છે. ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીમાં રાહત આપવા માટે અગાઉ ઘઉંનો લોટ, ચણા અને ડુંગળીનું સસ્તા ભાવે વેચાણ કર્યું હતું. હવે મગ વેચશે. 15 રૂપિયા ડિસ્કાઉન્ટમાં મગ વેચવામાં આવશે. અત્યારે 1 કિલો મગની દાળની સરેરાશ છૂટક કિંમત 120 રૂપિયા છે અને સરકાર 107 રૂપિયામાં મગની દાળ વેચશે. મગની દાળ નાફેડના વેચાણ કેન્દ્રો પરથી મળશે અને થોડાક દિવસોમાં અન્ય સરકારી એજન્સીઓના વેચાણ કેન્દ્રો તેમજ મોબાઈલ વેન દ્વારા વેચાણ વેચવામાં આવશે. અન્ય સરકારી એજન્સીઓને પણ સામેલ કરીને વેચાણ કરવામાં આવશે.
ભારતમાંથી થતી માલસામાનની નિકાસ 2.83 ટકા ઘટી છે. તેની સામે આયાતમાં 4.35 ટકાનો ઘટાડો થયો છે. નવેમ્બર 2023માં આપણે 33.9 અબજ ડૉલરનો માલસામાન બહાર મોકલ્યો હતો, જેની સામે આયાત કરેલા માલસામાનનું મૂલ્ય 54.48 અબજ ડૉલર રહ્યું હતું. નિકાસ કરતાં આયાતનું પલડું ભારે રહેવાથી ભારતની વેપાર ખાધ 20.58 અબજ ડૉલર થઈ છે. વેપાર ખાધ ઓક્ટોબર મહિનાની 31.5 અબજ ડૉલરની ઓલ-ટાઈમ હાઈ કરતાં ઓછી છે. દુનિયાભરનાં દેશો ઊંચા વ્યાજ દર અને મોંઘવારી સહિતના પડકારોનો સામનો કરી રહ્યાં હોવાથી માલસામાનની માંગ ઘટી છે, જેની અસર આયાત-નિકાસના આ તાજા આંકડામાં જોઈ શકાય છે. આયાત ઘટવાથી ભારતે ડૉલરમાં કરવો પડતો ખર્ચ ઘટશે
સરકાર અને વીમા ઉદ્યોગના આટલા પ્રયાસ છતાં માત્ર 5 ટકા વસતિ પાસે વીમાનું કવચ છે. નેશનલ ઈન્સ્યૉરન્સ એકેડમીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દેશની 73 ટકા વસતિ પાસે આરોગ્ય વીમો પણ નથી. લગભગ પોણા ભાગની વસતિ પેન્શન અને એન્યુટી કવરેજથી વંચિત … માત્ર 24 ટકા લોકો એમ્પલોયી રિટાયરમેન્ટ સ્કીમમાં નોંધાયેલા છે, ઓછી આવક ધરાવતા માત્ર 14 ટકા લોકો પાસે અને મધ્યમ આવક ધરાવતા 25 ટકા લોકો પાસે પેન્શનની વ્યવસ્થા છે. 84 ટકાથી પણ વધુ લોકો પાસે ભૂકંપ, પૂર, વાવાઝોડું, ભૂસ્ખલન જેવી કુદરતી હોનારતોથી બચવા માટે જરૂરી પ્રોપર્ટી ઈન્સ્યૉરન્સ પણ નથી. ભારતમાં વીમા ઉદ્યોગ પાસે વૃદ્ધિ કરવાની અપાર તક છે
વીમા ઉદ્યોગના નિયમો બદલાઈ શકે છે. વીમા ઉદ્યોગના નિયમનકાર ઈરડાએ નોન-લિન્ક્ડ પૉલિસીની સરેન્ડર વેલ્યુ વધારવાના નિયમોનો એક કાચો મુસદ્દો જાહેર કર્યો છે અને હિતધારકો પાસેથી 3 જાન્યુઆરી સુધીમાં સૂચનો મંગાવ્યા છે. ઈરડાએ ભલામણ કરી છે કે, પ્રત્યેક પૉલિસી માટે પ્રીમિયમની એક મર્યાદા નક્કી કરવામાં આવે અને આ મર્યાદાથી વધારે પ્રીમિયમ પર એક પણ રૂપિયાનો સરેન્ડર ચાર્જ વસૂલવામાં ન આવે. જો તમે પૉલિસી સરેન્ડર કરાવો તો, વીમા કંપની ચાર્જ વસૂલ કરે છે અને ઈરડા આ ચાર્જનો બોજ ઘટાડવા માંગે છે. નોન-લિન્ક્ડ પૉલિસીની સરેન્ડર વેલ્યુ વધશે તો વીમાધારકને ફાયદો થશે. નોન-લિન્ક્ડ એટલે એવી પૉલિસી, જે શેરબજાર સાથે જોડાયેલી નથી. એટલે કે, તેના રિટર્નને બજાર સાથે કોઈ લેવાદેવા નથી. આવી પૉલિસીમાં ચોક્કસ મૈચ્યોરિટી રકમ અને બોનસ તેમજ જોખમમુક્ત નજીવું વળતર મળે છે. આ સમાચારને પગલે વીમા કંપનીઓના શેરમાં 15 ડિસેમ્બરે 3 ટકા સુધીના ગાબડા પડ્યા હતા
ડાયરેક્ટ ટેક્સ પેટે સરકારને Rs 10.64 લાખ કરોડ મળ્યા છે. ડાયરેક્ટ ટેક્સ એટલે આવક પર લાગતો ઈનકમ ટેક્સ, કૉર્પોરેટ ટેક્સ, ગિફ્ટ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ. એપ્રિલથી નવેમ્બર 2023ની વચ્ચે સરકારને 10.64 લાખ કરોડ રૂપિયાનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન થયું છે. સરકારે બજેટમાં 18.23 લાખ કરોડ રૂપિયાનો ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો ટાર્ગેટ રાખ્યો હતો, અને નવેમ્બર સુધીમાં મળેલી રકમથી આ ટાર્ગેટ 58 ટકા પૂરો થયો છે. નાણા મંત્રાલયે જાહેર કરેલી વિગતો અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 23.4 ટકાનો વધારો થયો છે. પર્સનલ ઈનકમ ટેક્સ કલેક્શનમાં 28.29 ટકા જ્યારે કોર્પોરેટ ઈનકમ ટેક્સમાં 7.13 ટકા વધારો થયો છે. સરકારે રિફન્ડ ચૂકવતાં પહેલાં નોંધેલું ગ્રોસ કલેક્શન 17.7 ટકા વધીને 12.67 લાખ કરોડ રૂપિયા થયું છે. ITR ફાઈલ કરનારા વધવાથી સરકારની ટેક્સની આવકમાં વધારો થયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો