MONEY9 GUJARATI: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
એપ્રિલમાં છૂટક મોંઘવારીનો દર તીવ્રપણે ઘટ્યો મોંઘવારીમાં મોટી રાહત મળી છે. છૂટક મોંઘવારીનો દર એપ્રિલમાં 4.7 ટકા થયો છે. ગ્રાહક-આધારિત ફુગાવાનો દર 18 મહિનાના તળિયે પહોંચી ગયો છે. માર્ચ મહિનામાં છૂટક મોંઘવારીનો દર 5.66 ટકા નોંધાયો હતો. છેલ્લાં બે મહિનામાં મોંઘવારીનો દર 1.74 ટકા ઘટ્યો છે અને રિઝર્વ બેન્કે નક્કી કરેલી રેન્જની નજીક પહોંચી ગયો છે. રિઝર્વ બેન્કે ફુગાવાનો મીડિયમ-ટર્મ ટાર્ગેટ 4 ટકા નક્કી કર્યો છે, પરંતુ છેલ્લાં 43 મહિનાથી ફુગાવાનો દર આ રેન્જની બહાર છે. તેને અંકુશમાં રાખવા માટે RBIએ મે- 2022થી વ્યાજના દર વધારવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં વ્યાજના દર અઢી ટકા વધ્યા છે, જેના કારણે ફુગાવાનો દર નીચે લઈ જવામાં મદદ મળી છે. ખાદ્ય મોંઘવારીના મોરચે પણ રાહત મળી છે અને તેનો ફુગાવો ઘટીને 3.84 ટકાએ પહોંચ્યો છે. હવે, જોવાનું એ રહ્યું કે, RBI આગામી બેઠકમાં શું કરે છે? વ્યાજ દર વધારે છે કે પછી માર્ચની જેમ યથાવત્ રાખે છે.?
અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે સેબીને તપાસ પૂરી કરવા માટે વધુ 3 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. 12મી મે, શુક્રવારે થયેલી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતની ડિવિઝન બેન્ચે આ નિર્ણય લીધો છે. આ કેસની આગામી સુનાવણી 15 મે-સોમવારે થશે. અગાઉ સુપ્રીમ કોર્ટે માર્કેટ રેગ્યુલેટર સેબીને બે મહિનાની અંદર તપાસ પૂરી કરવાની સૂચના આપી હતી. સેબીએ 2 મેના રોજ, તેનો રિપોર્ટ જમા કરાવવાનો હતો, પરંતુ તેણે 29 એપ્રિલે તપાસ માટે છ મહિનાનું એક્સટેન્શન માંગ્યું હતું. સેબીએ કોર્ટને વિનંતી કરી હતી કે, અદાણી ગ્રૂપ સામે થયેલા આરોપોની તપાસ કરવા માટે વધુ સમયની જરૂર છે કારણ કે, તેની લિસ્ટેડ કંપનીઓ, અનલિસ્ટેડ કંપનીઓ અને વિદેશની કંપનીઓ વચ્ચે થયેલા ટ્રાન્ઝેક્શન્સની તપાસ કરવાની પ્રક્રિયા જટિલ છે. અન્ય દેશોના નિયમનકારો સાથે મળીને તપાસ કરવા માટે વધારે સમયની જરૂર છે.
ટાટા મોટર્સની ગાડી ફરી નફાના માર્ગે ટાટા મોટર્સની ગાડી ફરી નફાના માર્ગે ચઢી છે. માર્ચ ક્વાર્ટરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં ટાટા મોટર્સે રૂ.5,408 કરોડનો નફો નોંધાવ્યો છે. કંપનીની આવક 35 ટકા વધીને રૂ.1 લાખ 5 હજાર 932 કરોડે પહોંચી છે. કંપનીએ 2022ના માર્ચ ક્વાર્ટમાં રૂ.1,000 કરોડની ખોટ કરી હતી, જેની સામે ચાલુ વર્ષના માર્ચ ક્વાર્ટરમાં નફો થયો છે. કંપનીના બોર્ડે રેગ્યુલર શેરહોલ્ડર્સને શેર દીઠ બે રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે જ્યારે DVR શેરહોલ્ડર્સને શેર દીઠ રૂ.2.1 ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપની નફો કરશે તેવી આશાને પગલે, તેનો શેર પણ બાવન સપ્તાહની ટોચે પહોંચી ગયો છે. 12 મે, શુક્રવારે તેનો શેરરૂ.520.50ની હાઈ સપાટીએ પહોંચી ગયો હતો અને અંતે અડધો ટકો વધીને રૂ.513.80એ બંધ રહ્યો હતો. ચાલુ વર્ષે ટાટા મોટર્સનો શેર 31 ટકા જ્યારે છેલ્લાં 1 મહિનામાં 11 ટકા વધ્યો છે.
SGB 2017-18 series Iમાં કરેલું રોકાણ માત્ર 5 વર્ષમાં ડબલ સરકારની ગોલ્ડ સ્કીમમાં માત્ર 5 વર્ષમાં પૈસા ડબલ થઈ ગયા છે. સૉવરિન ગૉલ્ડ બોન્ડની 2017-18ની પહેલી સીરિઝમાં કરેલું રોકાણ ડબલ થઈ ગયું છે. 2017માં આ સીરિઝમાં રોકાણકારોને પ્રતિ ગ્રામ રૂ.2,901ના ભાવે બૉન્ડ ઇશ્યૂ થયા હતા. 12 મે-શુક્રવારે આ સ્કીમના છ વર્ષ થયા છે અને તે નિમિત્તે, રિઝર્વ બેન્કે પ્રતિ ગ્રામ રૂ.6,115 કિંમત નક્કી કરી છે. એટલે કે, રોકાણકારોને માત્ર 5 વર્ષમાં 110.7 ટકા વળતર મળ્યું છે અને પ્રતિ ગ્રામ રૂ.3,214નો નફો થયો છે. RBIએ પ્રિમેચ્યોર રિડમ્પ્શનની એટલે કે, પાકતી મુદત પહેલાં રોકાણ ઉપાડી લેવાની જાહેરાત કરી છે. આમ તો, સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમની મુદત 8 વર્ષની હોય છે, પરંતુ રોકાણકારોને 5 વર્ષ પછી પૈસા ઉપાડવાની છૂટ મળે છે.
ગુજરાતના ઓટોમોબાઈલ સેક્ટરમાં બેક-ટુ-બેક રોકાણની જાહેરાત ગુજરાતના ઓટોમોબાઈલ સેક્ટરમાં વધુ એક કંપનીએ રોકાણની જાહેરાત કરી છે. મારુતિ સુઝુકી અને JBM ગ્રૂપની કંપની જય ભારત સુઝુકી ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા માટે રૂ.350 કરોડ સુધીનું રોકાણ કરવા માંગે છે. થોડા દિવસ અગાઉ, MG મોટરે પણ વડોદરા નજીક હાલોલમાં બીજો પ્લાન્ટ સ્થાપવા માટે રૂ.5,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. જય ભારત મારુતિ આ પ્લાન્ટમાં એસેમ્બલી ફેસિલિટી પણ સ્થાપશે. તેની મુખ્ય કસ્ટમર મારુતિ છે અને મારુતિની જરૂરિયાતને પહોંચી વળવા માટે તેણે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે. કંપનીએ હરિયાણામાં પણ એક પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. MG મોટર અને જય ભારત મારુતિ દ્વારા ગુજરાતના ઓટોમોબાઈલ સેક્ટરમાં રોકાણ વધવાથી સ્થાનિક લોકોને રોજગારીની પ્રત્યક્ષ અને પરોક્ષ તક મળશે અને રાજ્ય સરકારની તિજોરીને ટેક્સની આવક વધારવામાં મદદ મળશે.
કંપનીઓ સીટ બેલ્ટ એલાર્મ સ્ટોપર ક્લિપ નહીં વેચી શકે કારમાં બેઠેલા લોકોએ સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે. જો તમારી પાસે નવી ગાડી હશે તો, તેમાં સીટ બેલ્ટ ના પહેરો એટલે તરત એલાર્મ ચાલુ થઈ જાય છે. પણ લોકો આ એલાર્મ ના વાગે તે માટે ખાસ પ્રકારની ક્લિપ લગાવી દે છે. આવી ક્લિપને કાર સીટ બેલ્ટ એલાર્મ સ્ટોપર ક્લિપ કહે છે. પણ હવેથી આ ક્લિપ નહીં મળે, કારણ કે, ગ્રાહક અદાલતે તેના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ પાંચ ઈકોમર્સ કંપની એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, શોપક્લુ અને મીશો સામે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ-2019નો ભંગ કરવા બદલ પગલાં ભર્યાં છે. આ કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પરથી ક્લિપનાં 13,118 લિસ્ટિંગ પણ તાત્કાલિક અસરથી કાઢી નાખ્યા છે. વીમા કંપનીઓ પણ ક્લિપ લગાવેલા ક્લેમ પાસ કરતી નથી. એટલે ક્લિપ લગાવી હોય તો તે કાઢી નાખવામાં જ સમજદારી છે અને હા…, સીટ બાંધવો ફરજિયાત છે, તે યાદ રાખજો.
અટલ પેન્શનલ યોજનાના સબ્સક્રાઈબર્સની સંખ્યા વધી આઠ વર્ષ અગાઉ શરૂ થયેલી સરકારની પેન્શન યોજનાના સબ્સક્રાઈબર્સમાં સતત વધારો થયો છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 2015ની નવમી મેના રોજ લૉન્ચ થયેલી અટલ પેન્શન યોજનામાં નામ નોંધાવનારા લોકોની સંખ્યા 5.25 કરોડને પાર થઈ ગઈ છે. વર્ષ 2021-22ની તુલનાએ 2022-23માં નવા નામની નોંધણીમાં 20 ટકા વધારો થયો છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ વ્યક્તિ જીવે ત્યાં સુધી દર મહિને રૂ.5,000 સુધીનું ગેરન્ટીડ પેન્શન મળે છે. ધારો કે, નામ નોંધાવનાર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તેના જીવનસાથીને પેન્શન મળે છે અને બંનેનું મૃત્યુ થઈ જાય તો, પેન્શન ખાતામાં રહેલી સંપૂર્ણ રકમ તેમના નોમિનીને ચૂકવવામાં આવે છે. સરકારની આ યોજનામાં અત્યાર સુધીમાં રૂ.28 હજાર કરોડથી વધુ પૈસા જમા થયા છે અને સ્કીમ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 8.92 ટકા વળતર મળ્યું છે.
ઓનલાઈન બેન્ક ક્લીનિક ખોલવાની ભલામણ બેન્ક સામે ફરિયાદ હોય તો, હવે બેન્ક ક્લીનિકનો પણ સંપર્ક કરી શકશો. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોયીઝ એસોસિએશને ઓનલાઈન બેન્ક ક્લીનિક ખોલવાની ભલામણ કરી છે. એક વખત કોઈ કસ્ટમર આ ક્લીનિકમાં ફરિયાદ કરશે તો, એટલે તેમની ટીમ તાત્કાલિક લાગતી-વળગતી બેન્કનો સંપર્ક કરશે. આવા ક્લીનિક ખોલવાનો ઈરાદો ગ્રાહકોને સતાવતી સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ લાવવાનો છે. જો બેન્કનો સ્ટાફ બરાબર કામ નહીં કરતો હોય અથવા તેમનો વ્યવહાર યોગ્ય નહીં હોય તો, બેન્ક ક્લીનિકની ટીમ તેમાં સુધારો લાવવાનો પણ પ્રયાસ કરશે. અત્યારે બેન્ક સામે ફરિયાદ હોય તો, ગ્રાહકો બેન્કિંગ લોકપાલનો સંપર્ક કરી શકે છે અને હવે આવા ક્લીનિક ખુલશે તો ગ્રાહકોને વધુ એક વિકલ્પ મળશે.
BoB અને કોટક મહિન્દ્રા બેન્કે વધાર્યાં FDના વ્યાજ દર બેન્ક ઓફ બરોડાએ ફિક્સ્ડ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટ વધાર્યા છે. નવા રેટ 12 મેથી લાગુ કરવામાં આવ્યા છે. જો તમે રેગ્યુલર સીટિઝન હશો તો, બેન્ક તમને 7.25 ટકા સુધી વ્યાજ આપશે અને જો તમે સીનિયર સીટિઝન હશો તો, તમને 7.75 ટકા સુધી વ્યાજ મળશે. નવા રેટનો લાભ લેવા માટે તમારે રૂ.2 કરોડથી ઓછી રકમની FD કરાવવી પડશે. અન્ય ધિરાણકર્તા, કોટક મહિન્દ્રા બેન્કે 180 દિવસની FDના વ્યાજદરમાં અડધો ટકાનો વધારો કર્યો છે. કોટક બેન્ક હવે સાડા છ ટકાની જગ્યાએ 7 ટકા વ્યાજ આપશે જ્યારે સીનિટર સીટિઝનને 7.70 ટકા સુધી વ્યાજ આપશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો