Money9 Gujarati:
ચોમાસું જામ્યું છે. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતનાં રાજ્યોમાં પૂરની સ્થિતિ છે. ગુજરાતનાં સૌરાષ્ટ્રથી લઈને હિમાચલ પ્રદેશનાં ચાંબા અને મંડી વિસ્તારોમાં નદીઓ ગાંડીતૂર થઈ છે અને હજારો લોકો ઘરવિહોણાં બન્યાં છે. લોકોની નજરની સામે જ ઘર વહી ગયા છે અને વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આવી સ્થિતિમાં તમારી મદદે આવી શકે છે ઘરનો વીમો. પરંતુ જો વીમાના કાગળિયા અને મહત્ત્વનાં ડોક્યુમેન્ટ્સ પૂરનાં પાણીમાં વહી જાય તો ક્લેમ કેવી રીતે મળે?
ઘરની સાથે દસ્તાવેજ પણ નાશ પામે તો શું કરશો? કુદરતી હોનારત બાદ, ઘરની સાથે સાથે ઘરની અંદર રાખેલા મહત્ત્વનાં દસ્તાવેજ પણ નષ્ટ થઈ જતા હોવાથી ઘરના વીમાનો ક્લેમ મેળવવાનું કામ પડકારજનક બની જાય છે. હોનારત બાદ વીમાના કાગળિયા, ઘરનો દસ્તાવેજ, આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતનાં અગત્યનાં ડૉક્યુમેન્ટ્સ ખોવાઈ જાય છે અથવા તો નાશ પામે છે. આવી સ્થિતિમાં શું કરું તે અંગે Promore Fintechના ઈન્સ્યૉરન્સ એક્સપર્ટ જ્યુઉદ્દીન સઈદ કહે છે કે, કુદરતી હોનારતમાં પહોંચેલા નુકસાનનું વળતર મેળવવા માટે સૌથી પહેલાં તો પોલીસમાં FIR દાખલ કરાવો. ત્યારબાદ ઘટનાની જાણકારી વીમા કંપનીને મોકલો. હવે તો મોટા ભાગનાં લોકો પોતાના પાન, આધાર વગેરે દસ્તાવેજની કૉપી પોતાના ઈમેઈલમાં અથવા ડિજિલૉકરમાં રાખે છે. તમારે પણ વીમા કંપનીમાં ક્લેમ કરવા માટે આવા ડૉક્યુમેન્ટ્સની એક નકલ કાઢી લેવી જોઈએ. ઈલેક્ટ્રિસિટી કંપનીમાં જઈને તમે વીજળીનું બિલ મેળવી શકો છો. આ તમામ ડૉક્યુમેન્ટ્સ ભેગા કરીને જિલ્લા અધિકારી પાસેથી તમારા ઘરનું પ્રમાણપત્ર મળી જશે.
કેવી રીતે ક્લેમ કરશો? તમામ મહત્ત્વનાં કાગળ ભેગા થઈ જાય પછી તમારે વીમા કંપનીની ઓફિસમાં જઈને ક્લેમ માટે અરજી કરવી પડશે. વીમા કંપનીના અધિકારી તમારી પાસે પાન કાર્ડ, આધાર કાર્ડ, વીમાનું પ્રીમિયમ ભર્યાંની પહોંચ વગેરેના આધારે તમને ડુપ્લીકેટ પૉલિસી આપશે. આ ડુપ્લીકેટ પૉલિસી મળી જાય એટલે તમે ક્લેમની પ્રોસેસ શરૂ કરી શકશો.
કુદરતી હોનારતની પુષ્ટિ તમે અરજી કરશો તેના આધારે વીમા કંપનીનો સર્વેયર ઘટનાસ્થળની મુલાકાત લેશે. તમારા મકાનને કેવી રીતે અને કેટલું નુકસાન પહોંચ્યું છે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. યાદ રાખજો, કુદરતી હોનારતના વીમા સંબંધિત પૉલિસીમાં માત્ર કુદરતી હોનારતથી મકાનને નુકસાન પહોંચ્યું હશે ત્યારે જ વળતર મળશે. કુદરતી હોનારત અંગે રાજ્ય સરકાર તેમજ સ્થાનિક તંત્ર તરફથી પુષ્ટિ આપવામાં આવે છે. ઘણી વાર રાજ્ય સરકાર પૂર જેવી ઘટનાને કુદરતી હોનારત જાહેર કરીને રાહત પણ આપે છે. જો સરકાર તરફથી કુદરતી હોનારતની પુષ્ટિ કરવામાં નહીં આવે તો વીમા કંપની ક્લેમ રદ કરી શકે છે.
ક્લેમ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો? ઈન્સ્યૉરન્સ એક્સપર્ટ જ્યાઉદ્દીન સઈદ કહે છે કે, કુદરતી હોનારતમાં મકાન કે દુકાનને પહોંચેલા નુકસાનનો ક્લેમ કરતાં પહેલાં કેટલું નુકસાન પહોંચ્યું છે તેનું મૂલ્યાંકન કરો. કઈ-કઈ ચીજવસ્તુઓને કેટલું નુકસાન પહોંચ્યું છે તેની યાદી તૈયાર કરો. આ યાદીમાં સામેલ સામાનની ખરીદીના બિલ મળી જાય તો ક્લેમ લેવામાં સરળતા પડશે. હવે તો લોકો ઓનલાઈન કોમર્સ સાઈટ પરથી સામાન ખરીદે છે. જો આ ખરીદીના બિલ અથવા ટ્રાન્ઝેક્શનની રસીદ મેઈલ પરથી મળી જાય તો ઘણી રાહત રહેશે. એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે ક્લેમની શરૂઆતથી લઈને છેક અંત સુધી એક જ વાતને વળગી રહેજો. નુકસાન અંગે વારંવાર અલગ-અલગ રજૂઆત કરશો તો, ક્લેમ રદ થઈ શકે છે.
Money9ની સલાહ ક્લાઈમેટ ચેન્જને કારણે કુદરતી હોનારતનું જોખમ વધી ગયું છે. આવી સ્થિતિમાં કાર અને બાઈકની તેમજ મકાન અને દુકાનનો વીમો પણ જરૂરી થઈ ગયો છે. વાહનનો વીમો તો ફરજિયાત છે પરંતુ પ્રોપર્ટીનો વીમો ફરજિયાત નથી. પરંતુ જો તમે સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને પ્રોપર્ટીનો વીમો પણ ઉતરાવશો તો કુદરતી હોનારતો વખતે પહોંચતા નુકસાન સામે વળતર મેળવી શકશો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો