MONEY9 GUJARATI: દેશમાં વીમા ઉદ્યોગમાં નવી કંપનીઓનું પૂર આવવાનું છે. વીમા નિયામક ઈરડા પાસે મંજૂરી માટે 20 કંપનીઓએ અરજી કરી છે. જેમાંથી લગભગ એક ડઝન વીમા કંપનીઓ આ વર્ષે કામકાજ ચાલુ કરે તેવી શક્યતા છે. ઈરડાની આ કવાયતનું લક્ષ્ય વર્ષ 2047 સુધીમાં દેશમાં દરેક નાગરિકને જીવન, સ્વાસ્થ્ય અને સંપત્તિ વીમા કવર ઉપલબ્ધ કરાવાનું છે.
અત્યારે દેશમાં વીમાનો વ્યાપ ખુબ જ મર્યાદિત છે. આર્થિક સર્વે 2022-23 પ્રમાણે વર્ષ 2020-21માં દેશમાં જીવન વીમા કંપનીઓની પહોંચ 3.2 ટકા હતી. પહોંચનો અર્થ થાય છે કે દેશના જીડીપીમાં વીમા પ્રીમિયમનું યોગદાન. જો કે વર્ષ 2021-22માં વાર્ષિક આધાર પર જીવન વીમા પ્રીમિયમમાં 10.2 ટકાની વધારો નોંધાયો છે. કુલ પ્રીમિયમ સંગ્રહમાં નવા વ્યાપારથી આવકનું યોગદાન 45.5 ટકા રહ્યું છે. સર્વે પ્રમાણે ભારત આવનારા દાયકામાં સૌથી વધુ વધતા વીમા બજારમાં સામેલ હશે. દેશમાં વીમાની પહોંચ વધારવા માટે જ ઈરડાએ છેલ્લા કેટલાક મહીનાઓથી તાબડતોડ નિર્ણયો લીધા છે.
ઈરડાએ આ વર્ષે લગભગ એક ડઝન વીમા કંપનીઓને લાયસન્સ આપવાની યોજના બનાવી છે. આ પહેલા એક દાયકાના લાંબા સમય બાદ ગયા વર્ષે ત્રણ કંપનીઓને વીમા લાયસન્સ આપવામાં આવ્યા હતા. નવા લાયસન્સ મેળવનાર કંપનીઓમાં ક્ષેમા જનરલ ઈન્સ્યોરન્સ, ક્રેડિટ એક્સેસ લાઈફ અને ઈકો લાઈફનો સમાવેશ થાય છે. નવી કંપનીઓના આવ્યા બાદ દેશમાં હવે જીવન વીમાના વ્યવસાયમાં 25 અને સામાન્ય વીમા ક્ષેત્રમાં 34 કંપનીઓ થઈ ગઈ છે. આ વર્ષે નવી કંપનીઓને લાયસન્સ મળ્યા પછી વીમા કંપનીઓનો આંકડો દેશમાં હવે લગભગ 20 ટકા વધી 70થી વધુ થઈ જશે.
દેશમાં અત્યારે વીમાનો મુખ્ય વ્યવસાય શહેરો સુધી જ સીમિત છે. ગ્રામિણ ક્ષેત્રમાં તેના વિસ્તારની ખુબ જ મોટી શક્યતાઓ છે. અત્યારે વીમા કંપનીઓ જે પ્રોડક્ટ વેચી રહી છે તે શહેરી ક્ષેત્રના લોકો પ્રમાણે તૈયાર કરાયેલી છે. વીમાની અત્યારની પ્રોડક્ટ સામાન્ય લોકોને આકર્ષિત નથી કરી શકતી. તેનું મોટું કારણ આ પ્રોડક્ટનુ સામાન્ય લોકોની પહોંચથી દૂર હોવું છે.
સ્વાભાવિક છે કે 2047 સુધી “તમામ માટે વીમો” ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દેશમાં વીમા ઉદ્યોગનો વ્યાપ વધારવાની જરૂરિયાત છે. અત્યારે ભારતીય વીમા ઉદ્યોગ વિશ્વનું 10મું મોટું માર્કેટ છે. અત્યારના સમયમાં વીમા ક્ષેત્રમાં લગભગ 57,000 કરોડ રુપિયા પ્રત્યક્ષ વિદેશી રોકાણ એટલે કે FDI છે. ઈરડાને આશા છે કે 2027 સુધી સ્થાનિક વીમા માર્કેટ 200 અબજ ડૉલર સુધી પહોંચી જશે.
પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ ડૉ. રાહુલ શર્માનું કહેવું છે કે વીમા ક્ષેત્રમાં મોટી સંખ્યામાં નવી કંપનીઓ આવવાથી માર્કેટમાં સ્પર્ધા ઉભી થશે. જેનાથી વીમા ગ્રાહકો માટે કંપનીઓમાં નવી અને આકર્ષક પ્રોડક્ટ લૉન્ચ કરવાની હોડ લાગશે. સાથે જ કંપનીઓ વીમા પ્રીમિયમના દરમાં પણ ઘટાડો કરી શકે છે. જેનાથી વધુમાં વધુ લોકો વીમો લેવા આકર્ષાય. કયો વીમો કેમ અને કેટલો જરૂરી છે, તેને લઈ લોકો સજાગ થશે. માર્કેટમાં પહેલાથી ઉપલબ્ધ દિગ્ગજ કંપનીઓનો દબદબો ઓછો થઈ જશે. ડૉ. શર્માનું કહેવું છે કે વીમા ઉદ્યોગનો વ્યાપ વધવાથી વધુ એક મોટો ફાયદો એ થશે કે કંપનીઓ દેશભરમાં પોતાની ઑફિસ ખોલશે, ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક વધારશે, જેનાથી મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો