MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
ઘઉંનો લોટ, ચોખા, મેંદો ટૂંક સમયમાં સસ્તો થશેઃ સરકાર વધતી મોંઘવારી માથાનો દુખાવો બની છે. ફુગાવાનો દર વધીને 7 ટકાએ પહોંચી ગયો છે અને તેમાં ખાદ્ય મોંઘવારીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. પરંતુ હવે, થોડાક સપ્તાહમાં મોંઘવારીથી છુટકારો મળશે, એવી ખાતરી સરકારે આપી છે. મંગળવારે નાણા મંત્રાલયે જણાવ્યું કે ઘઉંનો લોટ, ચોખા અને મેંદા જેવી જરૂરી ખાદ્ય ચીજોના ભાવ આગામી સમયમાં ઘટશે. માથાભારે મોંઘવારીને કાબુમાં લેવા માટે સરકારે આખરે ખાદ્ય ચીજોની નિકાસ પર નિયંત્રણનું હથિયાર ઉગામ્યું છે અને ખાતરી આપી છે કે ખૂબ જ ટૂંક સમયમાં જરૂરી ચીજવસ્તુઓના ભાવ ઓછા થશે. સરકારને આશા છે કે, થોડા દિવસો અગાઉ ખાદ્યતેલ પણ ખૂબ મોંઘુ થઈ ગયું હતું અને ત્યારે સાવચેતીના પગલાં ભરીને સરકારે દરમિયાનગીરી કરી હતી, જેથી હવે ખાદ્યતેલ પ્રમાણમાં સસ્તું થયું છે. આવી જ રીતે અન્ય ચીજવસ્તુઓની મોંઘવારીને નાથવા માટે પણ સરકાર આકરાં પગલાં ભરશે, એટલે પ્રજાને રાહત મળી શકશે. નાણા મંત્રાલયે નાગરિકોએ દૈનિક વપરાશની આવશ્યક ચીજવસ્તુઓની વધતી કિંમતોને લઈને ચિંતા ન કરવા જણાવ્યું છે અને આશા વ્યક્ત કરી છે કે, ટૂંક સમયમાં તેમની કિંમત ઘટશે.
લગ્નોમાં મહેમાનોને જમાડવા માટે કરવો પડશે વધુ ખર્ચ દિવાળી આવી રહી છે, એટલે લગ્નસરાની સીઝન પણ પૂરબહારમાં ખીલવાની છે, કારણ કે, મોટાભાગના એનઆરઆઈ મુરતીયા આ સીઝનમાં લગ્ન કરવા ગુજરાત આવે છે. ગુજરાત કેટરર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબરથી લઈને માર્ચ મહિના સુધીમાં રાજ્યમાં અંદાજે 1 લાખ લગ્નો થવાના છે. જોકે, મોંઘવારીને કારણે આ વખતે કેટરિંગ ખર્ચમાં ઓછામાં ઓછો 10 ટકા વધારો થવાનો અંદાજ છે. ખાણીપીણીની ચીજવસ્તુઓ મોંઘી થઈ હોવાથી, લગ્નની સીઝનમાં મહેમાનોને જમાડવા માટે વધુ ખર્ચ કરવો પડશે. કેટરિંગ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, જે પ્લેટ 300 રૂપિયામાં પડતી હતી, તેના માટે હવે 330 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે. ક્લાયન્ટના ખર્ચમાં વધારો ના થાય તે માટે કેટરર્સે મેન્યુમાં ફેરફાર કરવાની અને ઓછી ક્વોન્ટિટી સર્વ કરવાની વિચારણા પણ કરી રહ્યાં છે.
તહેવારો પછી મોંઘા થશે એસી અને ફ્રીજ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશમાં તહેવારોની સિઝન સમાપ્ત થયા પછી એર-કન્ડિશનર જેવી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આઈટમ્સ મોંઘી થઈ શકે છે. ચીને તેની ઝીરો-કોવિડ પોલિસી હેઠળ કેટલાક શહેરોમાં ફરીથી લોકડાઉન લંબાવ્યું છે અને તેની અસર આવી ચીજોની કિંમત પર પડશે… કારણ કે, ભારતમાં બનતી કન્ઝ્યુમર ડ્યુરેબલ વસ્તુઓના મહત્તમ કમ્પોનન્ટ્સ ચીનથી મંગાવવામાં આવે છે. ચીનના ઔદ્યોગિક એકમો લોકડાઉનને કારણે ઉત્પાદન નહીં કરી શકે, અને બજારમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની અછત સર્જાઈ શકે છે અને પરિણામે ચાલુ વર્ષના અંતથી ભાવ વધવાની શરૂઆત થઈ શકે છે. આ જ કારણસર આગામી ઉનાળાની સીઝનમાં પણ વ્હાઇટ ગુડ્સ મોંઘા રહેવાની ધારણા છે.
HDFC લાઈફે લૉન્ચ કર્યો નવો ટર્મ ઈન્સ્યૉરન્સ પ્લાન ભારતની અગ્રણી જીવન વીમા કંપની HDFC લાઇફે ‘ક્લિક-ટુ-પ્રોટેક્ટ સુપર’ નામની ટર્મ ઇન્સ્યોરન્સ સ્કીમ લૉન્ચ કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ પ્લાન પોલિસીધારકોને લાઈફ કવર અને ટર્મ પીરિયડ બંનેમાં પોતાની રીતે ફેરફાર કરવાનો વિકલ્પ આપશે. પૉલિસીધારકે માત્ર એવા બેનિફિટ અને પ્લાન વિકલ્પો માટે ચૂકવણી કરવાની રહેશે જે તેણે પસંદ કર્યા હશે. આ પ્લાન લાઇફ, લાઇફ પ્લસ અને લાઇફ ગોલ નામના ત્રણ અલગ-અલગ વિકલ્પોમાં મળશે.
IDFC MFએ લોન્ચ કર્યું Nifty100 Low Volatility 30 Index Fund જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગો છો અને તમને વોલેટાલિટી પસંદ નથી, તો તમારા માટે એક વિકલ્પ આવી ગયો છે. બજારમાં લૉન્ચ થઈ ગયું છે, ‘નિફ્ટી હન્ડ્રેડ લૉ વોલેટાલિટી થર્ટી ઈન્ડેક્સ ફંડ’… IDFC મ્યુચ્યુઅલ ફંડના આ N.F.O.માં સબ્સક્રિપ્શનની વિન્ડો 15 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર 2022 સુધી ખુલ્લી છે. આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. તમે જે પૈસા રોકશો, તેને ભારતની 100 લાર્જ-કેપ્સ કંપનીમાંથી ઓછી વોલેટાલિટી ધરાવતા 30 કંપનીના સ્ટૉક્સમાં રોકવામાં આવશે. IDFC AMCના CEO, વિશાલ કપૂરના જણાવ્યા અનુસાર, આ સ્કીમ લાંબા ગાળાના રોકાણકારો માટે આદર્શ બની રહેશે.
બજાજ ફિનસર્વનો શેર થયો ex-split અને ex-bonus મંગળવારે બજાજ ફિનસર્વના શેર એક્સ-સ્પ્લિટ અને એક્સ-બોનસ બંનેમાં ફેરવાયા હતા. કંપનીના બોર્ડે આ બંને ઈવેન્ટ માટે 14 સપ્ટેમ્બર, 2022ને રેકોર્ડ ડેટ નક્કી કરી હતી. એટલે કે, જે શેરધારકોએ રેકોર્ડ ડેટના ઓછામાં ઓછા બે દિવસ પહેલા શેર ખરીદ્યા હશે, અથવા તેમના ડિમેટ ખાતામાં આ શેર પડ્યા હશે, તો તેમને આ બંને ઇવેન્ટનો લાભ મળશે. બજાજ ફિનસર્વે 1:5ના ગુણોત્તરમાં શેર સ્પ્લિટ કર્યા છે. એટલે કે, 1 શેર સામે શેરધારકને બજાજ ફિનસર્વના 5 શેર મળશે. રેકોર્ડ ડેટના ચોથા દિવસે તમારા ડીમેટ ખાતામાં સ્પ્લિટ થયેલા સ્ટોક જમા થઈ જશે. આ સમાચારને પગલે મંગળવારે બજાજ ફિનસર્વના કાઉન્ટરમાં ભારે હિલચાલ જોવા મળી હતી અને દિવસના અંતે શેર 4% વધીને લગભગ 1 હજાર 784 રૂપિયાએ બંધ રહ્યો હતો..
ભારતમાં નોકરીઓની તકો વધશેઃ મેનપાવર ગ્રુપ મેનપાવર ગ્રુપના એક સર્વે અનુસાર દેશમાં 54 ટકા કપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના આવતા 3 મહિનામાં ભરતીની સંખ્યા વધારવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તો 64 ટકા કોર્પોરેટ્સે કહ્યું છે કે તે પોતાના સ્ટાફની સંખ્યામાં વધારો કરવા ઇચ્છે છે. ભારતમાં હાયરિંગ આઉટલુકની વાત કરીએ તો તે દુનિયામાં બ્રાઝિલ બાદ બીજા નંબરે છે. મેનપાવર ગ્રુપ ઇન્ડિયાના એમડી સંદીપ ગુલાટીએ કહ્યું કે ભારત જેવા વિકસતા દેશો માટે વિકાસની મજબૂત તકો છે. જેના કારણે સ્થાનિક લેવલે નોકરીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
એર ઇન્ડિયામાં પ્રીમિયમ ઇકોનોમી ક્લાસ પણ હશે ટુંક સમયમાં તમે એર ઇન્ડિયાના પ્રીમિયમ ઇકોનોમી ક્લાસ માટે પણ ટિકિટ બુક કરી શકશો. અત્યાર સુધી એર ઇન્ડિયામાં ફક્ત ઇકોનોમી, બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ માટે જ ટિકિટ બુક કરી શકાતી હતી. અન્ય એરલાઇન્સોમાં ફક્ત વિસ્તારા જ પ્રીમિયમ ઇકોનોમી ક્લાસ ઓફર કરે છે. પરંતુ ટુંક સમયમાં એર ઇન્ડિયાના કસ્ટમર્સ પણ આ સેવાનો લાભ લઇ શકશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો