Money9 Gujarati:
રાજકોટમાં ડ્રાઈવરની નોકરી કરતાં જયેશભાઈનું નાકનું હાડકું વધેલું છે. કોરોના વખતે ખાનગી હૉસ્પિટલમાં બતાવ્યું તો 1 લાખ રૂપિયામાં ઓપરેશન થઈ જવાનું કહ્યું હતું. જયેશભાઈને તકલીફ નહોતી પડતી એટલે ઓપરેશન ટાળી દીધું પણ હવે તપાસ કરાવી તો ડૉક્ટર ઓપરેશન કરવાના 2 લાખ રૂપિયા માંગી રહ્યાં છે. માત્ર જયેશભાઈ નહીં, દેશનાં મોટા ભાગનાં લોકો મેડિકલ મોંઘવારીથી પરેશાન છે. છેલ્લાં 5 વર્ષમાં તબીબી સારવારનો ખર્ચ બમણો થઈ ગયો છે. મોતિયાનું ઓપરેશન 30-40 હજારમાં થતું હતું પણ હવે 70થી 80 હજારમાં થાય છે.
5 વર્ષમાં સારવારનો ખર્ચ થયો બમણો
Policybazaarના સર્વે પરથી જાણવા મળે છે કે, કોરોના પહેલાંના 1 કે 2 વર્ષથી લઈને 2022 સુધીમાં સારવારનો ખર્ચ ડબલ થઈ ગયો છે. 2018માં હૉસ્પિટલમાં સારવારનો સરેરાશ ખર્ચ 24,569 રૂપિયા હતો, જે 2022માં વધીને 64,135 રૂપિયા થઈ ગયો છે. આ આંકડા દર્શાવે છે કે, છેલ્લાં 5 વર્ષમાં સારવારનો ખર્ચ 160 ટકા વધ્યો છે. મેટ્રો શહેરોમાં તો સારવારનો ખર્ચ આ સરેરાશ કરતાં ઘણો વધારે છે. કોરોના બાદ સારવાર મોંઘી થઈ ગઈ હતી અને તેની અસર લોકોના ખિસ્સા પર પડી છે. મેડિકલ મોંઘવારીનો અંદાજ તો કોરોના વખતથી જ આવી ગયો હતો, પરંતુ આટલી આકરી મોંઘવારીની કલ્પના નહોતી. એટલું જ નહીં, અલગ-અલગ હોસ્પિટલમાં એક જ પ્રકારની સારવારનો ખર્ચ પણ અલગ-અલગ છે. હોસ્પિટલ જેટલી મોટી હોય તેટલો જ સારવારનો ખર્ચ વધી જાય છે.
ખર્ચ વધ્યો શા માટે?
કોરોના વખતે હોસ્પિટલોમાં સારવાર માટે કેટલીક નવી સુવિધાઓ ઉમેરાઈ હતી. સંક્રમણથી બચવા માટે હોસ્પિટલે કેટલાક ફેરફાર કર્યા હતા. આ ફેરફાર કરવા માટે અને નવી સુવિધાઓ ઉમેરવા માટે ખર્ચ વધી ગયો હતો અને તેનો બોજ દર્દીના માથે આવ્યો. કોરોના તો જતો રહ્યો પણ આ ખર્ચ મૂકતો ગયો. હોસ્પિટલોએ કોરોનાના નામે ભાવ વધારી દીધા પણ ઘટાડ્યા નહીં. એટલું જ નહીં તેમણે તમામ પ્રકારની સારવારના ભાવ વધારી દીધા. પરિણામે દેશમાં સામાન્ય મોંઘવારીનો દર 7 ટકાની આસપાસ છે જ્યારે હેલ્થકેરનો ફુગાવાનો દર 14 ટકા એટલે કે, બમણી ઝડપે વધી રહ્યો છે. જો આ રફ્તાર સાથે ખર્ચ વધતો રહેશે તો અત્યારે જે સારવાર 3 લાખમાં થાય છે, તે આવતા પાંચ વર્ષ બાદ 6 લાખ રૂપિયામાં પડશે.
ભારતમાં આરોગ્ય-ખર્ચની સ્થિતિ
નેશનલ હેલ્થ પ્રોફાઈલ 2021માં જણાવ્યા પ્રમાણે, હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવે તો એક વખતમાં જે ખર્ચ થાય તેનો સરેરાશ 80 ટકા હિસ્સો લોકોએ પોતાના ખિસ્સામાંથી ચૂકવવો પડે છે. આ ખર્ચને ‘આઉટ ઑફ પૉકેટ’ મેડિકલ ખર્ચ કહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટ પ્રમાણે, આવા પ્રકારનાં મેડિકલ ખર્ચને કારણે દર વર્ષે ભારતમાં 5 કરોડથી પણ વધારે લોકો ગરીબ થઈ જાય છે. પરિવારમાં આરોગ્ય પાછળ થતો ખર્ચનો બોજ વધવાથી દર વર્ષે 8થી 9 ટકા લોકો ગરીબી રેખાની નીચે પહોંચી જાય છે.
નિષ્ણાતનો અભિપ્રાય
પર્સનલ ફાયનાન્સ એક્સપર્ટ ડૉ. રાહુલ શર્મા કહે છે કે, કોરોના બાદ લોકોમાં હેલ્થ ઈન્સ્યૉરન્સ અંગે જાગરૂકતા આવી છે. વીમાનો વ્યાપ વધે એટલે આરોગ્ય સેવાની માંગ અને તેનો ઉપયોગ વધી જાય છે. જેના લીધે સારવારનો ખર્ચ વધે છે. સારવારના ખર્ચમાં ડાયગ્નોસ્ટિક અને દવાનો હિસ્સો વધારે હોય છે. છેલ્લાં 3 વર્ષમાં દવાની કિંમત 15-20 ટકા વધી છે. વીમા કંપનીઓને મળતાં ક્લેમની એવરેજ સાઈઝ પણ વધી છે. ક્લેમ ચૂકવવાનો ખર્ચ વધવાથી વીમા કંપનીઓએ પ્રીમિયમ વધારી દીધા છે. છેલ્લાં 1 વર્ષમાં પ્રીમિયમમાં 10 ટકાથી 25 ટકા વધારો થયો છે. ડૉ. શર્મા કહે છે કે, કઈ બીમારીની સારવારનો કેટલો ખર્ચ હોવો જોઈએ તે અંગે અત્યારે કોઈ મર્યાદા નક્કી નથી. હોસ્પિટલો મનફાવે તેટલાં ચાર્જ વસૂલે છે. આ કારણસર મોટા ભાગનાં લોકો સમયસર સારવાર કરાવતા નથી. સરકાર આ અંગે કોઈ કડક પગલાં ભરે અને ચુસ્તપણે નિયમોનું પાલન કરાવે તો મેડિકલ મોંઘવારી પર અંકુશ આવી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો