Money9 Gujarati:
RBI MPC: હોસ્પિટલમાં અને શૈક્ષણિક સંસ્થામાં 5 લાખ સુધીનું પેમેન્ટ UPI દ્વારા કરી શકશો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ તબીબી સુવિધાઓ માટે અને શિક્ષણ માટે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) પેમેન્ટની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી છે. 8 ડિસેમ્બરે RBIની મોનેટરી પૉલિસી કમિટી (MPC) બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેના નિયમો આગામી દિવસોમાં જાહેર થશે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે MPCની જાહેરાત વખતે જણાવ્યું હતું કે, “UPI ટ્રાન્ઝેક્શનની વિવિધ કેટેગરી માટે મર્યાદાની સમીક્ષા થતી રહે છે. અમે હવે શિક્ષણ અને આરોગ્યસંભાળ સુવિધાઓ માટે UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની દરખાસ્ત મૂકી છે. તેનાથી હેલ્થકેર હેતુઓ માટે અને શૈક્ષણિક હેતુઓ માટે ગ્રાહકોને વધારે રકમનું UPI પેમેન્ટ કરવામાં મદદ મળશે.”
અત્યારે મૂડીબજારમાં એસેટ મેનેજમેન્ટ કંપનીને, બ્રોકર્સને કે મ્યુચ્યુઅલ ફંડ્સને પેમેન્ટ કરવા માટે તેમજ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવા માટે, ઋણ ચૂકવવા માટે, EMI, વીમાના હપ્તા UPIથી ભરવાની મર્યાદા 2 લાખ રૂપિયા છે. RBIની રિટેલ ડાયરેક્ટ સ્કીમમાં કે IPOમાં અરજી કરવા માટે UPIથી પેમેન્ટની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા છે.
“એલએએફ હેઠળ રિઝર્વ બેન્કની સ્થાયી સુવિધાઓના સંદર્ભમાં, અમે બેન્કો દ્વારા એમએસએફ અને એસડીએફ બંનેનો સૌથી વધુ ઉપયોગ નોંધ્યો છે. અમે આ પરિસ્થિતિને સંબોધવા 30 ડિસેમ્બર, 2023થી અમલમાં આવતા વિકએન્ડ અને રજાઓ દરમિયાન પણ SDF અને MSF બંને હેઠળ લિક્વિડિટી સુવિધાઓને રિવર્સલ કરવા મંજૂરી આપી છે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ પગલાથી બેંકો દ્વારા વધુ સારા ફંડ મેનેજમેન્ટની સુવિધા મળશે. જો જરૂરી હોય તો, છ મહિના પછી અથવા તે પહેલાં આ પગલાની સમીક્ષા કરવામાં આવશે.”
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, બેન્કે ગ્રાહકોના હિતોને નુકસાન પહોંચાડતી લોન પ્રોડક્ટ્સ પર ચિંતાઓની નોંધ કર્યા બાદ વેબ એગ્રેગેશન ઓફ લોન પ્રોડક્ટ્સ માટે વધુ જોગવાઈઓ ઘડવા નિર્ણય લીધો છે. Paytm, પોલિસી બજાર (PB ફિનટેક) દ્વારા ફાળવવામાં આવતી લોન પર વધુ કડક જોગવાઈઓ ઘડવામાં આવી છે. જેના પગલે શેર પર પ્રેશર જોવા મળ્યું છે. આ કંપનીઓના લોન બિઝનેસ પર અસર થવાની શક્યતા છે. MPC લોન ઉત્પાદનોના વેબ-એગ્રિગેશન માટે એક નિયમનકારી માળખું તૈયાર કરશે.
ઈ-મેન્ડેટ ફ્રેમવર્ક હેઠળ, ₹15,000થી વધુના રિકરિંગ ટ્રાન્જેક્શન માટે હાલમાં એક વધારાનું પ્રમાણીકરણ પરિબળ (AFA) જરૂરી છે. આરબીઆઈએ મ્યુચ્યુઅલ ફંડ સબ્સ્ક્રિપ્શન્સ, વીમા પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન્સ અને ક્રેડિટ કાર્ડની ચુકવણીની રિકરિંગ ચુકવણીઓ માટે આ મર્યાદાને પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹1 લાખ સુધી વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આરબીઆઈએ પોતાની એમપીસી બેઠકના અંતે રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખવા નિર્ણય લીધો છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) રેટ 6.25 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) રેટ અને બેંક રેટ 6.75 ટકા સાથે જાળવી રાખ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો