Money9 Gujarati:
હળદરમાં લાલચોળ તેજી શરૂ થઈ છે. જીરુંની જેમ હળદરમાં પણ તેજી જામી છે. હળદરનો ભાવ 2.01 ટકા વધીને રૂ.8,832એ પહોંચી ગયો છે. જૂનના પ્રથમ પખવાડિયામાં હળદરની કિંમત રૂ.7,200થી વધીને રૂ.8,950એ પહોંચી છે. આમ, છેલ્લાં 15 દિવસમાં શરૂ થયેલી આ તેજીની મૂવમેન્ટ જોતાં લાગે છે કે, ભાવ ટૂંક સમયમાં રૂ.9,000ને પાર કરી જશે. ટેકનીકલી હળદર માર્કેટમાં ફ્રેશ બાઈંગ છે કારણ કે, ઓપન ઈન્ટરેસ્ટ 5.26 ટકા વધ્યો છે. હળદરને રૂ.8,526ના ભાવે સપોર્ટ છે જ્યારે રૂ.9,046એ પ્રતિકારક સપાટી છે. જો આ સપાટી ક્રોસ થશે તો રૂ.9,258એ ટેસ્ટિંગ થવાની શક્યતા છે.
વાવેતરમાં ઘટાડો હળદરનું ખરીફ વાવેતર ઘટવાની શક્યતાના આધારે તેના ભાવમાં તેજીનો તખ્તો ગોઠવાયો છે. ચાલુ વખતની ખરીફ સીઝનમાં હળદરનું વાવેતર ઘટવાની ધારણા હોવાથી હળદરના ભાવ વધવા લાગ્યા છે. કૃષિ નિષ્ણાતો જણાવે છે કે, ચાલુ વર્ષે મહારાષ્ટ્રમાં હળતરનો વાવેતર વિસ્તાર 10થી 20 ટકા ઘટશે જ્યારે તામિલ નાડુમાં 10-15 ટકા ઓછું વાવેતર થવાની ધારણા છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં પણ ગઈ સીઝનની તુલનાએ હળદરનો વાવેતર વિસ્તાર 18થી 22 ટકા ઘટવાની અપેક્ષા છે. છેલ્લાં પાંચેક વર્ષથી ખેડૂતોને હળદરમાં સારા ભાવ મળ્યાં નથી, એટલે હળદરના વાવેતરને લઈને ઉત્સાહનો અભાવ છે. હવે હળદરમાં તેજી-મંદીનો ખરો આધાર વાવણી પર રહેલો છે. જો જુલાઈ સુધીમાં કુલ વાવેતરમાં 20 ટકાથી 25 ટકાનો ઘટાડો થશે તો, હળદરમાં તેજીની કૂકરી ગાંડી થશે, એટલે હવે વાવણીના ફાઈનલ આંકડા આવે ત્યાં સુધી રાહ જોવી પડશે.
બજારમાં આવક ઘટી આ તો થઈ સંભવિત વાવેતરની વાત. હવે બજારના હાલ જોઈએ તો, જૂન મહિનાની 10મી તારીખે પૂરી થયેલા સપ્તાહમાં હળદરનો 55 ટકા માલ ઓછો ઠલવાયો હતો. અગાઉના સપ્તાહની તુલનાએ 10મી જૂને પૂરા થયેલા સપ્તાહમાં માર્કેટમાં 3,731.85 MT માલ ઠલવાયો હતો. આંધ્ર પ્રદેશનાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાથી હળદરના પાકને નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો જંગી ખોટ ભોગવી રહ્યાં હોવાથી હળદરના ભાવ વધવાનો તખ્તો ગોઠવાયો છે. મહારાષ્ટ્ર અને આંધ્રનાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાથી હળદરના પાકને ઘણું નુકસાન પહોંચ્યું હતું. હળદરની કાપણી પછી 15-20 દિવસ એકધારો જ્યારે અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, એટલે ઘણો સૂકો માલ ભીંજાઈ ગયો હતો. બજારમાં જે માલ ઠલવાયો તેમાં સારી ક્વૉલિટીના સૂકા માલનો હિસ્સો 35થી 40 ટકા હતો જ્યારે રેઈન ટચ માલનું પ્રમાણ 60થી 65 ટકા રહ્યું છે. આથી, તકનો લાભ ઉઠાવીને ખમતીધર ખરીદદારોએ ખિસ્સાં ભરવા માટે સારી ક્વૉલિટીનો માલ ઉઠાવીને વખારોમાં ભરી દીધો છે અને તેજી આવે એટલે ઊંચા ભાવે માલ કાઢવાની રાહ જોઈ રહ્યાં છે. એક વખત બજારમાંથી રેઈન ટચ માલ ખાલી થઈ જશે.
સટોડિયા સક્રિય હળદરમાં કેરી ફોરવર્ડ સ્ટોક નોંધપાત્ર હોવા ઉપરાંત બજારમાં લે-વેચની મુવમેન્ટ ઓછી છે. આવી સ્થિતિમાં હળદર વાયદામાં અચાનક તેજી આવી છે, જે સ્પેક્યુલેશન તરફ ઈશારો કરે છે. વેપારીવર્ગને ચિંતા છે કે, સટોડિયા ગેમ કરશે. જીરુમાં કમાયેલા સટોડિયા હવે હળદર વાયદાને ખેંચી રહ્યાં છે.
નિકાસ વધી હવે કરીએ નિકાસની વાત. એપ્રિલ 2022 દરમિયાન ભારતમાંથી 13,765.03 ટન હળદરની નિકાસ થઈ હતી, જેની સામે એપ્રિલ 2023માં નિકાસ 42.32 ટકા વધીને 19,590.87 ટન રહી છે. માર્ચ-2023માં આપણે 18,810.47 ટન હળદરની નિકાસ કરી હતી, એટલે માસિક ધોરણે પણ નિકાસ 4.15 ટકા વધી છે.
ઉત્પાદનની સ્થિતિ ભારતનાં મસાલા બોર્ડ (Spices Board India)ના આંકડા અનુસાર, ખેતી વર્ષ 2021-22 (જુલાઈ-જૂન)માં ભારતમાં મસાલાનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 1.5 ટકા ઘટીને 10.9 mln tn થયું હતું. અગાઉના વર્ષે ભારતમાં 11 mln tn મસાલાનું ઉત્પાદન થયું હતું. મસાલા બોર્ડને અંદાજ છે કે, હળદરનું ઉત્પાદન 1.33 mln tn રહેશે, જે વાર્ષિક ધોરણે 18.4 ટકા વધારે છે. આંધ્ર પ્રદેશનાં નિઝામાબાદમાં હળદરનો ભાવ 110 રૂપિયા વધીને રૂ.7,765 રૂપિયા ચાલી રહ્યો છે. નિઝામબાદ માર્કેટ આંધ્ર પ્રદેશનું મુખ્ય હાજર બજાર છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો